દ્વારકા ખંભાળિયાએક કલાક પહેલા
- કૉપી લિંક

ધરમપુર વિસ્તારમાં આજથી શ્રીમદ ભાગવત સપ્તાહ….
ખંભાળિયા નજીક આવેલા ધરમપુર ગ્રામ પંચાયત વિસ્તારના પૂર્વ સરપંચ લાલજી નકુમ (ખાખી) પરિવાર દ્વારા સોમવાર તારીખ 13થી તારીખ 20 માર્ચ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શ્રી કૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટ – ધરમપુરના ઉપક્રમે મહાપ્રભુજીની બેઠકથી આગળ આવેલી આંબાવાડી પ્રાથમિક શાળાની બાજુમાં વીર બાલાજી હનુમાન મંદિરના વિશાળ પટાંગણમાં યોજવામાં આવેલા આ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પ્રસંગમાં જાણીતા કથાકાર શાસ્ત્રી ભાવેશ આરંભડીયા (કુવાડીયા વાળા) બિરાજી અને કથામૃતનું રસપાન કરાવશે. આ પ્રસંગે સોમવારે સાંજે પોથી યાત્રા, બુધવારે પરીક્ષિતનું ગંગા ગમન, શુક્રવારે વામન અવતાર તેમજ શ્રીકૃષ્ણ જન્મોત્સવ બાદ આગામી સોમવારે સુદામા ચરિત્ર અને પરીક્ષિત મોક્ષ સહિતના વિવિધ ધર્મોમય કાર્યક્રમ યોજવામાં આવ્યા છે. ધર્મપ્રેમી જનતાને સવારે 9થી 12 તથા સાંજે 3થી 6 સુધી કથા શ્રવણનો લાભ લેવા આયોજક લાલજી ખાખી પરિવાર દ્વારા અપીલ કરવામાં આવી છે.
બોર્ડની પરીક્ષાની તૈયારીઓને આખરી ઓપ અપાયો
સમગ્ર રાજ્યમાં મંગળવાર તારીખ 14 માર્ચથી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 15,000 જેટલા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. સમગ્ર વર્ષ દરમિયાન કરેલી મહેનત અને વિદ્યાર્થીના જીવનકાળની મહત્વની ગણાતી આ પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. વિધાર્થીઓ પોતાની તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે અને ખૂબ જ ખંતથી વધુને વધુ મહેનત કરી રહ્યા છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાની સંસ્કારો સાથે શિક્ષણ આપતી અને વિદ્યાર્થી હીત માટે સર્વોત્તમ કાર્ય કરતી “ધી પ્રેસિડેન્ટ સ્કૂલ” ના સંચાલક અને શિક્ષણ વીદ માહિ સથવારાએ વિધાર્થીઓને શક્ય એટલા મદદરૂપ થવા અને વિદ્યાર્થીઓના અભ્યાસમાં ખલેલ ના પહોંચે એ માટે રાત્રે 10 પહેલા ડી.જે. અને અન્ય સાઉન્ડ સિસ્ટમ બંધ કરી દેવા તથા શક્ય હોય ત્યાં અવાજની માત્રા ઓછી રહે એ બાબતનો ખ્યાલ રાખવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામને ખાસ અનુરોધ કર્યો છે.
આ ઉપરાંત વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામનાઓ પણ તેમણે પાઠવી હતી અને કહ્યું હતું કે, સંપૂર્ણ સ્વસ્થ મનથી પરીક્ષા આપજો, રિઝલ્ટ એ માત્ર આંકડાઓથી વિશેષ બીજું કશું જ નથી, યાદ રાખજો આપનું જીવન અમૂલ્ય છે. પરીક્ષા અનિવાર્ય છે, પરંતુ પરીક્ષાના ડરને મનમાં હાવી ન થવા દેવો જોઈએ. વધુ સારું રિઝલ્ટ આપવાની હરીફાઈ સ્વીકાર્ય છે, પણ આ હરીફાઈ ક્ષમતા મુજબ અને સ્વ સાથે હોવી જોઈએ તેમ શિક્ષણ વિદ માહીભાઈ દ્વારા જણાવાયું છે.
સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવામાં આવ્યા…
મુસાફરોની માગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિશેષ ભાડા સાથે સમાન સમય, માળખા અને રૂટ પર લંબાવવામાં આવ્યા છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ ટ્રેનોની વિગતો આ મુજબ છે
- ટ્રેન નંબર 09435 અમદાવાદ ઓખા સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ જે અગાઉ 25મી માર્ચ, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી. તે હવે 01લી જુલાઈ, 2023 સુધી લંબાવવામાં આવી છે.
- ટ્રેન નંબર 09436 ઓખા-અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ જે અગાઉ 26મી માર્ચ, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી. તે હવે 2જી જુલાઈ, 2023 સુધી લંબાવવામાં આવી છે.
- ટ્રેન નંબર 09435 અને 09436 માટેનું બુકિંગ 15 માર્ચ, 2023થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ખુલશે.