- Gujarati News
- Local
- Gujarat
- Gandhinagar
- For The First Time In The History Of Gandhinagar, Habitual Usurer Rajni Patel Has Been Jailed Under Penalty, Booked For Usury Including Abetting Suicide.
ગાંધીનગરએક કલાક પહેલા
- કૉપી લિંક

રાજયમાં ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ તેમજ આત્મહત્યાના દુષ્પ્રેરણા હેઠળ ગાંધીનગરનાં ઈતિહાસમાં પ્રથમ વખત વ્યાજખોરને પાસા હેઠળ જેલમાં ધકેલી દઈ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગાંધીનગરના કુડાસણ રહેતાં મૂળ કોલવડાનાં રીઢા વ્યાજખોર રજનીકાંત પટેલ વિરુદ્ધ શહેરના ત્રણ પોલીસ મથકમાં ગુના દાખલ થયાં હતા. જેમાં એક લેણદારને વ્યાજનાં પૈસા માટે વ્યાજખોર રજની પટેલ દ્વારા અનહદ ત્રાસ આપવામાં આવ્યો હતો. જેનાં પગલે લેણદારે સ્યુસાઇડ નોટ લખીને આપઘાત કરી લેવાની નોબત આવી હતી.
ગુજરાતમાં છેલ્લાં ઘણાં વખતથી વ્યાજના દૂષણનાં કારણે આખે આખા પરિવારનો માળો વીખરાઈ જવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી રહેતી હોય છે. નાની મોટી રકમ સામે વ્યાજખોરો દ્વારા તગડું વ્યાજ વસૂલીને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો રહેતો હોવાના કિસ્સા પણ બહાર આવ્યા છે. જેનાં પગલે વ્યાજખોરો ઉપર લગામ લગાવવા માટે રાજય સરકાર ધ્વારા ગુજરાત નાણા ધીરધાર અધિનિયમનો કાયદો લાગુ કરવામાં આવતાં જ વ્યાજખોરો ફફડી ઉઠયા છે.ત્યારે પોલીસ પણ કાયદા હેઠળ ગુના દાખલ કરીને કડકાઈથી કાર્યવાહી હાથ ધરી રહી છે.
ગુજરાત રાજયમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા વ્યાજખોરો વિરુધ્ધ છેલ્લા ઘણા સમયથી ઝુંબેશ શરૂ કરાઈ છે. જે અન્વયે વ્યાજખોરોના ચુંગલમાંથી લોકો બહાર કાઢવા અને પ્રજાનો વિશ્વાસ ઉભો થાય તે માટે પોલીસ વ્યાજખોરો સામે સખ્તમાં સખ્ત પગલાં ભરવા એક્ટિવ થઈ છે.
જેનાં ભાગરૂપે લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ દિવાનસિંહ વાળા દ્વારા વ્યાજખોરીના કેસોમા સંડોવાયેલ ઇસમોની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. જેમાં રજનીકાંત અંબાલાલ પટેલ (રહે. 54,વૃંદાવન બંગલો, કુડાસણ, મૂળ કોલવડા) વિરુધ્ધ ગાંધીનગર જીલ્લામાં કુલ-3 ગુના નોંધાયેલ હતા. જે ગુનાઓ ધ્યાને લઇ રીઢા વ્યાજખોર રજની પટેલનાં ત્રાસ કારણે એક લેણદારને જીવ ગુમાવવાનો પણ વખત આવ્યો હોવાનું બહાર આવ્યું હતું.
તેમજ રજની પટેલ વ્યાજખોરીના ધંધાનો રીઢો ગુનેગાર હોવાથી તેની સામે પાસા દરખાસ્ત તૈયાર કરવા તાબાના એ.એસ.આઇ વિરભદ્રસિંહ લક્ષ્મણસિંહ રાણાને સૂચના આપી હતી. જે અન્વયે એએસઆઇ વિરભદ્રસિંહે આરોપીના ગુનાહિત ઈતિહાસની વિગતવાર યાદી બનાવીને પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલી અપાઈ હતી.
ત્યારે ઉપરોકત ઈસમ વિરુધ્ધ ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ હેઠળ તથા આત્મહત્યાના દુષ્પ્રેરણા બાબતે નોંધાયેલ ગુનાને ધ્યાને લઇ ગાંધીનગર મેજીસ્ટ્રેટ દ્વારા પાસા દરખાસ્ત મંજુર કરાઈ હતી. જે હુકમનાં પગલે એલસીબીએ ગણતરીના દિવસોમાં રજની પટેલને શોધી કાઢી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.
નોંધનીય છે કે રજની પટેલ વિરુદ્ધ સેકટર-21, સેકટર-7 પોલીસ સ્ટેશનમાં જુદા જુદા ગુના નાણા ધીરધાર અધિનિયમ હેઠળ નોંધાયેલ છે. અને તેના સાગરિતોના ગેરકાયદેસર વ્યાજ વસુલીના કારણે કોલવડા ગામના એક વ્યકિતએ આત્મહત્યા કરેલ. જે બાબતે પેથાપુર પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાયેલ હતો. રજની પટેલ જરૂરિયાતમંદ લોકોને વ્યાજે પૈસા આપી ત્યારબાદ ઊંચુ વ્યાજ ગણી નાણાની વસુલાત કરતો હતો. અને પૈસા ન આપે તો લેણદારની મિલ્કતોનો ખોટો ગીરો કરાર લેખ બનાવી પૈસા આપવા દબાણ કરી દસ્તાવેજ કરી આપવા મજબુર કરતો હતો. જેનાથી લોકો ખુબ જ ત્રાહીમામ પોકારી ઉઠયા હતા.