- Gujarati News
- Local
- Gujarat
- Rajkot
- There Are Spice Markets In 100 Places, But The System Took The Samples From Only 3 Places Considering The Board’s Instructions As General
રાજકોટ10 મિનિટ પહેલા
- કૉપી લિંક

- ગત વર્ષે બેફામ ભેળસેળ સામે આવી હતી છતાં ઝુંબેશને બદલે ઠંડી પ્રવૃત્તિ
- સપ્તાહમાં એક માર્કેટમાંથી બે સેમ્પલ લેવાયાં, ફૂડ લાઇસન્સની પણ નોટિસ નથી અપાતી
રાજકોટ શહેરમાં ચારેકોર મસાલા માર્કેટ ધમધમી રહી છે. અંદાજે 100થી વધુ સ્થળોએ નાના-મોટા મંડપ અને વંડાઓમાં સમિયાણા નખાયા છે. આમ છતાં મનપાની ફૂડ શાખાએ આ વર્ષે મસાલા માર્કેટમાં કોઈ નોંધનીય કામગીરી કરી નથી.
રાજકોટ શહેરમાં ગત વર્ષે મસાલા માર્કેટ અને યાર્ડમાં ચેકિંગ દરમિયાન ભેળસેળની પરાકાષ્ઠા મળી હતી અને સુનિયોજિત કૌભાંડ સામે આવ્યું હતું. રાયમાં રંગ, મરચામાં રંગ, ધાણાજીરુંમાં કચરો નાખવામાં આવ્યો હતો જેને લઈને મસાલા માર્કેટ શરૂ થાય ત્યારથી જ ઝુંબેશ શરૂ કરીને ભેળસેળિયાઓને પકડવાની નેમ હતી પણ આ વર્ષે એવું કશું જ જોવા મળતું નથી. મસાલા માર્કેટ ફેબ્રુઆરીથી જ ધમધમવા લાગી હતી પણ એપ્રિલ આવ્યા સુધીમાં ફક્ત બે જ સેમ્પલ લેવાયા છે અને તે પણ પીડીએમ કોલેજ પાસેના એક જ વંડામાંથી લેવાયા છે.
આ સિવાયના એકપણ સ્થળેથી સેમ્પલ લીધાનું કે પછી હલકી ગુણવત્તાના મસાલા પકડી તેના નાશ કર્યાની કામગીરી પણ જાહેર કરાઈ નથી. જનરલ બોર્ડમાં પણ સિઝનલ ધંધાઓ પર તાકાતથી તૂટી પડવા સૂચના અપાઇ હતી પણ ફૂડ શાખાએ એ સૂચનાને પણ અવગણી છે. સંભવત: જ્યારે મસાલાની સિઝન પૂરી થવા આવશે ત્યારે એકસાથે વિવિધ માર્કેટમાં જશે અને રિપોર્ટ આવશે ત્યાં સુધીમાં તો સિઝન પૂરી થઈ જશે અને લેભાગુઓએ વેપાર કરી લીધો હશે.
સૌથી મહત્વની વાત એ છે કે જેટલા પણ વેપારીઓ મસાલા માર્કેટમાં વેપાર કરી રહ્યા છે તેમાંથી કોઇએ ફૂડ લાઇસન્સ લીધા નથી. આમ છતાં ફક્ત ફૂડ લાઇસન્સની નોટિસ આપવા કે પછી લાઇસન્સ લેવાની સમજ આપવા પણ ફૂડ શાખા મસાલા માર્કેટમાં ફરકતી નથી.
એક્ટ મુજબ છૂટક મસાલા વેચાય નહીં છતાં ફૂડશાખાના આંખ આડા કાન
મસાલા માર્કેટમાં મસાલા કેટલી અને કેવી ગુણવત્તાના વેચાય તે મુદ્દા કરતા સૌથી મોટો મુદ્દો એ છે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ છૂટક મસાલા વેચી શકાતા નથી. આ સ્પષ્ટ હોવા છતાં ફૂડશાખા આંખ આડા કાન કરી રહી છે જે સાબિત કરે છે કે ફૂડશાખાને દૂર રાખવા માટે ભેળસેળિયા તત્વોએ કોઇ માર્ગ શોધી લીધો છે.