Saturday, March 18, 2023

રાજ્યમાં H1N1 અને H3N2ની 171 લેબમાં ટેસ્ટિંગ સુવિધા, જરૂર જણાય તો 200થી વધુ લેબમાં ટેસ્ટિંગ માટે ઉભી કરાશે | Testing facility of H1N1 and H3N2 in 171 labs in the state, if required, more than 200 labs will be set up for testing. | Times Of Ahmedabad

અમદાવાદ27 મિનિટ પહેલા

એક તરફ કોરોના વાઇરસનો કહેર બીજી તરફ કોરોના વાઇરસ જેવાં જ લક્ષણો ધરાવતા ફ્લૂએ માથું ઊંચક્યું હોય તેમ ગુજરાતમાં સામાન્ય શરદી, ઉધરસ, તાવ અને ગળામાં બળતરા થાય તેવાં લક્ષણોવાળા દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. રાજયમાં છેલ્લાં થોડા દિવસોથી H3N2 એટલે કે ઇન્ફલુએન્ઝા વાયરસના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભામાં H3N2ની પરિસ્થિતી વિશે જણાવ્યું હતું.

સીઝનલ ફ્લુની સારવાર વર્ષોથી ઉપલબ્ધ
ઋષિકેશ પટેલના વિધાનસભામાં જણાવ્યા અનુસાર આ વાયરસની ગંભીરતાને કોરોના સાથે સરખાવવાની જરૂર નથી. H3N2 સીઝનલ ફ્લુની સારવાર વર્ષોથી રાજ્ય અને દેશમાં ઉપલબ્ધ છે. આ રોગથી સંક્રમિત દર્દીની સારવાર માટેની ઓસ્લેટામાવીર દવા કારગત સાબિત થાય છે. જેનો 2,74,400 જેટલો જથ્થો રાજ્યના વેરહાઉસ ખાતે ઉપલબ્ધ છે.

H1N1 સીઝનલ ફ્લુના ટેસ્ટીંગની સુવિધા ઉપલબ્ધ
રાજ્યમાં 111 સરકારી લેબ અને 60 ખાનગી લેબમાં હાલ H1N1 સીઝનલ ફ્લુના ટેસ્ટીંગની સુવિધા ઉપલબ્ધ છે. વધુમા જરૂર જણાયે કુલ 200થી વધુ લેબમાં ટેસ્ટીંગ સુવિધા ઉપલબ્ધ કરાવી શકાય તે પ્રકારનું સરકારે આયોજન હાથ ધર્યું છે. મંત્રીએ વધુમાં કહ્યું હતુ કે, ઇન્ફ્લુએન્ઝા-એ પોઝિટિવ અને H1N1 પોઝિટિવ આવે ત્યારે તે દર્દીન H1N1 પોઝિટિવ ગણવામાં આવે છે. જ્યારે ઇન્ફ્લુએન્ઝા-એ પોઝિટિવ હોય અને H1N1 નેગેટીવ હોય ત્યારે દર્દીને H3N2 શંકાસ્પદ પોઝિટિવ ગણીને સારવાર હાથ ધરવામાં આવે છે.

H3N2 ઇન્ફ્લુએન્ઝાથી ગભરાવવાની જરૂર નથી
મંત્રીએ વધુમાં જણાવ્યું છે કે, રાજ્યમાં છેલ્લા ત્રણ મહિનામાં H1N1ના 80 અને H3N2 સીઝનલ ફ્લુના 06 કેસોનો નોંધાયા છે. H3N2 સીઝનલ ફ્લુના સંક્રમણથી રાજ્યમાં એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. H3N2 ઇન્ફ્લુએન્ઝાથી ગભરાવવાની જરૂર નથી. કોરોના સાથે આ વાયરસના સંક્રમણની સરખામણી ન કરવા મંત્રીએ અનુરોધ કર્યો છે.

