મહિસાગર (લુણાવાડા)એક કલાક પહેલા
- કૉપી લિંક
મહીસાગર જિલ્લાના મુનપુર ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી અને શ્રી એમ.જી.એસ. કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી સી.આર. ગાર્ડી આર્ટસ કોલેજના સંયુક્ત ઉપક્રમે “ભારતીય સાહિત્ય-આસ્વાદ ઔર સમીક્ષા” વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. કેળવણી મંડળના પ્રમુખ ડો. હિરેન પંડ્યાની અધ્યક્ષતામાં મૂર્ધન્ય સાહિત્યકાર પદ્મશ્રી ડૉ. પ્રવીણ દરજીના બીજરુપ વક્તવ્યથી પરિસંવાદનો પ્રારંભ થયો હતો.
આ પરિસંવાદમાં સેન્ટ્રલ યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. અને એક્ઝામ કન્ટ્રોલર સંજીવ દુબે, ડૉ. ઓમપ્રકાશ શુકલ, ડૉ. યશવંત શર્મા, ડૉ. પરેશ પારેખ તથા ગુજરાતી ગઝલના ખ્યાતનામ સર્જક ડૉ. જૈમિની શાસ્ત્રી સહિત ગણમાન્ય વક્તાઓએ સમગ્ર સેમિનારને માહિતી સભર બનાવ્યો હતો. આ પરિસંવાદ સંસ્કૃત, હિન્દી, ગુજરાતી, મરાઠી અને અંગ્રેજીમાં વિશિષ્ટ કૃતિઓના આસ્વાદ અને સમીક્ષા પર કેન્દ્રિત કરવામાં આવ્યો હતો.
જેમાં સંસ્કૃત, હિન્દી, ગુજરાતી, મરાઠી અને અંગ્રેજી વિષયના શિક્ષકો, સંશોધકો અને સ્નાતક, અનુસ્નાતક વિદ્યાર્થીઓ અને તમામ ભાષા-સાહિત્ય પ્રેમીઓએ ભાગ લીધો હતો. તેમને સંશોધક વિષયને લગતું પોતાનું સંશોધન પેપર રજૂ કરવાની તક મળી હતી. સંયોજક ડૉ. સુશીલા વ્યાસ અને આચાર્ય ડૉ. મહેશ મહેતાએ સૌ મહાનુભાવો અને સહભાગીઓને આવકારતા અંતરિયાળ વિસ્તારમાં રાષ્ટ્રીય પરિસંવાદની તક બદલ ગુજરાત સાહિત્ય અકાદમીનો આભાર વ્યક્ત કર્યો હતો.