સુરત28 મિનિટ પહેલા
- કૉપી લિંક

પાંડેસરામાં ગાર્બેજ કલેક્શન કરતી ગાડીના ચાલકે અડફેટે લેતા આધેડનું મોત નિપજ્યું.
સુરતના પાંડેસરા ખાતે રહેતા એક આધેડને સવારે જીવલેણ અકસ્માત નડ્યો હતો. ઘરેથી કામ ઉપ૨ જવા નીકળેલ આધેડ ભેસ્તાન સિદ્ધાર્થનગર નહેર પાસેથી પગપાળા જઈ રહ્યા હતા. ત્યારે યમદૂત બનીને આવેલ પાલિકાની કચરા ગાડીએ આધેડને અડફેટે લીધા હતા. જેને લઇ ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન આધેડનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે પાંડેસરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પાલિકાની ગાર્બેજ કલેક્શન ગાડી ચાલકે આધેડને અડફેટે લીધા
સુરતના ઉન પાટિયા પાસે ભેસ્તાન ખાતે આવેલ મારૂતિનગરમાં રહેતા 50 વર્ષીય રામચંદ્ર શ્રીરામ યાદવ સવારે ભેસ્તાન સિદ્ધાર્થનગર પાસે આવેલ ડમ્પ યાર્ડ પાસેથી પગપાળા જઈ રહ્યા હતા. દરમ્યાન એસએમસીની ગાર્બેજ કલેક્શનની ગાડી યમદૂત બની આવી હતી અને રામચંદ્ર યાદવને અડફેટે લીધા હતા. જેને લઇ આધેડને માથામાં તેમજ શરીરના જુદા જુદા ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
સારવાર દરમિયાન મોત
મહાનગરપાલિકાની કચરો લઈ જતી ગાડીના ચાલક દ્વારા રામચંદ્ર યાદવને અડફેટે લીધા બાદ આસપાસથી લોકો દોડી આવ્યા હતા. ઘટના સ્થળે ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં રામચંદ્ર યાદવનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આધેડના અચાનક અકસ્માતને લઈ મોત નીપજતા પરિવારમાં શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
કામ પર જતા અકસ્માત નડ્યો
રામચંદ્ર યાદવના અકસ્માત મોતને લઈ પોલીસ અને પરિવાર પાસેથી જાણવા મળ્યું હતું કે રામચંદ્રને સંતાનમાં બે પુત્રો અને એક પુત્રી છે. તે પાંડેસરા વિસ્તારમાં આવેલી એક ડાઈંગ મિલમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ત્યારે રોજની જેમ સવારે તે ઘરેથી કામ ઉપર જવા મટે નીકળ્યા હતા. દરમિયાન સિદ્ધાર્થ નગર પાસે અકસ્માતનો ભોગ બન્યા હતા. ઘટના અંગેની જાણ પોલીસને થતા પાંડેસરા પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.