પાટણ37 મિનિટ પહેલા
- કૉપી લિંક

પાટણ શહેરના નવા બસ સ્ટેશન પાછળના વિસ્તારમાં આવેલી સોસાયટીઓના રહીશો અનેક યાતનાઓનો ભોગ બની મુશ્કેલી વેઠી રહ્યા છે. હાલમાં જામેલી કમોસમી વરસાદની સિઝનને કારણે આ સોસાયટી વિસ્તારના માર્ગો પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. સાથે સાથે આ વિસ્તારના માર્ગો ઊંચા ઉપાડવામાં આવેલા હોય રહીશોના ઘરમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતા મુશ્કેલી સર્જાઈ છે.

બીજી તરફ નવા બસ સ્ટેશનમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે પાછળના ભાગે કરવામાં આવેલી પાણી નિકાલની વ્યવસ્થાના કારણે આ બસ સ્ટેશનનું ભરાયેલું પાણી પણ આ માર્ગો પર વહેતા જીવ જંતુનો ઉપદ્રવ પણ વધ્યો છે. જેના કારણે વિસ્તારના રહીશોમાં રોગચાળો ફેલાવવાની ભીતિ પણ સેવાઈ રહી છે.

ત્યારે પાલિકાના સત્તાધીશો સહિત લાગતા વળગતા તંત્ર દ્વારા આ વિસ્તારની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ વિસ્તારમાં રહેતા રહીશો વતી આ વિસ્તારના અને પોલીસમાં ફરજ બજાવતા એએસઆઈ સોનાભાઈ પ્રજાપતિએ કરી છે.
