મહિસાગર (લુણાવાડા)એક કલાક પહેલા
આજે સમગ્ર રાજ્યભરમાં ધુળેટીની ઉજવણી થઈ રહી છે. ત્યારે મહીસાગર જિલ્લામાં પણ અલગ અલગ વિસ્તારોમાં ધામધૂમ પૂર્વક ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી છે. તો રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડીંડોર પણ પોતાની આગવી શૈલીમાં ધુળેટી પર્વ મનાવતા નજરે પડ્યા હતા. શિક્ષણ મંત્રીએ આજે ધુળેટીની પોતાના માદરે વતન સંતરામપુર ખાતે ઉજવણી કરી છે. સંતરામપુર નગર ખાતે પોતાના મત વિસ્તારના લોકો સાથે મળીને તેઓએ એકબીજાને રંગ લગાવી ઉજવણી કરી છે. તેમજ લોકોને ધુળેટી પર્વની શુભકામનાઓ પાઠવી છે.

સંતરામપુર ખાતે ધુળેટી મનાવ્યાં બાદ શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર માનગઢ ધામ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં જઈ ગોવિંદગુરુની ધૂણી અને મંદિરે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ તેઓ પોતાની આગવી શૈલીમાં પરંપરાગત આદિવાસી નૃત્ય (ટીમલી/ગાફૂલી) રમ્યા હતા. તેમજ શિક્ષણમંત્રી હાથમાં તીરકામઠું લઈ નૃત્ય (નાચગાન) પણ કર્યું હતું. તેમજ ઢોલ લટકાવી જાતે ઢોલ વગાડી નાચતા જોવા મળ્યા હતા. કુબેર ડીંડોર આદિવાસી સમાજના અને તેમના મતવિસ્તારના ગ્રામજનો સાથે આનંદ ઉલ્લાસભેર ધુળેટીની ઉજવણી કરી હતી. ત્યારે આજે તેઓ દર વખતની જેમ પોતાની આગવી શૈલીમાં ધુળેટી પર્વની ઉજવણી કરતા જોવા મળ્યા હતા.




