દ્વારકા ખંભાળિયા31 મિનિટ પહેલા
આજે હોળીનો તહેવાર અને દ્વારકા માટે મુખ્ય બીજો તહેવાર છે. લાખો ભક્તો દ્વારકાધીશના દર્શન કરી ભાવવિભોર થયા હતા. ઉલ્લેખનીય છે કે, હોળી-ધૂળેટીના તહેવાર મનાવવા દૂર દૂરથી ભક્તો પગપાળા ચાલી દ્વારકા આવે છે. ત્યારે તેમની સેવા માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવાકીય કેમ્પો ચલાવવામાં આવી રહ્યા છે. ચા, પાણી, નાસ્તો તથા આરામ કરવાની પણ વ્યવસ્થાઓ ઉભી કરાઈ છે. આ સાથે પગપાળા ચાલીને આવતા ભક્તો માટે પગ દબાવવાના મશીન, પગની ચંપી તથા મેડિકલ કેમ્પો પણ ધમધમતા થયા છે.

આજે હોળી તહેવાર નિમિત્તે લગભગ ત્રણ લાખ જેટલા ભક્તોએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા. આ દર્શન કરવા માટે ખૂબ મોટી લાઈનો જોવા મળી હતી. તંત્ર દ્વારા સુંદર વ્યવસ્થા હોવાથી કોઈ અનિચ્છનીય ઘટના બનવા પામી ન હતી. તેની સાથે પોલીસ તંત્ર દ્વારા અશક્ત, બીમાર તથા વૃદ્ધોને અલગ લાઈનથી લઈ જઈ અને દર્શન કરવામાં મદદગાર સાબિત થઈ હતી. પૂજારી પરિવાર, મંદિર દેવસ્થાન સમિતિ, પોલીસ તથા તંત્રએ દ્વારા ખૂબ સરસ વ્યવસ્થાઓ ઉભી કરી હતી. તંત્ર દ્વારા એનાઉન્સમેન્ટ સિસ્ટમ પણ રાખવામાં આવી હતી. જેનો લાભ અનેક પોતાના પરિવારથી વિખુટા પડી ગયેલા લોકોએ લીધો હતો.

આજે સાંજથી તિથિ મુજબ પૂનમ હોવાથી આજ રાત્રિના સમયે હોળી પ્રગટાવવામાં આવશે, પરંતુ આ પૂનમ આવતીકાલે સાંજે 6:30 કલાકે પૂર્ણ થતી હોય છે. જે લોકો ભક્તો પૂનમ ભરવા આવતા હોય અથવા પૂનમ રહેતા હોય તે લોકો આવતીકાલ તારીખ 7 માર્ચના ઉજવશે. તથા તારીખ 8 માર્ચના બપોરના 2.00થી 3.00 કલાક દરમિયાન ભક્તો જગત મંદિરના નિજ મંદિર અંદર ફુલડોલ ઉત્સવ ઉજવશે. આ ફુલડોલ ઉત્સવ દરમિયાન અબીલ ગુલાલ ઉડાડી ભક્તો કાળીયા ઠાકોર સંગ હોળી રમશે.








