સાબરકાંઠા (હિંમતનગર)32 મિનિટ પહેલા
સાબરકાંઠા જિલ્લામાં માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં બે દિવસ માવઠું થયું હતું. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા નુકશાનીનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, પરંતુ પ્રાથમિક સર્વેમાં કોઈ નુકશાન નહિ હોવાનું સામે આવ્યું હતું. તો 33 ટકાથી વધુ નુકશાન હોય તેવા નુકશાનીનું વળતર ચૂકવાય છે. સર્વે પૂર્ણ થતા ખેતીવાડી વિભાગ દ્વારા કોઈ નુકશાન નહિ હોવાનું જણાવ્યું હતું.

હાલમાં માર્ચ મહિનામાં ફરીવાર કમોસમી વરસાદની આગાહી છે. ત્યારે આજે આગાહીની અસર સાબરકાંઠા જિલ્લામાં જોવા મળી નથી તો આકાશ ચોખ્ખું છે જેને લઈને ખેડૂતોએ ઘઉના તૈયાર પાકની કાપણી શરુ કરી છે. જેથી કમોસમી વરસાદ વચ્ચે હાલમાં ખેડૂતોને રાહત જોવા મળી રહી છે, પરંતુ પ્રથમ સપ્તાહમાં જિલ્લામાં આઠ માંથી છ તાલુકામાં 1થી 4 મીમી જેટલો બે દિવસ કમોસમી વરસાદ નોધાયો હતો. જેને લઈને ખેતરમાં ઘઉંના ઉભા પાક અને કાપણી કરેલા ઘઉં પર પાણી પડ્યું હતું તો બીજી તરફ તમાકુનો કાપેલો પાક સૂકવવા મુકતા વાવઝોડામાં ઉડ્યો હતો. જેને લઈને ખેડૂતોએ નુકશાન થયું હોવાનું જણાવ્યું હતું.

રાજ્ય સરકાર દ્વારા કમોસમી વરસાદને લઈને સર્વે માટે આદેશ આપ્યો હતો. ત્યારબાદ જિલ્લામાં વિસ્તાર અધિકારી અને ગ્રામ સેવકો દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. ચાર દિવસના સર્વેમાં સરેરાંશ 8 ટકા જેટલું નુકશાન સામે આવ્યું હતું. તો ઘઉંમાં 5 ટકા નુકશાન જોવા મળ્યું હતું. તમાકુમાં 8થી 10 ટકા નુકશાન જોવા મળ્યું હતું. SDRFના નિયમ મુજબ 33 ટકાથી વધુ નુકશાન હોય તો વળતર ચુકવવા પાત્ર હોય છે, પરંતુ પ્રાથમિક સર્વેમાં 8 ટકા જેટલું નુકશાન આવ્યું હતું. જેથી વળતર ચુકવવા પાત્ર નથી.

આ અંગે ઇન્ચાર્જ જિલ્લા ખેતીવાડી અધિકારી વી.કે. પટેલે જણાવ્યું હતું. કે, બે દિવસ જિલ્લાના કેટલાક તાલુકમાં માવઠું થયું હતું. જેને લઈને વિસ્તરણ અધિકારી અને ગ્રામસેવકો દ્વારા પ્રાથમિક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 8 ટકા જેટલું નુકશાન આવ્યું હતું. જેથી SDRFના નિયમ મુજબ 33 ટકાથી ઓછુ હતું. જેથી નિયમ મુજબ વળતર ચૂકવી શકતા નથી. તો સર્વે દરમિયાન કોઈ કિસાન સંગઠન કે ખેડૂત દ્વારા નુકશાન થયા અંગેની રજૂઆત પણ આવી નથી. તો હાલમાં પણ કમોસમી વરસાદની આગાહી છે જેને લઈને ખેડૂતોએ સર્તકતા રાખવી અને કાપેલો પાક યોગ્ય જગ્યાએ ઢાંકીને સાચવણી કરવા સુચન ખેતીવાડી વિભાગ અને માર્કેટ યાર્ડ દ્વારા ખેડૂતોને વિવિધ માધ્યમોથી જાણ કરવામાં આવી છે.
