છોટા ઉદેપુરએક કલાક પહેલા
- કૉપી લિંક

પાવી જેતપુરના ઈટવાડા મુકામે વર્ષોથી હોળી પછીના પાંચમના દિવસે મેળો ભરાય છે. જેમાં તાલુકાના આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં મેળાની મજા માણવા માટે આદિવાસીઓ ઉમટી પડ્યા હતા.

પૂર્વપટ્ટી વિસ્તારના આદીવાસીઓ મેળાના ખૂબ જ શોખીન છે. તેમાં પણ પાંચમનો મેળો એક અલગ આગવું સ્થાન ધરાવે છે. તેથી હોળી બાદ પાંચમના દિવસે ભરાતા આ મેળામાં પાવીજેતપુર તાલુકાના તથા આજુબાજુના તાલુકાના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં આ મેળાનો આનંદ માણવા આદિવાસી જનમેદની ઉમટી પડી હતી.

પાવીજેતપુરથી બે કિલોમીટર જેટલા અંતરે આવેલા ઇંટવાડા મેદાનમાં પાંચમનો મેળો ભરાતો હોય છે. જ્યાં વેપારીઓ આગલી રાત્રેથી આવી પહોંચી પોતાની જગ્યાઓ લઈ લે છે. સવારથી જનતા મેળામાં જતી નજરે પડતી હતી. જ્યારે બપોરના સમયે તો મેળાના સ્થાને માનવ મહેરામણનું કીડિયારું ઊભરાયું હોય તેમ લાગતું હતું. યુવાધન પોતાના હાથો ઉપર દિલ તેમજ પોતાના તથા પોતાના પ્રિય પાત્રના નામો છૂંદના દ્વારા લખાવતા નજરે પડતા છે.

મેળામાં સળગતી ચુલના અંગારા ઉપર ખુલ્લા પગે ચાલી આદિવાસીઓએ પોતાની માનતાઓ, બાધાઓ પૂર્ણ કરી હતી. બપોરના સમયે કેટલાક ઘેરયા પુરુષોએ સ્ત્રીઓનો વેશ ધારણ કરી તીરકામઠા, રામ ઢોલ સાથે મેળામાં આવી પહોંચતા આદિવાસીઓ આનંદમાં આવી ચિચિયારીઓ પાડી હતી. સાંજના સમયે ગામના લોકોએ મેળાનો આનંદ માણ્યો હતો.

પાવીજેતપુરમાં ઇંટવાડા મુકામે પાંચમનો મેળો ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ભરાયો હતો. જેમાં આજુબાજુથી આદિવાસી જનમેદનીનો સેલાબ ઉમટ્યો હોય તેમ અહેસાસ થતો હતો.