સુરત26 મિનિટ પહેલા
હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસ માવઠું થવાની આગાહી કરી હતી. જેને લઇ આજે સુરત જિલ્લામાં બપોર બાદ અને તાલુકામાં વરસાદ પડ્યો તો રાત પડતા સુરત શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. શહેરના અનેક વિસ્તારોમાં વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. ઉનાળાની શરૂઆતમાં વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી છે.
ઉનાળાની શરૂઆતમાં ચોમાસા જેવો માહોલ
હવન વિભાગ દ્વારા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આજથી ત્રણ દિવસ સુધી વરસાદ પડવાના માવઠાની આગાહી કરવામાં આવી હતી. જેને લઇ સુરત શહેર અને જિલ્લામાં દિવસ દરમિયાન વાતાવરણ વાદળછાયુ જોવા મળ્યું હતું. ત્યારે સુરત જિલ્લાના ઓલપાડ અને બારડોલી તાલુકામાં બપોર બાદ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. તો સાંજ બાદ રાત પડતાની સાથે જ સુરત શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા અને ઉનાળાની શરૂઆત સાથે જ ચોમાસા જેવો માહોલ બની ગયો છે.

સુરત શહેરમાં વરસાદ પડ્યો.
શહેરના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ
સુરત શહેરમાં સવારથી વાદળછાયુ વાતાવરણ રહ્યા બાદ સાંજ બાદ અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. શહેરના રાંદેર ,અડાજન કતારગામ, અમરોલી સહિતના વિસ્તારોમાં ગાજ વીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતા જ શહેરમાં અચાનક ઠંડક પ્રસરી છે અને શહેરમાં ભરઉનાળે ચોમાસાની જેમ માહોલ બની જવા પામ્યો છે.
ખેડૂતોની ચિંતા ફરી વધી
જે રીતે હવામાનમાં પલટો આવ્યો છે અને ઉનાળાની શરૂઆત તેની સાથે વરસાદ માવઠાની સ્થિતિ સર્જાઈ છે ત્યારે ખેડૂતો ફરી એક વખત ચિંતિત બન્યા છે. હજુ થોડા દિવસો પહેલા જ માવઠા અને કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન થવા પામ્યું હતું ત્યારે ફરી એક વખત ત્રણ દિવસની વરસાદની આગાહીને લઈ વરસાદ પડતા ખેડૂતોની ચિંતા બેવડી થઈ ગઈ છે.

વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો.
કેરીના મબલક પાકમાં મોટું નુકસાન થવાની ભીતિ
ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ઉનાળાને લઈ કેરીના મબલક પાકમાં મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. દક્ષિણ ગુજરાત ખેડૂત આગેવાનના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતમાં લેવામાં આવતા બાગાયતી પાકને મોટું નુકસાન થવાની ભીતી આ માવઠાને લઇ સેવાઈ રહી છે. ઉપરાંત કેરીમાં આવેલા મોર ખરી પડતા આ વખતે કેરીને મોટું નુકસાન થવા પામશે. શેરડી સહિત, અને લીલી શાકભાજી ને મોટું નુકસાન આ વરસાદના કારણે થવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે.

સુરત જિલ્લામાં બપોર બાદ વરસાદ વરસ્યો હતો.
ફરી શહેરમાં રોગચાળાનું પ્રમાણ વધવાની શક્યતા
શહેરમાં છેલ્લા ઘણા સમયથી શહેરીજનો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. જેને લઇ વાયરલ ફીવર શરદી ખાંસી ના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત ગત સમયમાં પડેલા માવઠાને લઈ પણ વાયરલ ફીવર શરદી ખાંસીના કેસો ખૂબ જ વધ્યા હતા. ત્યારે ફરી શહેરના વાતાવરણનામાં પલટો આવતા અને વરસાદી માહોલ બનતા રોગચાળો વકરવાની વીતી સેવાઈ રહી છે.