રાજકોટ26 મિનિટ પહેલા
દર્દીના સગાઓમાં રોષ જોવા મળ્યો હતો.
રાજકોટ શહેરના રેસકોર્સ રિંગ રોડ પર બહુમાળી ભવન ચોક નજીક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. રેલવે હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં ચાલુ રસ્તામાં એમ્બ્યુલન્સની અંદર ઓક્સિજન બોટલ વાલ્વ લીક થવાની ઘટના સામે આવી હતી. જેના પગલે દર્દીનાં સગાઓ અવાચક થઈ ગયા હતા. આ ઘટનાને પગલે સ્થાનિકોની મદદથી દર્દીને મુશ્કેલી ન પડે તે માટે તાત્કાલિક રિક્ષામાં ખસેડવાની ફરજ પડી હતી.
અન્ય એમ્બ્યુલન્સની રાહ જોવાના બદલે દર્દીને રિક્ષામાં ખસેડાયા
આજે બપોરના સમયે 1 વાગ્યા આસપાસ રેલવે હોસ્પિટલની એક એમ્બ્યુલન્સ બે દર્દીઓને લઈ સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે લઈ જઈ રહી હતી. દરમિયાન રેસકોર્સ રિંગ રોડ પર બહુમાળી ભવન ચોક પહોંચતા સમયે અચાનક એમ્બ્યુલન્સમાં ઓક્સિજન બોટલ વાલ્વ લીક થયો હતો. જેના કારણે દર્દીઓ અને તેમના સબંધીઓ સ્તબ્ધ બની ગયા હતા. જોકે, સમય સૂચકતાના કારણે મોટી દુર્ઘટના સ્હેજમાં ટળી હતી અને સ્થાનિકોએ તાત્કાલિક અન્ય એમ્બ્યુલન્સની રાહ જોવાના બદલે દર્દીને રિક્ષામાં બેસાડી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.

ઓક્સિજન બોટલનો વાલ્વ લીકેજ થયો હતો.
એમ્બ્યુલન્સમાં પણ મેડિકલ સાધનોનું મેઇન્ટેનન્સ કરવું જરૂરી
ઉલ્લેખનીય છે કે, રેલવે હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં દર્દીઓ હોવા છતાં ઓક્સિજન બોટલના વાલ્વ કીટમાં લીકેજની ઘટનાને લઈને લોકોમાં કેટલાક સવાલો ઉઠી રહ્યા છે. રાજકોટની રેલવે હોસ્પિટલમાં જ નહીં પરંતુ એમ્બ્યુલન્સમાં પણ દર્દીઓ રામભરોસે હોવાની વાતો વહેતી થઈ છે. સમગ્ર ઘટનામાં દર્દીઓને કંઈ પણ થાય તો તેના માટે જવાબદાર કોણ? તે પણ સૌથી મોટો સવાલ છે. ત્યારે આજની આ ઘટના પરથી એક વાત ચોક્કસ કહી શકાય કે સમયાંતરે હોસ્પિટલમાં તેમજ એમ્બ્યુલન્સમાં પણ મેડિકલ સાધનોની ચકાસણી તેમજ મેઇન્ટેનન્સ કરવું ખૂબ જ જરૂરી છે.