કોરોના જેવી સાવચેતી રાખો
કોરોનાની ઘાતક બીજી લહેર હજુ પણ લોકો ભૂલી શક્યા નથી તેવામાં હવે ગુજરાતમાં કોરોના બાદ H3N2 નામના નવા વાઈરસની શરૂઆત થવા પામી છે. આ બધા વચ્ચે રાજકોટ એઇમ્સના ડાયરેક્ટર સી.ડી.એસ.કટોચે મહત્ત્વનું નિવેદન આપતાં જણાવ્યું હતું કે આ વાઈરસ પણ અન્ય વાઈરસની જેમ સામાન્ય વાઈરસ જ છે. લોકોએ ડરવાની કોઈ જરૂર નથી. કોરોના સમયે જેવી રીતે સાવચેતી રાખવામાં આવતી હતી તેવી જ સાવચેતી લોકોએ રાખવી પડશે, પરંતુ વાઇરસથી ડરવાની જરૂર નથી.

સ્વાઇન ફ્લૂથી મ્યુટેટ થયેલો H3N2 વાઈરસ
રાજકોટ એઇમ્સના ડાયરેક્ટર સી.ડી.એસ.કટોચે જણાવ્યું કે, H1N1 એટલે કે સ્વાઇન ફ્લૂથી મ્યુટેટ થયેલા H3N2 વાઈરસ. આ વાઈરસથી ગભરાવવાની કોઈ જરૂર નથી. આ ફ્લૂના કારણે દર્દીઓ 3-4 સપ્તાહ સુધી શરદી-ઉધરસની બીમારીઓથી પીડાતા હોય છે. આવા સંજોગોમાં ફરી કોવિડ ગાઇડ લાઇનના નિયમોનું પાલન અને સાવચેતી જ બધા લોકોને વાઈરસના બમણા એટેકથી બચાવી શકશે.

H3N2 રિપોર્ટના 4500 રૂપિયા, હવે ભાવ બાંધણું આવશે
કોરોના બાદ હવે સીઝનલ ફ્લૂના નવા વેરિયન્ટ H3N2ને લઈને લોકોમાં જાગૃતિ આવે તે માટે તંત્ર મહેનત કરી રહ્યું છે. જોકે આ રોગચાળામાં પણ કેટલીક ખાનગી લેબોરેટરીએ કમાણીની તક શોધી લીધી છે અને અમુક તબીબોના આધારે નિયમ વિરુદ્ધ ટેસ્ટિંગ કરીને રિપોર્ટ દીઠ 4500થી 5500 રૂપિયા તોડી રહી છે. આ પ્રવૃત્તિને લઈને હવે સીઝનલ ફ્લૂના ટેસ્ટ માટે ભાવ બાંધણું કરીને ઉઘાડી લૂંટ પર નિયંત્રણ લાવવાનું નક્કી કરાયું છે.

ખાનગી લેબોરેટરીએ કમાણીની તક શોધી લીધી
H3N2ના કેસમાં સીધા કોઇ પણના ટેસ્ટ કરી શકાતા નથી. સૌથી પહેલા કોરોના અને H1N1ના ટેસ્ટ કરાય છે અને સારવાર કરાય છે. જો દર્દી ગંભીર હોય અથવા તો કેટેગરી સી એટલે કે અગાઉથી કેન્સર, એઈડ્સ કે ઓર્ગન ફેઈલ્યોરની બીમારી હોય હાઈરિસ્ક ડિલિવરી હોય તે જ કેટેગરીના દર્દીના સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલવાના છે જો ખાનગી લેબ કે ખાનગી હોસ્પિટલમાં આવા દર્દી હોય તો સેમ્પલ મોકલીને તેની જાણ લગત આરોગ્ય તંત્રને કરવી તેવી ગાઈડલાઈન કેન્દ્ર સરકારે નક્કી કરી છે.

