- Gujarati News
- Local
- Gujarat
- Rajkot
- Youth Dies After Touching Electric Wire While Hoisting Flag At Temple, Patient Dies After Being Beaten By Psychopaths In Civil
રાજકોટ31 મિનિટ પહેલા
- કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર
રાજકોટ શહેરના ખોડિયારનગરમાં રહેતા રવીરાજ શિવકુભાઈ સોનારા (ઉ.વ.19) અને લગધીરસિંહ બળવંતસિંહ જાડેજા (ઉ.વ.45) ગઈકાલે વિસ્તારમાં આવેલા મેલડી માતાના મંદિરે હતા ત્યારે વીજશોક લાગતા બન્નેને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જયાં રવિરાજનું મૃત્યું નિપજ્યું હતું જયારે લગધીરસિંહને સારવાર માટે વોર્ડમાં દાખલ કરાયા હતાં.
વીજશોક લાગ્યો હતો
ખોડીયારપરામાં આવેલા મેલડી માતાજીનાં મંદિરે માંડવા અને ધ્વજારોહણનો કાર્યક્રમ હોય ગઈકાલે રવીરાજ મંદિરે ગયા બાદ મંદિરની ઉપર લગાવેલી ધ્વજા કાઢી નવી ધ્વજા ચડાવવા મંદિર ઉપર ચડયો હતો દરમિયાન ધ્વજાનો પાઈપ કાઢી રહ્યો હતો ત્યારે નજીકમાં વૃક્ષ પાસેથી પસાર થતા વીજવાયર સાથે પાઈપ અડી જતા તેને વીજશોક લાગ્યો હતો. આ સમયે નીચે રહેલા લગધીરસિંહ તેને બચાવવા જતા તેને પણ વીજશોક લાગ્યો હતો. બંનેને સિવિલમાં ખસેડાયા હતાં જયાં રવીરાજને જોઈ તપાસી ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. જે બાદ સિવિલ ચોકીના સ્થાફે બનાવ અંગે થોરાળા પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાગળો કરી કાર્યવાહી હાથ ધરી હતી. રવીરાજ બે ભાઇમાં મોટો હતો અને કારખાનામાં મજૂરી કામ કરી પરિવારને મદદરૂપ થતો હતો.
મનોરોગીઓએ વચ્ચે માથાકૂટ થઈ હતી
રાજકોટ શહેર નજીક નવાગામમાં આવેલા પશૂબા એજ્યુકેશન ટ્રસ્ટમાં રહેતો મનીષ નામનો 35 વર્ષીય માનસિક અસ્થિર યુવાનનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન આજરોજ મોત નીપજતાં સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફ દ્વારા બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જાણ થતા જ બી ડિવિઝન પોલીસ મથકના એએસઆઇ એ.વી.બકુત્રા સહિતનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો અને મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે ખસેડી મરણ નોંધ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ ગત તા.9 માર્ચના રોજ અમુક માનસિક રીતે અસ્થિર લોકો વચ્ચે માથાકૂટ થઈ હતી જેમાં મનીષને માર મારતા તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જેનું ચાલુ સારવારમાં મોત નિપજ્યું હતું. પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી જેમાં પેનલ પીએમના રિપોર્ટ આવ્યે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ફર્નિચરના ધંધાર્થીએ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો
રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં આવેલ શ્રધ્ધાપાર્કમાં પરિવાર મોલ પાછળ રહેતાં હર્ષદ રમેશભાઇ ચાવડા (ઉ.વ.26) નામાના યુવાને સાંજે કપડુ પંખામાં બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. જે બાદ પરિવારજનોને જાણ થતાં બેભાન હાલતમાં નીચે ઉતારી સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો પરંતુ અહિ દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્રદ્યુમન નગર પોલીસને જાણ કરી હતી. હર્ષદ ચાર ભાઇમાં નાનો હતો અને કુંવારો હતો. તે ફર્નિચરના કામ રાખીને ગુજરાન ચલાવતો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા બાદ પરિવાર મુળ ગોંડલ પંથકના હોવાથી દેરડી કુંભાજી પાસે પોતાના વતન મૃતદેહને અંતિમવિધી માટે લઇ જવાયો હતો. હાલ પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.