મોરબીએક કલાક પહેલા
- કૉપી લિંક

વાંકાનેર બાઉન્ડ્રી નજીક અવાવરૂ સ્થળેથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જે મૃતકના ગળાના ભાગે ઈજાના નિશાન મળી આવતા પોલીસે હત્યાની આશંકા સાથે બનાવની વધુ તપાસ ચલાવી હતી. જેમાં બનાવ હત્યાનો હોવાનું ખુલ્યું છે અને પૈસાની લેતીદેતીમાં હત્યા કરવામાં આવી હોય જે બનાવ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.
મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ વાંકાનેરના મેસરિયા રોડ પર રહેતા હરપાલસિંહ કલ્લુસિંહ ભદોરીયાએ આરોપી જીતેન્દ્રસીંહ ઉર્ફે જેકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, તેઓ મૂળ મધ્ય પ્રદેશના વતની છે અને છેલ્લા 17 વર્ષથી ગુજરાતમાં રહે છે. તેઓ છેલ્લા વિસેક દિવસથી મેસરીયા રોડ રંગપર ખાતે આવેલા સેંડબેરી ફાયબર નામના નવા બનતા કારખાનામાં રહે છે અને તેજ કારખાનામાં કલરકામનો કોન્ટ્રાક્ટ રાખેલો છે. તેમની નીચે ચાર મજુર જીતેન્દ્રસીંહ ઉર્ફે જેકીભાઇ મંગલસિંહ રાજાવત, માનસીંહ ગોવીંદસીંહ રાજાવત, જીવન ઉર્ફે લલ્લુ બીજેન્દ્રસીંહ રાજાવત અને રાજુકુમાર પ્રજાપતી કલરકામનું મજુરીકામ કરે છે.
ગત તારીખ 20/03/2023ના રોજ બધા કારખાનામાં સુતા હતા. ત્યારે મોડીરાત્રીના આશરે બારેક વાગ્યાના અરસામાં જેકી તથા રાજુ પ્રજાપતિ વચ્ચે પૈસાની લેવડ દેવડ બાબતે ઝઘડો થયો હતો. હરપાલસિંહ નામના વ્યક્તિએ તેમને ઝઘડો કરવાની ના પાડી શાંત પાડ્યા હતા. 21 માર્ચના રોજ સવારે આઠેક વાગ્યે તેમણે કહ્યું હતું કે, ‘કામ ઉપર ચાલો’ તો જેકીભાઈએ તેમને કહ્યું કે ‘મારે આજે રજા રાખવાની છે’. રાજુભાઈએ આગલા દિવસે હરપાલસિંહને કહ્યું હતું કે ‘મારે મારા બાળકોને ખબર અંતર પૂછવા રાજકોટ જવું છે’ જેથી હરપાલસિંહે તેના હિસાબના રૂપિયા પણ આપી દીધેલા હતા.
જે બાદ રાજુભાઈ તથા જેકીભાઈ બંને એ વાતચીત કરી ચોટીલા જવાનું કહી એકસાથે ત્યાંથી નીકળી ગયા હતા. હરપાલસિંહ, માનસિંહ તથા લલ્લુ એમ ત્રણેય તેમના કામ ઉપર જતાં રહ્યા હતા. બાદમાં બપોરે ત્રણેય જણા આરામ કરવા માટે રૂમે આવ્યા હતા. તે વખતે જેકીભાઈ પાછા રૂમે આવ્યા હતા. તે એકદમ ગભરાયેલા હતા. જેથી હરપાલસિંહે તેમને કહ્યું કે ‘રાજુભાઈ ક્યાં છે?’ તો આ જેકીએ કહ્યું કે ‘તેને રાજકોટ ઘરે જવું હતું એટલે તે રાજકોટ જતા રહ્યા છે’. જેકીએ કહ્યું, ‘મેરા હિસાબ કર દો, વરના મે તુમ્હે ચાકુ માર દુંગા’ તેમ કહી તેની પાસે રહેલ છરી બહાર કાઢી હતી. જેથી હરપાલસિંહે જેકીને કહ્યું કે ‘તુ મજાક કરે છે કે સાચુ કહે છે, હું હમણાં પોલીસને ફોન કરીને બોલાવુ છુ.’ તો જેકીએ કહ્યું કે ‘હું મજાક કરું છુ. તેમ કહી તે સુઈ ગયો હતો. ત્યારબાદ હરપાલસિંહ અને તેના સાથી શ્રમિકો કામે ગયા હતા.
એ જ દિવસે સાંજે છ વાગ્યાના અરસામાં રૂમે આવેલા ત્યારે જેકીભાઈ રૂમે સુતા હતા અને આ વખતે ફરીથી જેકીએ હરપાલસિંહને કહ્યું કે ‘હિસાબના પૈસા મને આપી દો, મારે ગામે જવું છે’ તેમ કહેતા હરપાલસિંહે તેને કહ્યું કે ‘રાજુભાઈ હજુ સુધી આવેલા નથી. રાજુભાઈ આવી જાય પછી તું નીકળી જજે તથા હાલ મારી પાસે પૈસા પણ નથી. શેઠ આવે એટલે તેમની પાસેથી લઈને આપી દઇશ’. 22 માર્ચના રોજ બીજા દિવસે સવારે ફરીથી જેકીભાઈએ હરપાલસિંહને હિસાબના પૈસા આપી દેવાનું કહ્યું. પરંતુ હરપાલસિંહે જેકીને કહ્યું કે ‘શેઠ આવે એટલે આપીશ’ તેમ કહેતા જેકીભાઈએ હરપાલસિંહને ગાળો આપી હતી. હરપાલસિંહે પોલીસને બોલાવવાની વાત કરતા જેકી રૂમ પરથી તેનો સામાન લઈ જતો રહ્યો હતો. જે બાદ હરપાલસિંહ તેમના સાથી શ્રમિકો સાથે ફેક્ટરીએ કલરકામ કરતો હતો. તે વખતે વાંકાનેર તાલુકા પોલીસની ટીમ ત્યાં આવતા તેમણે મૃતદેહના ફોટા બતાવતા તે રાજકુમાર જીવલાલ પ્રજાપતી હોવાનું હરપાલસિંહે ઓળખી બતાવ્યું હતું.
જે બાદ માનસિંહે હરપાલસિંહને વાત કરેલી કે, આ જેકીએ ગઇકાલે રાત્રીના સમયે માનસિંહને વાત કરેલી હતી કે, તારીખ 21/03/2023ના રોજ તે તથા રાજુ એમ બન્ને જણા ચોટીલા ગયેલા હતા. ત્યાં બંને વચ્ચે બોલાચાલી થયેલી, ત્યારબાદ બન્ને જણા ચોટીલાથી શટલમાં બેસી વાંકાનેર બાઉન્ડ્રીની ગોળાઇએ પહોંચેલા. ત્યારે સવારના આશરે સાડા દસથી અગિયારેક વાગ્યા વખતે ફેક્ટરીએ પાછા આવવા માટે ભાડાના વાહનની રાહ જોતા હતા. તે વખતે આ રાજુ ગોળાઇની ઝાડીમાં કુદરતી ક્રીયા કરવા જતા જેકી પણ તેની પાછળ ગયો અને ત્યાં ઝાડીમાં રાજુએ જેકીને પૈસા આપી દેવા બાબતે ગાળો આપી ઝઘડો કરતા જેકીએ તેની પાસેની છરીથી રાજુની હત્યા કરી હતી. વાંકાનેર તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.