બનાસકાંઠા (પાલનપુર)18 મિનિટ પહેલા
- કૉપી લિંક
વડોદરામાં ગઈ કાલે રામનવમીની ઉજવણીમાં રથયાત્રા દરમિયાન પથ્થર મારાની ઘટના સામે આવી હતી. જે મામલે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે જેમાં ધારાસભ્યએ અસામાજિક તત્વોને સળિયા પાછળ ધકેલી કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી છે અને ગુજરાતમાં કાયમી શાંતિ અને ભાઈ ચારો જળવાઈ રહે તેવી વિનંતી કરી છે.
સમગ્ર દેશમાં ગઈકાલે રામનવમી નિમિતે ઠેર ઠેર જગ્યાએ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે વડોદરામાં પણ વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વાજતે ગાજતે નીકળેલી શોભાયાત્રા ફતેપુરા પાંજરીગર મહોલ્લા પાસે પહોંચતાં એકાએક પથ્થરમારો શરૂ થયો હતો. જેથી દોડધામ મચી ગઈ હતી એ સાથે તોફાની ટોળાએ રોડ ઉપરની લારીઓમાં પણ તોડફોડ કરી હતી. પથ્થરમારાના કારણે રોડ ઉપરની દુકાનો ટપોટપ બંધ થઇ ગઈ હતી. જોકે, કોમી ભડકો ઉગ્ર સ્વરૂપ ધારણ કરે એ પહેલાં જ પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને તેમણે પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
આ સમગ્ર ઘટનાને લઈને કાંકરેજ કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે નિવેદન આપ્યું છે, તેઓએ જણાવ્યું કે, ગઈકાલે રામનવમીની શોભા યાત્રામાં જે પથ્થરમારાની ઘટના બની છે તે બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢું છું. અસામાજિક તત્વોને ધર્મ જાતિ સમાજ વચ્ચે કોઈ પ્રેમ કે ભાઈ ચારો હોતો નથી. એવા તત્વો શાંતિ ડોહોળવાનો પ્રયાસ કરતા હોઈ છે એમને વહેલામાં વહેલી તકે જેલના સળિયા પાછળ ધકેલી દેવા જોઈએ અને કડક કાર્યવાહી કરવી જોઈએ. ગુજરાતમાં કાયમી શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તેવી વિનંતી કરૂ છું.