ઉનાએક કલાક પહેલા
- કૉપી લિંક
ઉનાના ગરાળ ગામની સીમ વિસ્તારમાં આવેલી આંબાવાડીમાં અવાવરૂ ઓરડીમાં દીપડીએ રહેણાંક બનાવી લીધુ હોય, તેમ દીપડીએ ઓરડીમાં ચાર બચ્ચાને જન્મ આપ્યો હતો. જેથી આ વિસ્તારમાં આંટાફેરા કરતા તેમજ નજીક અમરગીરી બાપુના આશ્રમે આવેલી શાળાએ ચાલીને જતા બાળકો તેમજ સીમ વાડી વિસ્તારોમાં રહેતા લોકોમાં ભયનો માહોલ ફેલાઇ ગયો હતો. આ બાબતને વનવિભાગે જાણ કરતા ઓરડીમાંથી દીપડીને તેમના ચાર બચ્ચા સાથે સલામત રીતે પાંજરામાં પકડી પાડેલી છે.
ઊનાના સંજવાપુર ગામના રહીશ કાળા સોલંકીની આંબાવાડી ગરાળ ગામની સીમ વિસ્તારમાં આવેલી અવાવરૂ ઓરડીમાં વન્યપ્રાણી દીપડીએ ચાર બચ્ચાને જન્મ આપ્યો હતો. જે વાડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો પોતાના ખેતરમાં જ રહેણાંક મકાનમાં રહેતા હોવાથી ખેડૂત પોતાના નાના બાળકો અવાર નવાર નજીક આવેલા અમરગીરી બાપુના ભુતડાદાદા આશ્રમે આવેલી શાળામાં ચાલીને જતા હોય છે. ત્યારે આ વન્યપ્રાણીનો ડર અનુભવાતો હતો.
આ બાબતે વનવિભાગને જાણ કરતા વનવિભાગની રેસ્ક્યું ટીમ સખત છેલ્લા ત્રણ દિવસથી આ દીપડીને પાંજરે પૂરવા ભારે મહેનત બાદ આજે બપોર બાદ વનવિભાગે ઓરડીમાં પાંજરૂ ગોઠવેલું અને દીપડીને તેના ચાર બચ્ચા સાથે સુરક્ષિત રીતે પીંજરામાં પકડી પાડી જશાધાર એનિમલકેર સેન્ટરમાં ખસેડવામાં આવેલી છે. આથી આ વિસ્તારના સ્થાનિક ખેડૂતો, બાળકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ગરાળ ગામના પૂર્વ સરપંચ મનુ સોલંકીએ વન વિભાગની કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.