દાહોદ34 મિનિટ પહેલા
- કૉપી લિંક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે દાહોદ સહિત દેશમાં કુલ 91 જેટલાં ઓલ ઇન્ડિયા રેડીયો એફ.એમ. ટ્રાન્સમિટરનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે દાહોદ નગરના પોલીસ તાલીમ ભવન ખાતે કાર્યક્રમ યોજાયો હતો.જેમાં રાજ્ય મંત્રી,સાંસદ સહિતના પદાધિકારીઓ તેમજ અધિકારીઓની ઉપસ્થિતિમાં દાહોદ રેડીયો એફ.એમ.ટ્રાન્સમિટરનું લોકાર્પણ કરાયું હતું.
હવે 10 કિલો વોટની ક્ષમતા વાળુ રેડિયો સ્ટેશન બનશે: સાંસદ
દાહોદ જિલ્લાના સર્વાગી વિકાસ માટેની પ્રતિબ્ધતા વ્યક્ત કરતા સાંસદ જસંવતસિંહ ભાભોરે જણાવ્યું કે, સમગ્ર દેશમાં 91 જેટલા ઓલ ઇન્ડિયા રેડીયો એફ.એમ. ટ્રાન્સમિટરનું લોકાર્પણ કરાયું છે. જેમાં મહત્વાંકાક્ષી જિલ્લા દાહોદને પ્રધાનમંત્રીના હસ્તે આ સોગાદ સાંપડી છે. આપણા દાહોદ જિલ્લામાં આ એફ એમ સ્ટેશન અમદાવાદ આકાશવાણીનું 100.1 mgh ઉપર પ્રાપ્ત થશે. તમામ એફએમ સ્ટેશન 100વોટની ક્ષમતાના અને આસપાસના 15 થી 20 કિલોમીટર વિસ્તારમાં તેનું ખૂબ સારૂ કવરેજ પ્રાપ્ત થશે. તેમણે એમ પણ જણાવ્યું કે, દાહોદમાં આ તો માત્ર પ્રારંભ છે. આગામી દિવસોમાં દાહોદ ખાતે જ આકાશવાણી કેન્દ્ર માટે 10 કિલો વોટની ક્ષમતા સાથેનું સંપૂર્ણ સુવિધાયુક્ત રેડિયો સ્ટેશનનો પ્રારંભ થવા જઇ રહ્યો છે.
સવારે 6 થી રાત્રે 11.20 સુધી મનોરંજન માણવા મળશે
દાહોદ ખાતે આજે શરૂ થયેલુ 100.1 એફ એમ સવારે 6 વાગ્યાથી લઇને નિરંતર રાત્રીના 11.20 સુધી વિવિધ કાર્યક્રમોનું પ્રસારણ કરશે. દાહોદનાં અંતરિયાળ વિસ્તારનો માણસ પર દેશ અને દુનિયાની તમામ માહિતીથી જાણકાર બનશે તેમજ રાજ્યના સાંસ્કૃતિક વારસાથી સુપરિચિત બનશે.
સાંસદે પત્ર વ્યવહાર તેમજ રૂબરૂ રજુઆતો કરી હતી
દાહોદમાં એફ.એમ.સ્ટેશનની માંગ વર્ષો જૂની હતી તે આજે પૂર્ણ થઈ છે.આ સ્ટેશનની મંજુરી માટે સાંસદે તેઓના પ્રથમ કાર્યકાળમાં પત્ર વ્યવહાર કર્યો હતો તેમજ સંસદના સત્રમા પણ માહિતી અને પ્રસારણ મંત્રીની મુલાકાત લીધી હતી.એફ એમ સ્ટેશન પણ એક કરોડના ખર્ચે નવીન બનશે અને તેના માટે જમીન મેળવવાની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે.આ કાર્યક્રમમાં રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ,જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા,જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ આમલીયાર તેમજ અધિક કલેક્ટર એ.બી.પાંડોર સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.