વડોદરા44 મિનિટ પહેલા
- કૉપી લિંક

રાવપુરા પોલીસ સ્ટેશન(ફાઇલ તસવીર.
ખોટી વેરા પાવતી રજૂ કરીને વીજ કનેક્શન મેળવનાર બે ગ્રાહક સામે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલ ગજાનંદ પાર્ક બ્લોક નં-2માં રહેતા રાકેશભાઈ ભુપેન્દ્રભાઈ અમીન(ઉ.55)એ રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું રાવપુરા ટાવર પેટા વિભાગીય કચેરી ખાતે છેલ્લા બે વર્ષથી ડેપ્યુટી એન્જિનિયર તરીકે ફરજ બજાવુ છું. મારી ફરજમાં જીઇબીના નવા કનેક્શન મંજૂર કરવાના હોય છે અને નવા કનેક્શન માટે ફોર્મ ભરીને સર્વે કર્યાં બાદ જે-તે વ્યક્તિને કનેક્શન આપવાનું હોય છે.
રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
ટાવર પેટા વિભાગીય કચેરીમાં જાકીર હુશેન મહેરહુશેન શેખે (રહે. મચ્છીપીઠ, રાવપુરા) ખાસવાડી સ્મશાન સામે કોરોના કબ્રસ્તાન કારેલીબાગ ખાતે શોપ માટે વીજ જોડાણ મેળવવા માટે દસ્તાવેજી પુરાવા રજૂ કર્યાં હતા. જે બાબતે મેં ટીમ સાથે સર્વે કર્યો હતો અને 4 નવેમ્બર-2021ના રોજ તેઓનું વીજ કનેક્શન ચાલુ કરેલ હતું. આ ઉપરાંત રવિ મહેન્દ્રભાઈ રાજપૂતે (રહે. કારેલીબાગ) જરૂરી દસ્તાવેજ પુરાવા રજૂ કરી ખાસવાડી રોડ ઢોરોના ડબ્બા સામે કારેલીબાગ ખાતે વીજ જોડાણ મેળવ્યું હતું. આ બંને ઇસમોએ ખોટી વેરા પાવતી રજૂ કરીને વીજ કનેક્શન મેળવ્યું હોવાનું બહાર આવતા બંનેનું વીજ કનેક્શન બંધ કરવામાં આવ્યું હતું અને MGVCL સાથે છેતરપિંડી કરનાર બંને સામે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.