રિપોર્ટ દીઠ 4500થી 5500 રૂપિયા લેવામાં આવે
આ નિયમનું પાલન માત્ર સરકારી હોસ્પિટલમાં જ થતું હોય તેવી સ્થિતિ છે કારણ કે ખાનગીમાં બેફામ ટેસ્ટ થઈ રહ્યા છે. ખાનગી હોસ્પિટલમાં જે પણ દર્દી નિદાન માટે જાય અને હળવા લક્ષણો હોય તો પણ H3N2ના રિપોર્ટનો આગ્રહ કરાય છે અને ખાનગી લેબમાં મોકલી દેવાય છે અને ત્યાં રિપોર્ટ દીઠ 4500થી 5500 રૂપિયા લેવામાં આવે છે. આ દર્દી કેટેગરી સી માં આવતું ન હોવાથી આ ટેસ્ટના કોઇ પણ રેકોર્ડ મનપાની આરોગ્ય શાખા કે જિલ્લા આરોગ્ય વિભાગને મોકલાતા નથી તેથી જો કોઇ કેસ પોઝિટિવ હોય તો પણ તંત્રને ધ્યાને આવતું નથી.

ટેસ્ટના ભાવ બાંધણા કરવાનો નિર્ણય
આ ગંભીર બેદરકારી માત્રને માત્ર ખાનગી લેબ ટેસ્ટમાંથી વધુ પડતી કમાણી અને મેડિકલ માફિયાઓને કમિશન ચૂકવવા માટે કરી રહી છે તેવી બૂમ ઉઠતા આરોગ્ય વિભાગ સાબદું થયું છે અને ખોટા ટેસ્ટ મારફત થતા લોકોના પૈસાનો વ્યય અટકાવવા માટે ટેસ્ટના ભાવ બાંધણા કરવાનો નિર્ણય કરાયો છે. આ માટે મેડિકલ કોલેજના 3 માઈક્રોબાયોલોજિસ્ટ સહિત કુલ 5 માઈક્રોબાયોલોજિસ્ટની ટીમ બનશે જે ભાવ નક્કી કરશે અને આરોગ્ય વિભાગ હુકમ કરશે. અધિક નિયામક નિલમ પટેલે જણાવ્યું હતું કે, બેઠકમાં ચર્ચા બાદ સી કેટેગરીના દર્દીના સેમ્પલ લેવા જ સૂચના અપાઈ છે. નિયમભંગ કરનાર સામે કાર્યવાહી અંગે સરકારમાંથી મંજૂરી આવ્યા બાદ પગલાં લેવાશે.

દર્દીઓના ટેસ્ટ સિવિલમાં કરાઈ તો લૂંટ બંધ થાય
દર્દીને સામાન્ય લક્ષણ હોવા છતાં કેટલાક તબીબ બેફામ ટેસ્ટ કરાવી રહ્યા છે. આ ઉઘાડી લૂંટ રોકવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય સિવિલ હોસ્પિટલમાં ટેસ્ટ કરવાનો છે. અત્યારે ખાનગી હોસ્પિટલમાં કોઇને ટેસ્ટ કરવાનું કહેવામાં આવે તો તે ટેસ્ટ ખાનગીમાં જ થાય છે તે ફાઈલ લઈને સિવિલમાં જાય તો ટેસ્ટ કરાતા નથી પણ તેણે સિવિલની ફાઈલ કઢાવી ત્યાંના તબીબ પાસે તપાસ કરાવી જો તે તબીબ લખી દે તો જ ટેસ્ટ કરી શકાય છે. તેને બદલે ખાનગી હોસ્પિટલના તબીબે લખેલા પ્રિસ્ક્રિપ્શન પર વિનામૂલ્યે ટેસ્ટ કરવાની છૂટ આપવાની જરૂરિયાત છે આ કારણે ખાનગી લેબમાં ઉઘાડી લૂંટ પર અંકુશ આવશે અને ખરેખર કેટલા તબીબો ટેસ્ટ માટે આગ્રહ રાખે છે તે પણ સ્પષ્ટ થઈ શકે છે. સ્વાઈન ફ્લૂની મહામારી હતી ત્યારે ખાનગી હોસ્પિટલમાંથી આવતા સેમ્પલ સીધા જ સિવિલમાં મોકલી શકાતા હતા અને દર્દીઓ પર ખોટા ખર્ચનું ભારણ આવતું ન હતું.

