- Gujarati News
- Local
- Gujarat
- Junagadh
- The Girnar Doli Association Submitted A Petition To The Collector Regarding The Demands, Including The Shifting Of Non business Shops.
જુનાગઢ27 મિનિટ પહેલા
- કૉપી લિંક
વર્ષોથી ભવનાથ આવતા યાત્રાળુ, માં અંબાના મંદિરે, જૈન દેરાસર અને દત્તાત્રેય ભગવાનના દર્શન કરવા સીડી મારફતે પર્વત પર જતા હતા. તેમજ જે યાત્રાળુઓ પગપાળા ન જઈ શકે તેમ હોય તેઓને ડોળી મારફત જૈન દેરાસર અને મા અંબા અને દત્તાત્રેય ભગવાનના દર્શનાર્થે પહોંચાડવામાં આવતા હતા. જોકે, રોપવે બનવાથી ભવનાથ આવતા ઘણા શ્રદ્ધાળુ ગિરનાર પર્વત પર રોપ- વે દ્વારા જાય છે. જેને કારણે વર્ષોથી ડોળીધારકોએ બેરોજગારીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરે તેવી ડોળી ધારકોએ માંગણી કરી હતી. જે માંગણીઓને લઈ સરકાર દ્વારા ભવનાથ ખાતે જિલ્લા પંચાયત પાર્કિંગ ગ્રાઉન્ડ પર ડોળી ધારકો માટે દુકાનો બનાવી દેવામાં આવી હતી. વર્ષો વીત્યા બાદ પણ બનાવેલી દુકાનો ડોળી ધારકો દ્વારા સ્વીકારવામાં આવી નથી. તે દુકાનો છેવાડે છે. જેથી વેપાર ધંધા ચાલતા નથી. જેથી રોપ- વે ની આસપાસની જગ્યા પર ડોળી ધારકોને દુકાનો બનાવી દેવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

આ બાબતે આજે ડોળી એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, ગિરનાર ડોળી એસો.અને ઉષા બ્રેકો કંપની તથા સરકાર સાથે થયેલી સમજુતીનો અમલ પૂર્ણ રીતે થાય, દુકાનો છેક મેદાનમાં છેવાડે આવેલી હોવાથી રોજગાર ચાલતો નથી માટે આ દુકાનો વેલાવડની જગ્યાએથી રોપ-વે સુધીના રસ્તા પર બનાવી આપવામાં આવે. જે ડોળીવાળા મૃત્યુ પામેલા છે તેના વારસદારોને દુકાન આપવાની બાકી હોય તેનો અમલ તાત્કાલિક કરવામાં આવે, મેળા અને પરિક્રમા દરમિયાન એસ.ટી. તથા ખાનગી વાહનોના મેદાનમાં પાર્કીંગ કરી દેવામાં આવતા દુકાનો સુધી લોકો આવી શકતા નથી અને ધંધા રોજગારનો લાભ મળતો નથી માટે દુકાનોને રોજગાર પ્રાપ્ત થાય તે માટે ભવનાથ તળાવની પાળ પાસે અથવા રોપવેના રોડ પર પાર્કીગ બનાવી આપવામાં આવે.

આ બાબતે ડોળી એસોસિએશનના પ્રમુખ રમેશ બાવળીયા એ જણાવ્યું હતું કે, આજે જૂનાગઢ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં વિવિધ માંગણીઓને લઈ જણાવવામાં આવ્યું હતું કે, ડોળી ધારકો બેરોજગાર બનતા સરકાર દ્વારા અગાઉ જે દુકાનો આપવામાં આવેલી છે તે છેવાડે છે અને તે દુકાનો વેપાર ધંધા માટે ચાલતી નથી. ત્યારે રોપ- વે ની આસપાસની જગ્યા પર ડોળી ધારકોને દુકાનો બનાવી દેવામાં આવે. તેમજ જે તે સમયે ડોળી ધારકો 174 જેટલા હતા, પરંતુ દુકાનો 104 જેટલી જ બનાવી દેવામાં આવેલ છે. તો બાકી રહેલા ડોળી ધારકોને પણ ફરીથી દુકાનો બનાવી દેવામાં આવે તેવુ જણાવ્યું હતું.