અરવલ્લી (મોડાસા)10 મિનિટ પહેલા
- કૉપી લિંક
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલા સાકરીયા ખાતેના ભીડ ભજન હનુમાનજી મંદિર ખાતે આવતીકાલે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે ઉજવણી માટે ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે. બીજી તરફ હનુમાન જયંતીના પાવન દિવસથી રાજ્યના એકમાત્ર સુતેલા હનુમાનજી મંદિરને નવ નિર્મિત કરવાનો પ્રારંભ પણ આવતીકાલથી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવનાર છે. સાત કરોડના ખર્ચે નવ નિર્મિત મંદિર આકાર લેશે.
મોડાસા નજીક આવેલા સાકરીયા ગામે રાજ્યનું એક માત્ર સુતેલા હનુમાનજી મંદિર આવેલું છે. આ મંદિર વર્ષો જૂનું અને અતિ પ્રાચીન હોવાનું માનવામાં આવે છે. ત્યારે આ પ્રાચીન ભીડ ભંજન હનુમાનજી મંદિર ખાતે આવતીકાલે હનુમાન જયંતીની ઉજવણી ભાવ અને શ્રદ્ધા પૂરવક ઉજવાય તે માટે ટ્રસ્ટ દ્વારા આગોતરું આયોજન કરી તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે. મંદિર ખાતે હનુમાન જયંતિ નિમિત્તે 100 કુંડી હનુમાન યજ્ઞનું આયોજન પણ કરાયું છે. ત્યારે આવતીકાલે 25 હજારથી વધુ ભાવિકો દર્શને આવી મહાપ્રસાદનો પણ લાભ લઇ ભગવાન હનુમાનજીના જન્મોત્સવમાં જોડાઈ દર્શનનો લાભ લઇ ધન્ય બનશે.
બીજી તરફ આ સ્વયંભૂ અને અતિ પ્રાચીન મંદિરનો આવતીકાલથી જીર્ણોદ્ધાર કરવાનું કામ પણ ટ્રસ્ટ દ્વારા હાથ ધરવામાં આવનાર છે. જે માટે જુના મંદિરને હાલ તોડી નાખવામાં આવ્યું છે. ટ્રસ્ટ દ્વારા અયોધ્યામાં રામ મંદિરમાં વાપરવામાં આવનાર પથ્થર બંસી પહાડપુર નામના પથ્થરનો ઉપયોગ કરી નવ નિર્મિત મંદિર બનાવવામાં આવનાર છે. જેની ઊંચાઈ 51 ફૂટ તેમજ પહોળાઈ 80 ફૂટ અંદાજે 7 કરોડના ખર્ચે નવ નિર્માણ પામનાર છે. જે માટે સમગ્ર સાકરીયા ગામના ગ્રામજનો દ્વારા પણ સહકાર આપવામાં આવ્યો છે. ત્યારે આ મંદિર ખાતે હનુમાન જયંતિની ઉજવણી માટે ટ્રસ્ટ દ્વારા ભક્તોને શાંતિથી દર્શન થાય તે માટે આયોજન કરી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.