નર્મદા (રાજપીપળા)38 મિનિટ પહેલા
- કૉપી લિંક
2024 લોકસભાની ચૂંટણી પહેલા ભાજપના સાંસદ મનસુખ વસાવા અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે નવા વિવાદે જન્મ લીધો છે. એક તરફ ભાજપ સાંસદ મનસુખ વસાવાને નર્મદાના ભાજપ, કોંગ્રેસ, આપના નેતાઓ અઘિકારીઓ પાસે હપતા માંગતા હોવાનો નામ સાથેનો એક નનામી પત્ર મળે છે. બીજી બાજુ મનસુખ વસાવાએ પત્રમાં લખેલી વિગતો સાચી હોવાનું જણાવતા હવે મામલો ગરમાયો છે.
નનામી પત્રમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત ભાજપના નેતાઓના નામનો પણ ઉલ્લેખ છે. ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવાએ મનસુખ વસાવાને ચીમકી આપતો એક પત્ર લખ્યો છે. જેમાં જણાવાયું છે કે, જો આરોપો જાહેરમાં સાબિત નહીં કરો તો બદનક્ષીનો દાવો માંડવાની ચીમકી ઉચ્ચારવામાં આવતા ખળભળાટ મચ્યો છે. ચૈતર વસાવાએ વધુમાં એમ જણાવ્યું છે કે, મનસુખ વસાવાની સાથે ફરનારાના ઈશારે પછાત વિસ્તારની ગ્રાન્ટનું બારોબાર આયોજન કરાયું છે. મનસુખભાઈએ પોતાના મળતીયાઓને બચાવવા માટે આ પત્ર લખ્યો છે.
ચૈતર વસાવાએ પત્રમાં મનસુખ વસાવાને ચીમકી આપતા જણાવ્યું છે કે, તમે જેટલા આગેવાનો પર નામ જોગ આરોપો લગાવેલ છે એ તમામ બંધારણીય હોદ્દા પર લોક પ્રતિનિધિઓ અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે. આ પત્ર મળ્યા પછીના 3 દિવસમાં નર્મદા જિલ્લાના કોઈ પણ સ્થળે તમારી અધ્યક્ષતામાં અમને પ્રેસ મીડિયા અને જાહેર જનતાને બોલાવી આ ભ્રષ્ટાચાર અંગેની ખુલ્લી ચર્ચાઓ રાખી ઉજાગર કરો એવી અમારી માગણી છે. જો આપ આમ કરવામાં નિષ્ફળ જશો તો 7 દિવસ પછી અમારી છબી ખરડાવવા બદલ તમારી પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.