અમદાવાદ23 મિનિટ પહેલા
- કૉપી લિંક
અમદાવાદના વિવાદાસ્પદ બનેલા હાટકેશ્વર બ્રિજને તોડી પાડવાનો નિર્ણય આજે મ્યુનિસિપલ કમિશનર એમ. થેંન્નારેસન દ્વારા લેવામાં આવ્યો છે. બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટરો અને એન્જિનિયરો સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી કરવામાં આવી છે.
અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બ્લેકલિસ્ટ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે હવે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા પલ્લવ પ્રગતિનગર ચાર રસ્તા પર રૂ. 104 કરોડના ખર્ચે બની રહેલા બ્રિજની કામગીરીનો કોન્ટ્રાક્ટ અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાસેથી પરત લઈ લેવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે આ બ્રિજ બનાવવા માટે ટેન્ડર કરી અને અન્ય કોન્ટ્રાક્ટર પાસે કામગીરી કરાવવામાં આવશે. હાલમાં પલ્લવ ઓવરબ્રિજની કામગીરી છેલ્લા એક મહિનાથી બંધ છે.
બ્રિજ મુદ્દે કોંગ્રેસે અવાજ ઉઠાવ્યો- વિપક્ષના નેતા
વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે હાટકેશ્વર બ્રિજને તોડી પાડવાના નિર્ણય લઇ અને જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના સત્તાધીશોના રાજમાં કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર થાય છે તેનું ઉત્તમ ઉદાહરણ આજે સામે આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ કરીને હાટકેશ્વર બ્રિજ તોડી પાડવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે તેના પરથી જણાઈ રહ્યું છે કે ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર થાય છે. કોંગ્રેસ પક્ષ દ્વારા અવારનવાર ભ્રષ્ટાચારને લઈ અને રજૂઆતો કરવામાં આવે છે. હાટકેશ્વર બ્રિજને લઈને પણ કોંગ્રેસ પક્ષ દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો હતો ત્યારે હવે કોંગ્રેસ પક્ષની માંગ છે કે અમદાવાદ શહેરમાં જેટલા પણ બ્રિજ બની રહ્યા છે. તેના પર વિજિલન્સ તપાસ થાય અને ફરીથી હાટકેશ્વર બ્રિજ જેવી ઘટના ન બને તેનું ધ્યાન રાખવામાં આવે. ભાજપ જે રીતે પ્રજાના ટેક્સના પૈસા કોન્ટ્રાક્ટરને આપવામાં આવે આવે છે તેને રોકવામાં આવે.
પલ્લવ બ્રિજની 30 ટકા કામગીરી થઈ, મહિનાથી બંધ
પલ્લવ પ્રગતિનગર ચાર રસ્તા પર રૂ. 104 કરોડના ખર્ચે બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ વર્ષ 2021માં અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડને આપવામાં આવ્યો હતો. આ બનાવવાની કામગીરી હાલમાં ચાલી રહી હતી. 30 ટકા બ્રિજ બનવાની કામગીરી હાલ પૂરતી પૂર્ણ થઈ ગઈ છે. જેની વચ્ચે હાટકેશ્વર બ્રિજમાં હલકી ગુણવત્તાનું બાંધકામ કર્યું હોવાનો ચાર ખાનગી એજન્સીઓના રિપોર્ટના આધારે હાટકેશ્વર બ્રિજને કોના ઉપયોગ માટે બંધ કરવામાં આવ્યો હતો. જેથી અજય એન્જિનિયરિંગ ઇન્ટ્રસ્ટેકટર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા બનાવવામાં આવતા આ બ્રિજની કામગીરીને પણ બંધ કરી દેવામાં આવી હતી.
અન્ય કોન્ટ્રાકટર મારફતે બ્રિજની વૈકલ્પિક વ્યવસ્થા કરાશે
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, પલ્લવ- પ્રગતિનગર ફ્લાવર બ્રિજ માટે હવે અન્ય કોન્ટ્રાકટર મારફતે કરાવી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે. પ્રિન્સિપલ કોર્પોરેશનમાં જ્યારે કોઈપણ કોન્ટ્રાક્ટર સામે ક્રિમિનલ કેસ નોંધાય છે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે ત્યારે હવે અજય એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ ની સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે જેથી આ બ્રિજની કામગીરી હાલ અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવશે નહીં.
બ્રિજની કામગીરી પર વિજિલન્સની નજર
હાટકેશ્વર બ્રિજની ગુણવત્તા સામે સવાલ ઊભા થતા સાથે જ પલ્લવ બ્રિજની વિજિલન્સ ખાતા દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. બ્રિજના કોલમ ભરવાથી લઈને તેમાં વપરાતું મટિરિયલ વગેરેના સેમ્પલો પણ લેવામાં આવ્યા હતા. આ બ્રિજની કામગીરી પર ખાસ નજર વિજિલન્સ દ્વારા રાખવામાં આવી રહી હતી. બ્રિજના બનાવેલા કોલમ, બ્રિજના જોઈન્ટ વગેરે જગ્યા ઉપરથી સેમ્પલો લઈ અને સરકારી લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલ્યા હતા. વિજિલન્સ ખાતાના અધિકારીઓ દ્વારા પણ આ બ્રિજની મુલાકાત લેવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
કોન્ટ્રાક્ટરે બ્રિજની કામગીરી બંધ કરી હતી
પલ્લવ પ્રગતિનગર બ્રિજની કામગીરી મામલે કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કામગીરી બંધ કરી દેવામાં આવી છે. કોન્ટ્રાક્ટર કંપનીને બે નોટિસ આપવામાં આવી છે. કોન્ટ્રાક્ટર દ્વારા આ રીતે બ્રિજની કામગીરી બંધ કરી દેવામાં આવતા તેની ખુલાસો માંગવામાં આવ્યો છે, તો બીજી તરફ હાલમાં જો બ્રિજની કામગીરી બંધ છે તો તેના પાઈલ્સ વગેરે ચેક કરવા જોઈએ અને આ બ્રિજમાં કેવી રીતે કામગીરી થઈ છે તેની તપાસ કરવી જરૂરી છે.
AMCના બ્રિજ પ્રોજેક્ટ વિભાગે કંપનીને બે નોટિસ ફટકારી
મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, પલ્લવ પ્રગતિનગર બ્રિજની કામગીરી હોળીના તહેવાર બાદ બંધ કરી દેવામાં આવી છે અને આજદિન સુધી કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આ કામગીરીને શરૂ કરવામાં આવી નથી. કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગ લિમિટેડ દ્વારા કામગીરી બંધ કરી દેવામાં આવતા મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ બે નોટિસ ફટકારવામાં આવી છે છતાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા આ કામગીરી શરૂ કરવામાં આવી નથી જેને લઇ અને કોર્પોરેશન દ્વારા તેને મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ સમક્ષ બોલાવી અને તેને ખુલાસો માંગવા માટે પણ જણાવ્યું છે છતાં પણ કોન્ટ્રાક્ટર હજી સુધી આ મામલે મળવા આવ્યા નથી ત્યારે કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી કરવી જરૂરી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું છે.