વડોદરા7 મિનિટ પહેલા
- કૉપી લિંક

વડોદરા કમાટીબાગમાં હિપ્પોએ ઝૂ ક્યુરેટર અને સિક્યુરીટી જવાન ઉપર હુમલો કર્યો
વડોદરા કમાટીબાગમાં રાખવામાં આવતા હિપ્પોપોટેમસે રાઉન્ડમાં ગયેલા ઝૂ ક્યુરેટર અને સિક્યુરીટી જવાન ઉપર જીવલેણ હુમલો કરતા ગંભીર ઇજા પહોંચી હતી. બંને ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ઝૂ ક્યુરેટરને MRI કરવા માટે લઇ જવામાં આવી રહ્યા હતા. તે સમયે બ્લિડીંગ શરૂ થતાં પુનઃ તેઓને ICU માં સારવાર માટે લઇ જવાયા હતા.
રાઉન્ડમાં નીકળ્યા હતા
મળેલી માહિતી પ્રમાણે સયાજી બાગમાં વિવિધ પ્રકારના હિંસક પ્રાણીઓનું પ્રાણી સંગ્રહાલય છે. આ પ્રાણી સંગ્રહાલયમાં ઝૂ ક્યુરેટર તરીકે પ્રત્યુષ પાટણકર ફરજ બજાવે છે. સમયાંતરે ઝૂ ક્યુરેટર સિક્યુરીટી જવાન સાથે પ્રાણીઓની આરોગ્યલક્ષી તપાસ માટે જતા હોય છે. આજે પણ ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકર સિક્યુરીટી જવાન મનોજભાઇ સાથે પ્રાણીઓની સુરક્ષા તેમજ આરોગ્યલક્ષી રાઉન્ડમાં નીકળ્યા હતા.

પથ્થર ઉપર લોહીના ડાઘા
સ્થળ પર ઢળી પડ્યા
પ્રાણીઓની ચેકીંગ કરતા કરતા ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકર અને સિક્યુરીટી જવાન મનોજભાઇ હિપ્પોપોટેમસને રાખવામાં આવતા પિંજરામાં ગયા હતા. દરમિયાન હિપ્પોપોટેમસે એકાએક ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકર અને સિક્યુરીટી જવાન મનોજભાઇ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. અધિકારી અને સિક્યુરીટી જવાન કંઇ વિચારે તે પહેલાંજ ભુરાંટા બનેલા હિપ્પોએ જીવલેણ હુમલો કરતા તેઓ સ્થળ પર પડી ગયા હતા.
ICUમાં દાખલ
દરમિયાન બનાવની જાણ અન્ય સિક્યુરીટી જવાનોને થતાં તુરતજ તેઓ દોડી ગયા હતા. અને ઇજાગ્રસ્ત ઝૂ ક્યુરેટેર પ્રત્યુષ પાટણકર અને સિક્યુરીટી જવાન મનોજભાઇને કમાટીબાગની બાજુમાં આવેલી ટ્રસ્ટની નરહરી હોસ્પિટમાં લઇ ગયા હતા. ગંભીર રીતે ઇજા પામેલા અધિકારી સહિત બંનેને તુરતજ ICUમાં દાખલ કરી સારવાર શરૂ કરી દેવામાં આવી હતી.

પિંજરામાં ઠેર-ઠેર લોહી પડ્યું
બિલ્ડીંગ વધુ પ્રમાણમાં થયું
મળેલી માહિતી પ્રમાણે ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકરને માથામાં ગંભીર ઇજા પહોંચી હોવાથી તબીબો દ્વારા તેઓનું MRI કરવા માટે તજવીજ હાથ ધરી હતી. પરંતુ, તેઓેને MRI માટે લઇ જતી વખતેજ બ્લિડીંગ શરૂ થતાં, પુનઃ ICUમાં દાખલ કરી સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. આ ઘટનાની જાણ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓને થતાં તેઓ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. ઉપરાંત તત્કાલિન મેયર કેયુર રોકડીયા, સ્થાયિ સમિતીના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ સહિત કાઉન્સિલરો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.
સ્વસ્થ થયા બાદ વિગતો બહાર આવશે
બીજી બાજુ આ બનાવની જાણ ઇજાગ્રસ્તોના પરિવારજનોને થતાં તેઓ પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. હિપ્પોએ કયા સંજોગોમાં અને ચોક્કસ કયા કારણોસર હુમલો કર્યો તે અંગેની ચોક્કસ કોઇ માહિતી બહાર આવી નથી. ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકર સ્વસ્થ થયા બાદ અન્ય વિગતો બહાર આવશે. સયાજીબાગમાં સમી સાંજે બનેલા બનાવે ભારે ચકચાર જગાવી મૂકી હતી.