નિયમ ભંગ કરનાર સામે કાર્યવાહી
કેટેગરી સી સિવાયના દર્દીઓના બેફામ ટેસ્ટ થાય છે તેના વિરુદ્ધ એપેડેમિક એક્ટ મુજબ કાર્યવાહી થાય તો ખોટી કમાણી કરતા તત્ત્વોને અટકાવી શકાય. આ અંગે આરોગ્યના સૂત્રોએ જણાવ્યું હતું કે, સરકારમાંથી મંજૂરી બાદ નિયમભંગ કરનાર સામે પગલાં લેવામાં આવશે.

H3N2 વાઇરસ શું છે?
H3N2 વાઈરસ એક પ્રકારનો ઈન્ફ્લ્યૂએન્ઝા વાઈરસ છે જેને ઈન્ફલ્યૂએન્ઝા એ વાઈરસ પણ કહેવામાં આવે છે. આ એક શ્વાસ સંબંધિત વાઇરલ ઇન્ફેક્શન છે જે દર વર્ષે રોગોનું કારણ બને છે. ઈન્ફ્લ્યૂએન્ઝા એ વાઈરસનો પેટા પ્રકાર છે જે 1968માં શોધવામાં આવ્યો હતો.

તાવ કેટલા દિવસ સુધી રહે છે?
ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન (IMA)નું માનવું છે કે ઇન્ફેક્શનનાં લક્ષણો પાંચથી સાત દિવસ સુધી ચાલુ રહી શકે છે. H3N2થી તાવ ત્રણ દિવસ સુધી રહે છે. પરંતુ ઉધરસ ત્રણ અઠવાડિયાથી વધુ સમય સુધી ચાલુ રહે છે.

H3N2 ઈન્ફ્લ્યૂએન્ઝા છે?
લક્ષણો જોઈને કન્ફર્મ ન કહી શકાય. બ્લડ સેમ્પલ અને બીજા ટેસ્ટ કર્યા બાદ જ ખબર પડે છે કે, H3N2 કે પછી બીજી કોઈ બીમારી છે.

ક્યારે ખબર પડે છે?
મોટાભાગના કિસ્સાઓમાં ઈન્ફ્લ્યૂએન્ઝા માત્ર મેડિકલ કેર અને કાઉન્ટર દવા પર જ મટાડવામાં આવે છે. માથાનો દુખાવો અને તાવની દવા મેડિકલમાંથી લેવામાં કોઈ નુકસાન નથી. તે જ સમયે, જો તમે ડૉક્ટરની સલાહ લીધા વિના એન્ટિબાયોટિક્સ ખાઓ છો, તો જોખમ અનેકગણું વધી જાય છે. કેટલાક કિસ્સાઓમાં તે જીવલેણ પણ બની શકે છે. પરંતુ દર્દીને જોયા પછી અને તેની યોગ્ય તપાસ કર્યા પછી પણ જાણ કરી શકાય છે.

H3N2થી બેનાં મોત?
નોંધનીય છે કે સુરત અને વડોદરામાં શરદી, ખાસી-કફથી પીડિત બે મહિલાઓનાં મોત નીપજ્યાં છે. બન્ને ઘટનામાં દર્દીઓના H3N2થી મોત થયું હોવાની શંકા સેવાઇ રહી છે. ત્યારે સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતી 31 વર્ષીય પરિણીતા અને વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ થયેલ 58 વર્ષીય મહિલાનું ખરેખર H3N2થી મોત થયું છે કે કેમ? તે જાણવા માટે તેના બ્લડ સેમ્પલો ગાંધીનગર ખાતે મોકલી આપવામાં આવ્યાં છે. તેના રિપોર્ટ આવ્યા બાદ જ કારણ જાણી શકાશે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: