વડોદરા24 મિનિટ પહેલા
શક્તિપીઠ અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ યથાવત રાખવામાં આવતા કોંગ્રેસ ખુશી મનાવી.
છેલ્લા 10 દિવસથી શક્તિપીઠ અંબાજીમાં મોહનથાળના પ્રસાદને લઇ ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે. મોહનથાળનો પ્રસાદ વાહિયાત કારણોસર બંધ કરી ચિકીનો પ્રસાદ શરૂ કરવામાં આવતા સમગ્ર ગુજરાતમાં તેનો પ્રચંડ વિરોધ શરૂ થયો હતો. વિપક્ષ કોંગ્રેસ દ્વારા વિધાનસભામાં પણ પ્રસાદને લઇ વિરોધ કર્યો હતો. પરિણામે સરકારે મોહનથાળ અને ચિક્કી બંને પ્રસાદને ચાલુ રાખવાનો નિર્ણય લેવાની ફરજ પડતા શહેર કોંગ્રેસ દ્વારા કારેલીબાગ બહુચરાજી મંદિર ખાતે ફટાકડા ફોડી હિંદુ સંગઠનો અને કોંગ્રેસની જીતના વધામણાં કર્યા હતા.
મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા
વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વીજ જોષીની આગેવાનીમાં કોંગ્રેસના પ્રવક્તા નિશાંત રાવલ સહિત કાર્યકરો જીતના વધામણાં કરવાના કાર્યક્રમમાં બહુચરાજી મંદિરે પહોંચ્યા હતા. જ્યાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા ભારે આતશબાજી કરી હતી. અને કોંગ્રેસ અગ્રણીઓને માતાજીના દર્શન કરી મોહનથાળનો પ્રસાદ ચઢાવ્યો હતો. તે બાદ કાર્યકરોએ એકબીજાને પ્રસાદ ખવડાવ્યો હતો.

કારેલીબાગ બહુચરાજી મંદિર બહાર ફટાકડા ફોડ્યા.
સરકાર ઘૂંટણીએ પડી
વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વીજ જોષીએ જણાવ્યું હતું કે, શક્તિપીઠ અંબાજીમાં વર્ષોથી મોહનથાળનો પ્રસાદ ચઢાવવામાં આવતો હતો. સરકાર દ્વારા મોહનથાળ પ્રસાદ બંધ કરીને ચિક્કીનો પ્રસાદ શરૂ કરવામાં આવતા શ્રધ્ધાળુઓ, સાધુ-સંતો, મંદિરના ભટ્ટજી, વિશ્વ હિંદુ પરિષદ, વિપક્ષ કોંગ્રેસ તેમજ અનેક ધાર્મિક અને સામાજિક સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અને મોહનથાળ પ્રસાદ ચાલુ રાખવા માટેની ઉગ્ર માંગણી કરવામાં આવી હતી. સાથે ચીમકી પણ આપવામાં આવી હતી કે, નિર્ણય બદલવામાં નહિં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

કાર્યકરોએ માતાજીના દર્શન કરી મોહનથાળનો પ્રસાદ ચઢાવ્યો.
કોંગ્રેસ અને હિંદુ સંગઠોનોની જીત
કોંગ્રેસ પ્રવક્તા નિશાંત રાવલે જણાવ્યું હતું કે, શક્તિપીઠ અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા વિધાનસભામાં પણ ધારદાર રજૂઆતો કરવામાં આવી હતી. તે સાથે અનેક હિંદુ સંગઠનો દ્વારા પણ મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવા માટે ઉગ્ર માંગણી કરવામાં આવી હતી. ચારેકોરથી લોકોનો અવાજ ઉઠતા સરકારને મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવાની ફરજ પડી છે. ત્યારે આજે શહેર કોંગ્રેસ દ્વારા વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક શ્રી બહુચરાજી મંદિરના આંગણે ફટાકડા ફોડવામાં આવ્યા હતા. અને માતાજીના દર્શન કરીને મોહનથાળનો પ્રસાદ ચઢાવી પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો.

મોહનથાળના પ્રસાદથી મોં મીઠુ કર્યું
મંદિર બહાર જય જય કાર
કારેલીબાગ બહુચરાજી મંદિર ખાતે કોંગ્રેસ દ્વારા આયોજીત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો જોડાયા હતા. કાર્યકરો દ્વારા આયોજીત કાર્યક્રમે પસાર થતા લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. કોંગ્રેસના કાર્યક્રમમાં સ્થાનિક લોકો પણ જોડાયા હતા. અને મોહનથાળનો માતાજીને ચઢાવેલો પ્રસાદ ગ્રહણ કર્યો હતો. મંદિર બહાર એકઠા થયેલા કોંગ્રેસ કાર્યકરો અને સ્થાનિક લોકોએ માતાજીના જય જય કાર કર્યા હતા.