પાટણએક કલાક પહેલા
- કૉપી લિંક

‘ટીબી હારેગા, દેશ જીતેગા’…દર વર્ષે દેશમાં વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવે છે. દેશમાં ટીબી રોગ વિશે વધુને વધુ લોકોમાં જાગૃતતા આવે તે ઉદેશ્ય સાથે આ વર્ષે પણ સમગ્ર દેશમાં વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પાટણ જિલ્લાની ધારપુર મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે આજરોજ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા આપાયેલ ‘યસ વી કેન એન્ડ ટીબી’ થીમ અંતર્ગત વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ટીબીના કુલ 5 દર્દીઓને નિષ્ણાંત તબીબો અને અધિકારીઓના હસ્તે ન્યુટ્રીશીયન કીટ આપવામાં આવી હતી.

ટીબી એ સમગ્ર વિશ્વમાં એક ગંભીર સમસ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ ટીબીને વૈશ્વિક સમસ્યા જાહેર કરી છે. આ વૈશ્વિક સમસ્યાને નાબૂદ કરવા માટે ભારત સરકારએ રાષ્ટ્રીય ક્ષય નિર્મુલન કાર્યક્રમ જાહેર કર્યો છે. સરકારએ ભારત દેશને વર્ષ 2025 સુધીમાં ક્ષય રોગને નિર્મુલન કરવા માટે આહવાન કર્યું છે. હાલમાં દેશમાં રાષ્ટ્રીય ક્ષય નિર્મુલન કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે.

પાટણ જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં વર્ષ 2022માં સરકારી ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રમાં કુલ 4796 ક્ષય રોગના દર્દીઓ નોંધાયા હતા. હાલમાં જિલ્લામાં નેશનલ ટીબી એલીમીનેશન પ્રોગ્રામ ચલાવવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા ટીબીને નોટીફાઈડ જાહેર કર્યા બાદથી ખાનગી ડોક્ટર્સ પાસેથી ટીબી નોટીફીકેશન કરાવવામાં આવી રહ્યું છે. જેમાં પાટણ જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં સૌથી વધુ ટીબી નોટીફિકેશનની કામગીરી કરવા બદલ ટીયુ ટીમ પાટણને પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.

આજરોજ આયોજીત રાષ્ટ્રીય ક્ષય નિર્મુલન કાર્યક્રમમાં વિવિધ કામગીરી અંતર્ગત વિવિધ ટીમને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. જેમાં જિલ્લામાં સૌથી વધુ સફળતાપૂર્વક ટીબીના દર્દીઓને સાજા કરવાના દર અંતર્ગત ટીયુ ટીમ શંખેશ્વરને પ્રમાણપત્ર આપવામાં આવ્યુ હતુ. ખાનગી ક્ષેત્રમાં સૌથી વધુ નોટીફિકેશનની કામગીરી કરવા બદલ ડૉ.હમીદ મન્સુરીને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતુ. તદઉપરાંત વિવિધ કામગીરી અંતર્ગત વિવિધ ટીમોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય ક્ષય નિર્મુલન કાર્યક્રમના અંતે ઉપસ્થિત લોકોએ દેશને ટીબી મુક્ત બનાવવામાં સક્રીય યોગદાન આપવા અંગેની પ્રતિજ્ઞા લીધી હતી.

આજના કાર્યક્રમમાં કાર્યક્રમના અધ્યક્ષશ પાટણ જિલ્લા ક્ષય અધિકારી ડૉ.ડી.એન.પરમાર, ડીન ડૉ.હાર્દિક શાહ, મેડીકલ સુપ્રિટેન્ડન્ટ ડૉ.પારૂલ શર્મા, RMO ડૉ.હિતેશ ગોસાઈ, ઈ.એમ.ઓ. ડૉ.નરેશ ગર્ગ, ન્યુટ્રીશીયન કીટના દાતા અશ્વિનભાઈ દાફડા, THO, TMO, NTED સ્ટાફ, તમામ ટીબી યુનિટ સ્ટાફ, તેમજ નર્સીંગ કોલેજના વિદ્યાર્થીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
