પાટણ11 મિનિટ પહેલા
પાટણના રાજપુર ગામમાં ધૂળેટીના પર્વમાં બળદોની સંખ્યા ઓછી હોઇ શણગાર સજેલા ટ્રેક્ટરમાં હાથિયાઓ કાઢવામાં આવ્યા હતા. અને પરંપરાગત ગામ પ્રદક્ષિણામાં સમગ્ર ગામ ઉમટ્યું હતું .રાજપુર ગામમાં લેઉવા પાટીદારો , ઠાકોરો , સહિત 2500ની વસતી ધરાવતાં ગામમાં 450 વર્ષ અગાઉ બ્રહ્માણી માતાના મંદિરની સ્થાપના કરાઇ હતી .ત્યારથી દર ધૂળેટીએ એકત્રિત થતાં ગામ લોકો પરંપરાગત ધાર્મિક ઉત્સવ ઊજવતાં હોય છે . જેમાં ધૂળેટીના દિવસે સવારે બહુચર માતાના મંદિરમાં ગામ લોકો ઉમટ્યા હતા જ્યાં રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો.બાદ માં બપોરે 3 વાગ્યે સમસ્ત ગામના લોક મેળાવડાની રંગત જામી હતી .

આ મેળાવડા બાદ સાંજે બ્રહ્માણી માતાજીનો હાથિયો નીકળ્યો હતો . આ હાથિયો છેલ્લા – 440 વર્ષથી બળદની ચાર જોડથી ગાડામાં નીકળતો હતો અને ગામના નાના બાળકોને બેસાડી ગામની પ્રદક્ષિણા કરાતી હતી . પરંતુ સમય જતાં બળદની જગ્યા ટ્રેક્ટરે લીધી છે . બળદોની સંખ્યા ઓછી થઇ છે અને બળદોના અભાવના કારણે હાથિયો છેલ્લા 15 વર્ષથી ચાર ટ્રેક્ટરમાં કાઢવામાં આવે છે . બુધવારે ટ્રેક્ટર ટ્રોલીને કાષ્ટથી શણગારવામાં આવી હતી .ગામની પ્રદક્ષિણા સમયે મહિલાઓ દ્વારા હાથિયાના વધામણા કરવામાં આવ્યા હતા .મોઢેરાના નાયક બંધુઓએ ચાચર ચોકમાં ભૂંગળ વગાડીને માતાજીની રમઝટ જમાવી હતી.


