રાજકોટએક કલાક પહેલા
- કૉપી લિંક

રાજકોટ શહેરના નાનામવા, મોટામવા અને ગોંડલ ચોકડી બાદ હવે માધાપર ચોકડી વિસ્તારમાંથી પસાર થતા વાહનચાલકોની મુશ્કેલીનો આગામી એક માસ બાદ અંત આવનાર છે. શહેરના પ્રવેશ દ્વાર સમા માધાપર ચોકડી ખાતે કરોડોના ખર્ચે નિર્માણાધીન ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય પુર્ણતાને આરે પહોંચી જવા પામેલ છે. આગામી મે માસના પ્રથમ સપ્તાહ સુધીમાં આ ઓવરબ્રિજને ખુલ્લો મુકવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.

ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળશે
રાજકોટ શહેરના પ્રવેશ દ્વાર સમા માધાપર ચોક ખાતે ઓવરબ્રીજ બનાવવાની કામગીરી ચાલુમાં છે જેની મોટાભાગની કામગીરી પરીપુર્ણ થઇ ચુકી છે. જે અંતિમ તબકકાનું કામ બાકી છે તેને આગામી એપ્રિલ માસના અંત સુધીમાં પુર્ણ કરી વાહનચાલકોની સુવિધા માટે આ બ્રિજને ખુલ્લો મુકી દેવામાં આવશે. આ બ્રિજ ખુલ્લો મુકવામાં આવતા રાજકોટ-અમદાવાદ તેમજ રાજકોટ-જામનગર અને રાજકોટ-મોરબી તરફ આવતા જતા લાખો વાહનચાલકોને ફાયદો થશે અને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળશે.

એલીવેટેડ ફલાય ઓવરબ્રિજ બનશે
ઉલ્લેખનીય છે કે માધાપર ચોક ખાતે પણ કે.કે.વી ચોક જેવા ફલાય ઓવરબ્રિજનું નિર્માણ કરવા માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિચારણા શરૂ કરવામાં આવી છે. આ અંગેની ડિઝાઇન તૈયાર થયા બાદ નવા ફલાયઓવરના નિર્માણ માટે દરખાસ્ત કરવામાં આવશે. હાલ શહેરના હાર્દસમા કાલાવડ રોડ પર કે.કે.વી. ચોકમાં ઓવરબ્રિજ સમા એલીવેટેડ ફલાય ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય પુરજોશમાં ચાલી રહયું છે.
