નવસારી13 મિનિટ પહેલા
નવસારીમાંથી એક હૈયુ હચમચાવી દેતી ઘટના સામે આવી છે. વાંસદા તાલુકાના રવાણિયા ગામે દંપતીએ બે બાળકોની હત્યા કરીને આત્મહત્યા કરી લીધી છે. આ હત્યા પાછળનું કારણ પ્રેમપ્રકરણ સામે આવ્યું છે. આ મામલે પોલીસે બે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. એક જ પરિવારના ચાર સભ્યોના મોતથી આખા ગામમાં સન્નાટો છવાઇ ગયો છે.

ચુંનીલાલને બીજા લગ્ન કરવા હતા
પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ, વાંસદા તાલુકાના રવાણીયા ગામના બોરી ફળિયામાં રહેતો 39 વર્ષીય ચુંનીલાલ જત્તર ગાવિતના લગ્ન નવ વર્ષ અગાઉ તનુજાબેન સાથે થયા હતા. નવ વર્ષના લગ્ન જીવનમાં દંપતીને બે બાળકો હતા. ચુનીલાલ યુનિબેઝ કંપની દમણ ખાતે નોકરી કરતો હતો. તેની સાથે કામ કરતી આહવા ડાંગ જિલ્લાની યુવતી સાથે તેનો પ્રેમ સંબંધ બંધાયો હતો. તેની સાથે ઘર સંસાર માંડવાનો હોવાની ચુનીલાલે ઘરે વાત કરી હતી. ત્યારબાદ તારીખ 10 માર્ચ 2023ના રોજ ચુનિલાલ યુવતીને ઘરે લઈ આવ્યો હતો અને કહ્યું કે, હું કાજલ(નામ બદલ્યું છે)ને બીજી પત્ની તરીકે રાખવાનો છુ. તેવી વાત કરતા ચુનીલાલના પિતાએ તેને બે દિવસ પછી વાતચીત કરી નક્કી કરીશું તેમ કહ્યું હતું.

હસતો રમતો પરિવાર વિખેરાઇ ગયો.
ચુંનીલાલના બીજા લગ્નની વાત પત્નીને માઠી લાગી
ત્યારબાદ કાજલના બાપુજી સાથે આ બાબતની વાતચીત કરી હતી પરંતુ તેઓ ઘરે નહોતા આવ્યા. જેથી ચુનીલાલ બેન અને બનેવીને કાજલના ઘરે જવા વાંસદા ખાતે મુકી આવ્યો હતો. ચુનીલાલને કાજલ સાથે પ્રેમસંબંધ હોય અને તે બીજી પત્ની તરીકે લાવવાનો હોય જેના કારણે પતિ-પત્ની વચ્ચે મનદુઃખ ચાલતું હતું. થોડા સમય અગાઉ દંપતી સાપુતારા ફરવા ગયું હતું. જ્યાંથી પરત આવી ગઇકાલે તેઓ સાંજે વાંસદા ગયા હતા. જ્યાં તેઓએ બાળકોને મારીને આત્મહત્યા કરવાનો પ્લાન કર્યો હતો અને ત્યારબાદ મોડી રાતે પાછા ફર્યા હતા.
પહેલાં બાળકોની હત્યા કરી બાદમાં જાતે જીવન ટુંકાવ્યું
ચુનીલાલના પ્રેમસબંધના કારણે ચુનીલાલ તથા તેની પત્ની તનુજાએ તેમની પોતાની બન્ને દીકરીઓ જેમા મોટી દીકરી કસીસ (ઉ.વ.7) તથા તેનાથી નાની દિકરી ધિત્યા (ઉ.વ-આશરે 4 માસ)ને ગળે ટુંપો દઈ મારી નાખી મોત નિપજાવી દંપતી પોતપોતાની મેળે નાયલોન દોરડાથી ઘરની પેજારીના ભાગે લાકડાના ડાંડા ઉપર દોરડુ બાંધી બંન્ને જણાએ ગળેફાંસો ખાય આત્મહત્યા કરી લીધી હતી.

મૃતક બંને બાળકો અને પતિ-પત્નીની તસવીર.
વાંસદા પોલીસે વધુ તપાલ હાથ ધરી
વહેલી સવારે બાળકોને જાગેલા ન જોતા તપાસ કરતા તમામના મૃતદેહ જોવા મળ્યા હતા. આ બાબતે ચુનીલાલના પિતા જતરભાઈ માધુભાઈ ગાંવીતે ગુનો નોંધાવતાં પોલીસે બે ગુના નોંધ્યા છે. જેમાં એક બાળકોની હત્યામાં મૃતક પતિ-પત્ની વિરુદ્ધ અને બીજા કેસમાં પતિ-પત્નીના આકસ્મિક મોતનો ગુનો નોધ્યો છે. આ કેસમાં આગળની તપાસ વાંસદા પોલીસ દ્વારા કરવામાં આવશે.