ભરૂચએક કલાક પહેલા
- કૉપી લિંક
- બિલ નહિ ભરતા 3002 જોડાણો કાયમી કટ, રૂપિયા 1.79 કરોડની વસુલાત માટે કોર્ટ રાહે થશે કાર્યવાહી
- માર્ચ મહિનામાં વીજ કંપની દ્વારા 6 લાખ ગ્રાહકો પાસેથી 76.55 કરોડની વીજ બીલની વસુલાત
નાણાંકીય વર્ષ 2022-23 માં વીજ બિલ ભરવામાં નિષ્ફળ ગયેલા ગ્રાહકો સામે DGVCL ભરૂચ સર્કલે માર્ચમાં તવાઈ બોલાવી 1.47 લાખ જોડાણો કાપી નાખતા 43.50 કરોડની વસુલાત થઈ છે.
ભરૂચ દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વીજ બિલ ભરવામાં અખાડા કરતા કે નિષ્ફળ રહેલા ગ્રાહકો સામે માર્ચ મહિનામાં રીકવરી ઓપરેશન હાથ ધરાયુ હતું. ભરૂચ સર્કલમાં સમાવિષ્ટ 5 ડિવિઝન અને 23 જેટલા સબ ડિવિઝનની ટીમોએ ભરૂચ અને નર્મદા જિલ્લામાં માર્ચ મહિનામાં રીકવરી ઓપરેશન હાથ ધર્યું હતું.
બન્ને જિલ્લાના 1 લાખ 47 હજાર 465 ગ્રાહકોએ વીજ બિલ ન ભર્યા હોય તેમના જોડાણો કાપી નખાતા દોડધામ મચી ગઇ હતી. જેમાં બાકીદારોએ 43.50 કરોડ ભરી દેતા પુનઃ જોડાણો શરૂ કરાયા હતા. જ્યારે 3002 વીજ ગ્રાહકોએ રૂપિયા 1.79 કરોડનું બિલ નહિ ભરતા તેમનું વીજ કનેક્શન કાયમી કટ કરી દેવાયું છે. હવે આ 3 હજાર ગ્રાહકો પાસેથી વીજ બીલની વસુલાત કરવા DGVCL તેમની મિલકતો ઉપર બોજો પાડી કોર્ટ રાહે વસૂલીની કાર્યવાહી કરશે.
માર્ચ મહિનામાં જ ભરૂચ વીજ કંપનીને 6 લાખ ગ્રાહકો પાસેથી કુલ રૂપિયા 76.55 કરોડની વીજ બીલની વસુલાત થઈ છે. જેમાં પ્રવર્તમાન મહિનાના બીલધારકોની 32.05 કરોડની રકમનો સમાવેશ થાય છે.