ગાંધીનગર7 મિનિટ પહેલા
- કૉપી લિંક

ભારત દેશને ટીબી મુક્ત કરવાનું વડાપ્રધાને આહવાન કર્યું છે ત્યારે સરકારે ચાલુ વર્ષે જ ટીબીમુક્ત ગુજરાત કરવા માટેની કામગીરી શરૂ કરી દીધી છે. જેના પગલે વધુમાં વધુ ક્ષયરોગના દર્દીઓ શોધવા માટે ટેસ્ટીંગ વધારી દેવામાં આવ્યું છે. ક્ષય મુક્ત શહેર બનાવવા માટે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ચૂસ્ત પગલાઓ લેવામાં આવ્યા છે. જેના અનુસંધાને વિશ્વ ટીબી દિવસ નિમિત્તે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત નિ:ક્ષય મિત્ર બનાવવા માટે મેયર હિતેષ મકવાણાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો.

દેશમાં દર વર્ષે ટી.બીના 26 લાખ કેસ નોંધાય છે. જેમાંથી દર વર્ષે અંદાજીત 1.45 લાખ જેટલા દર્દીઓનું મૃત્યુ થાય છે. જે અન્ય રોગ જેવા કે મેલેરીયા, ડાયાબીટીસ કે સગર્ભા માતાઓના મરણના પ્રમાણ કરતા વધુ છે. જેને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારત દેશને 2025 સુધી ટી.બી મુક્ત કરવાનું આહવાન કરવામાં આવ્યું છે.

જે અન્વયે આજે વિશ્વ ટી.બી. દિવસ નિમિત્તે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત નિ:ક્ષય મિત્ર બનાવવા માટે મેયર હિતેષ મકવાણાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડે. મેયર પ્રેમલસિંહ ગોલ તથા સ્ટેન્ડીંગ ચેરમેન જશવંત પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં મેયરે જણાવ્યું હતું કે, ગાંધીનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે વર્ષ દરમિયાન કુલ સાત હજારથી પણ વધુ ક્ષયના દર્દોઓ નોંધાયા છે. આ રોગ ચેપી હોવાને કારણે તેના દર્દીને ખાસ કાળજી લેવી પડે છે. ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ટી.બી રોગના દર્દીઓ વધુ પ્રમાણમાં અર્બન સ્લમ વિસ્તાર, કન્સટ્રક્શન સાઇટ જેવી જગ્યાએ જોવા મળે છે. આ બાબતને ગંભીરતાથી લઈ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા વિશેષ પગલા ભરવામાં આવ્યાં છે. ગાંધીનગર માહાનગરપાલિકા વિસ્તારમાં કુલ 360 ટી.બીના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જેમાંથી 255 દર્દીઓને ન્યુટ્રીશન સપોર્ટની જરૂર છે. ટી.બી.ની દવાઓ સાથે પોષણક્ષમ આહારકીટ આપવાથી દર્દીની સાજા થવાની ક્ષમતામાં વધારો જોવા મળે છે. જે બદલ ચેરમેન જશવંત પટેલની ગ્રાન્ટમાંથી 170 દર્દીઓને દત્તક લઈ પોષણક્ષમ આહાર કીટ આપવામાં આવશે. આ ઉપરાંત 50 દર્દીઓને એપોલો હોસ્પિટલ, 30 દર્દીઓને અરવિંદ મિલ્સ, 15 દર્દીઓને શિક્ષાપત્રી ગૃપ અને 5 દર્દીઓને કલાવતી ફાઉન્ડેશન દ્વારા પોષણક્ષમ આહાર કીટ પૂરી પાડવામાં આવશે.