ભરૂચ13 મિનિટ પહેલા
- કૉપી લિંક
ચૈત્ર માસમાં નર્મદા જિલ્લામાં નર્મદા નદીની 21 કિલોમીટરની પંચકોશી પરિક્રમામાં રવિવારે હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડતા અવ્યવસ્થા અને અરાજકતા સર્જાઈ હતી. નદી પાર કરાવવા નાવડીઓ ઓછી પડતા કેટલાય પરિક્રમા વાસીઓએ જીવનના જોખમે માનવ સાકળ બનાવી જીવના જોખમે નદી પાર કરી હતી. જે સામે સોમવારે અધિક જિલ્લા કલેકટરે જાહેરનામું જારી કરી પરિક્રમાવાસીઓને પગપાળા નદી પાર કરવા પર પ્રતિબંધ લાગુ કર્યો છે.
રવિવારે નર્મદાની પંચકોશી પરિક્રમા દરમિયાન અચાનક શ્રધ્ધાળુઓનો ધસારો વધતા દેકારો મચી ગયો હતો. શ્રદ્ધાળુઓની સંખ્યા સામે નાવડીઓ ઓછી હોવાથી તિલકવાડાથી સામે પાર જવા માટે લોકોએ કલાકો સુધી ગરમીમાં તપી તપસ્યા કરવાનો વારો આવ્યો હતો. બીજી બાજુ નદી પાર કરી સામે પાર જવા માટે શ્રદ્ધાળુઓએ પોતાના જીવના જોખમે ઓછા પાણીમાં ચાલીને નદી પાર કરી હતી.
નર્મદા જિલ્લા ભાજપ અને સ્થાનિકો દ્વારા પરિક્રમાવાસીઓ માટે સુવિધા ઉભી કરવા પોતાના ખર્ચે માંગરોલના નદી કિનારાથી સામે તિલકવાડા મણીનાગેશ્વર મંદિર સુધી કામ ચલાઉ પુલ બનાવવાની કામગીરીનો આરંભ કરી દેવાયો હતો. આ હંગામી પુલનું કામ હજી શરૂ થયું હતું ત્યાં નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શ્રદ્ધાળુઓના ઘસારા સામે નદીમાં રસ્તો બનાવવાનું કામ પણ દુર્ઘટના સર્જી શકે તેમ હોય સલામતીના કારણોસર કામ અટકાવી દેવામાં આવ્યું હતું.
નર્મદા જિલ્લામાં ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા માટે પધારતા ભાવિકોના પગપાળા નદીમાંથી પસાર થઈ નદી પાર કરવા પર પ્રતિબંધ ફરમાવતું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામુ જારી કરી દીધું છે. નાંદોદ તાલુકાના રામપુરા ગામથી નર્મદાની પંચકોશી પરિક્રમા શરૂ થઈ બે વખત નર્મદા નદી હોડી મારફત પાર કરી, પરત રામપુરા ગામ ખાતે શ્રદ્ધાળુઓ પધારતા હોય છે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના અસંખ્ય ભાવિકો ચૈત્ર મહિનામાં ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા માટે નર્મદા જિલ્લામાં પહોંચતા હોય છે. નર્મદા નદીમાં મગરો પણ અસ્તિત્વ ધરાવતાં છે. તેઓ માનવ ઈજા ન પહોંચાડે તે હેતુસર અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પરિક્રમા માટે પધારતા ભાવિકો પગપાળા નદીમાંથી પસાર થઈ નદી પાર કરે તેવી ઘટના ન બને તે માટે નર્મદા જિલ્લાના અધિક મેજીસ્ટ્રેટ સી.એ.ગાંધીએ પગપાળા નદીમાંથી પસાર થઈ નદી પાર કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ જાહેરનામુ 20 એપ્રિલ સુધી લાગુ રહેશે. તેમજ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ તથા આ કૃત્ય માટે પ્રેરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ- 188 ની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે. જેની સામે કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવશે.