અરવલ્લી (મોડાસા)39 મિનિટ પહેલા
વિદ્યાર્થીઓની સફળતા માટે યજ્ઞ…
કોઈપણ દેવી દેવતા હોય તેમના પર કાર્ય સફળતા માટે અનોખી શ્રદ્ધા હોય છે. ત્યારે મેઘરજ ગાયત્રી પ્રજ્ઞા પીઠ દ્વારા બોર્ડ પરીક્ષાના વિદ્યાર્થીઓની સફળતા માટે યજ્ઞ યોજાયો.

આગામી દિવસોમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા છે. ત્યારે વેદમાતા ગાયત્રી અને ગુરુજીના આશીર્વાદ વિદ્યાર્થીઓને પ્રાપ્ત થાય અને વિદ્યાર્થીઓ સફળ થાય તે માટે ગાયત્રી પરિવાર મેઘરજ દ્વારા એક ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞમાં ધોરણ 10 અને 12ના 60 વિદ્યાર્થી ભાઈ બહેનોએ યજ્ઞમાં પૂજા કરી હતી.

યજ્ઞમાં આહુતિ આપીને બોર્ડની પરીક્ષામાં સારી સફળતા માટે પ્રાર્થના કરી હતી. મેઘરજ ગાયત્રી પરિવાર પ્રજ્ઞા પીઠના આચાર્ય અશોક ઉપાધ્યાયે દરેક વિદ્યાર્થી ભાઈ બહેનોને સફળતા માટે બોલપેન આપીને શુભેચ્છાઓ સાથે આશીર્વાદ આપ્યા હતા.

સત્યમ હાઈસ્કૂલનો વાર્ષિકોત્સવ ઉજવાયો…
શાળા હોય કે કોલેજ કોઈપણ વિદ્યાર્થીઓમાં અનેક પ્રકારની કળા રહેલી હોય છે. પણ આ સુષુપ્ત કલા શક્તિને ઉજાગર કરવાનો મોકો મળતો નથી. ત્યારે અભ્યાસ કાળ દરમિયાન આવી શક્તિઓને બહાર લાવવાની તક વાર્ષિકોત્સવ દ્વારા કલા રજૂ કરીને મળતી હોય છે. ત્યારે મોડાસા શહેરમાં આવેલી અખિલ આંજણા સમાજ સંચાલિત આર જે પટેલ સત્યમ હાઈસ્કૂલનો વાર્ષિકોત્સવ ઉજવાયો હતો.

મોડાસા શામળાજી બાયપાસ રોડ પર અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આર જે પટેલ સત્યમ વિદ્યાલય આવેલું છે. આ સત્યમ વિદ્યાલયનો વર્ષિકોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ, અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ, હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સત્યમ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ અલગ અલગ પ્રાદેશિક નૃત્ય, એક પાત્રીય અભિનય અને ગુજરાતી પ્રાચીન ગરબા રજુ કર્યા હતા. તમામ કૃતિઓ આબેહૂબ હતી. જેને ઉપસ્થિત આબાલવૃદ્ધ સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત મંત્રીએ સૌ વિદ્યાર્થીઓને પોતાનામાં રહેલી છૂપી કલા શક્તિઓને બહાર લાવવા આવા વાર્ષિકોત્સવમાં ભાગ લઈને આપણા જિલ્લાનું નામ સમગ્ર દેશ અને દુનિયામાં રોશન થાય એવા પ્રયત્નો કરવા જોઈએ.

