અંકલેશ્વરએક કલાક પહેલા
- કૉપી લિંક

અંકલેશ્વર તાલુકાના ખરોડ ફ્લાયઓવર માટે કોંગ્રેસના નેતા મુમતાઝ પટેલે રોડ મિનિસ્ટરને રજૂઆતો કરી હતી. જ્યારે અંકલેશ્વર ઉમરવાડા અને પાનોલી GIDCને જોડતા નવ નિર્મિત બ્રિજનું કામ પૂર્ણ થઈ ગયું હોવા છતાં બ્રિજને શરૂ કરવામાં ન આવતા અંકલેશ્વર યુથ કોંગ્રેસના આગેવાનોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી વહેલી તકે વાહન વ્યવહાર માટે શરુ કરવાની માગણી કરી હતી.

મુમતાઝ પટેલે રોડ મિનિસ્ટર સાથે બેઠક યોજી
અંકલેશ્વરની ખરોડ ચોકડી નજીક વધતા અકસ્માતોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા બ્રિજની કામગીરી કરાઈ રહી છે. જેના કારણે ટ્રાફિક જામની પણ ઘણી સમસ્યાઓ સર્જાઈ રહી છે. આ ખરોડ ફ્લાય ઓવર બ્રિજ તેમજ સ્વામી વિવેકાનંદ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલ અંકલેશ્વરની બહાર રોડ એક્સટેન્શનની કામગીરી ચાલી રહી છે. જેના કારણે ઘણી સમસ્યાનો ચાલી રહી છે. જેને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના નેતા સ્વ. એહમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે દિલ્હી ખાતે રોડ મિનિસ્ટર નીતિન ગડકરીની મુલાકાત લઈને એક હકારાત્મક બેઠક યોજી હતી. જેમાં નીતિન ગડકરીએ આ અંગે સંબંધીત અધિકારીઓને વહેલી તકે કાર્યવાહીની સુચનાઓ આપી હતી.

વહેલી તકે પ્રજાજનો માટે ખોલવાની રજૂઆત
જ્યારે બીજી તરફ અંક્લેશ્વર યુથ કોંગ્રેસના આગેવાનોએ પ્રાંત ઓફિસરને આવેદનપત્ર આપીને રજૂઆતો કરી હતી. જેમાં જણાવ્યા મુજબ, અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા અને પાનોલી GIDCને જોડતા બ્રિજનું કામ કેટલાય દિવસથી પૂર્ણ થયેલુ છે. તેમ છતાં વહીવટી તંત્ર દ્વારા આ બ્રિજને પ્રજાના ઉપયોગ માટે શરૂ નહીં કરવામાં આવતા ઉંમરવાડા, પાનોલી, રવીદ્રા, આલુંજ તેમજ કરમાલી અને અન્ય ઘણા ગામોના લોકોને અન્ય માર્ગોથી જવું પડે છે.

આ ગામોના ગ્રામજનો પાનોલી GIDCમાં નોકરી કરવા માટે આ રસ્તાનો ઉપયોગ કરતા આવ્યા છે. જેથી આ વિસ્તારના ગામોના રહીશોની તકલીફોને ધ્યાનમાં લઈ અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુવક કોંગ્રેસ દ્વારા અંકલેશ્વરના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી બ્રિજને વહેલી તકે પ્રજા માટે ખુલ્લો મુકવામાં આવે તેવી માગણી કરી હતી. આ પ્રસંગે અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ શરીફ કાનુગા, વસીમ ફડવાલા, ઇકબાલ ગોરી, સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.