નવસારીએક કલાક પહેલા
- કૉપી લિંક
નવસારી શહેરના લુનસીકોઈ મેદાનમાં રામકથાનું આયોજન થયું છે. ચૈત્ર માસમાં માં જગદંબાની આરાધના કરવા સાથે રામકથાનો ભાવથી રસપાન થઈ રહ્યું છે. કથા સાંભળવા માટે આજે સમાજનો જ એક ભાગ ગણાતા કિન્નર સમાજ પણ હાજર રહ્યો હતો. મોરારી બાપુના ભજન લલકારતા કિન્નર સમાજના સભ્યો સાથે કથાના યજમાન પ્રેમચંદ લાલવાણી પરિવારના સભ્યો પણ સ્ટેજ નીચે રામનામ સાથે ઝૂમી ઉઠ્યા હતા.
નવસારીમાં કાર્યરત કથા રસપાન કરવા માટે સમગ્ર ગુજરાત રાજ્યમાંથી વિવિધ રાજકારણીઓ અને ખ્યાતનામ હસ્તીઓ નવસારી પહોંચી રહી છે ત્યારે આજે કિન્નર સમાજે પણ કથાનો લાભ લીધો હતો. કથાની શરૂઆતમાં મોરારીબાપુએ આ મારો સમાજ છે તેવી વાત કહેતા શ્રોતાઓએ તાળીઓનો ગળગળાત કર્યો હતો.
નવસારી શહેરના પ્રેમચંદ લાલવાણી પરિવારના નિમિત્તમાત્રથી 22 મી માર્ચથી રામકથાનો પ્રારંભ થયો છે. કોઈ પણ સામાજિક સંસ્થાના લાભાર્થ વગર પ્રથમ વખત કથાનું આયોજન થયું છે. 22મીથી 30 મી માર્ચ સુધી રામ કથાનું રસપાન નવસારી જન કરશે. નવસારી પંથકમાં છેલ્લા 2009ની સાલમાં મોરારીબાપુની રામકથા લુન્સીકુઇ મેદાન ખાતે યોજાઈ હતી. જે બાદ 14 વર્ષ પછી પુન: આ જ મેદાન પર બાપુની કથા મધ્યમાં પહોંચી છે. 9 દિવસ ચાલનારી કથા માટે મોટી સંખ્યામાં મહિલાઓ તથા અન્ય સ્વંયસેવકો સેવા બજાવી રહ્યા છે. કથા દરમિયાન વાહનોના પાર્કીંગ માટે અલાયદી વ્યવસ્થાઓ કરાઇ છે તથા પાર્કિંગ સ્થળેથી કથા સ્થળે જવા આવવા પણ વાહનોની વ્યવસ્થા કરાઇ છે. કથા દરમિયાન કથા સ્વરણ કરનારા વિગેરે માટે રામ પ્રસાદ(મહાપ્રસાદ)નું પણ આયોજન કરવામાં આવ્યું છે. નવસારી પંથકમાં છેલ્લા 40 વર્ષમાં બાપુની આ છઠ્ઠી અને બાપુની 914મી કથા છે.