અમદાવાદ17 મિનિટ પહેલા
- કૉપી લિંક

વિશ્વવિખ્યાત મા અંબાના ધામ અંબાજી શક્તિપીઠ ખાતે મોહનથાળનો પ્રસાદ બંધ કરવાનો નિર્ણય ચર્ચાનો મુદ્દો બન્યો છે. પ્રસાદ ફરી ચાલુ કરવા માટે અનેક લોકો અને ભક્તો માગ કરી રહ્યા છે. ત્યારે હવે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મોહનથાળનો પ્રસાદ જ ચાલુ રાખવામાં આવે તેવી માગ કરવામાં આવી છે અને જો મોહનથાળનો પ્રસાદ શરૂ નહીં થાય તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. હિન્દુ પરિષદના પ્રાંત મંત્રી નલિન પટેલે બનાસકાંઠા કલેક્ટરને પત્ર લખી જાણ કરી છે.
VHP દ્વારા આંદોલન કરવાની ચીમકી
તેઓએ જણાવ્યું હતું કે, હિંદુ સમાજ હંમેશા પરંપરા, સંસ્કાર અને ધાર્મિક આસ્થા સાથે જોડાયેલો રહ્યો છે. આજના સમયમાં મા અંબાના મોહનથાળનો પ્રસાદ વિશ્વવિખ્યાત થયો છે. હાલમાં દેશ-વિદેશમાં માઇભક્તોમાં મોહનથાળનો પ્રસાદ એક શ્રદ્ધાનું કેન્દ્રબિંદુ છે. મોહનથાળનો પ્રસાદ મા અંબાજીના સાક્ષાત દર્શન સમો આભાસ કરાવે છે. જેથી મા અંબાજીના મોહનથાળનો પ્રસાદ જોઇને જ શ્રદ્ધાથી માઇભક્તોનું શીશ નતમસ્તક થઈ જતું હોય છે. દશકોથી ચાલતી પરંપરાના તૂટે અને માતાજીના પ્રસાદમાં હિંદુ સમાજને વર્ષોથી મળતો મોહનથાળ જ મળી રહે તેના માટે વ્યવસ્થા ફરી કરો. જો મોહનથાળનો પ્રસાદ ફરી નહીં શરૂ કરવામાં આવે અને તેમાં વિલંબ થશે તો વિશ્વ હિન્દુ પરિષદને ના છૂટકે આંદોલનનો માર્ગ લેવાની ફરજ પડશે. તેની સંપૂર્ણ જવાબદારી આપની રહેશે.
અંબાજી શક્તિપીઠએ કરોડોની આસ્થાનો આધારસ્તંભ
આધ્યશક્તિ અંબાજી મંદિર કે જે 52 શક્તિપીઠમાંનું એક મહત્વનું શ્રદ્ધાનું સ્થાન છે. આ શક્તિપીઠમાં વર્ષોની પરંપરા મુજબ પ્રસાદ અને નૈવેધ તરીકે મોહનથાળનો પ્રસાદ ભાવિક ભક્તોને આપવામાં આવે છે. હવે પછી મોહનથાળને બદલે ચિક્કીનો પ્રસાદ આપવામાં આવશે તેવો નિર્ણય થયો છે. અંબાજી શક્તિપીઠએ કરોડોની સંખ્યામાં હિંદુ સમાજની આસ્થાનો આધારસ્તંભ છે, જ્યાં પ્રસાદ અને નૈવેધ તરીકે હિંદુ સમાજની આસ્થા અને લાગણીને ઠેસ પહોંચાડવાનું કાર્ય યોગ્ય નથી. દશકોથી ચાલી આવતી પરંપરા બદલાવાનું કારણ જે આપવામાં આવે છે કે ચિક્કી લાંબો સમય ચાલે અને મોહનથાળ લાંબો સમય ના ચાલે એ કોઈપણ રીતે યોગ્ય જણાતું નથી કેમકે આટલા વર્ષોથી મોહનથાળને કંઈ થયું નથી, તો હવે બગડી જાય, તે કેવી રીતે માનવામાં આવે?