Friday, April 21, 2023

યુવરાજસિંહે જીતુ વાઘાણીનું નામ લીધું, અમદાવાદમાં 125 ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે, કીર્તિ પટેલની દબંગાઈ જુઓ | Ahmedabad traffic police took this initiative amid severe heat forecast in the state, why was the bail granted to the convicts of Godrakand | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad Traffic Police Took This Initiative Amid Severe Heat Forecast In The State, Why Was The Bail Granted To The Convicts Of Godrakand

5 કલાક પહેલા

  • કૉપી લિંક

ધાર્મિક તહેવારોમાં જુલૂસ અને શોભાયાત્રામાં ડીજે પર બેન
રામનવમીના દિવસે વડોદરામાં કોમી તંગદિલી અને પથ્થરમારો થયો હતો. ધાર્મિક તહેવારો અને સરઘસો વખતે કોમી તંગદિલી અને રમખાણોનો મુદ્દો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. હાઇકોર્ટમાં એઝાઝ ખાન પઠાણ દ્વારા વકીલ કે.આર. કોષ્ટી મારફત આ મુદ્દે PIL દાખલ કરવામાં આવી હતી. જેમાં અરજદારના વકીલ દ્વારા પોલીસની ભૂમિકા પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. આ PILની આજે હાઇકોર્ટમાં સુનાવણી હતી. જેમાં હાઇકોર્ટ દ્વારા કાલે પરશુરામ જયંતી અને રમજાન ઇદથી કોઈ પણ ધાર્મિક સરઘસો કે જુલૂસોમાં લાઉડસ્પીકર અને ડીજે પર પ્રતિબંધ, સરઘસ કે જુલૂસની ડ્રોન કેમેરાથી વીડિયોગ્રાફી સહિત 9 મુદ્દાને આવરી લેતો ચુકાદો આપ્યો છે. સરકારે એફિડેવિટ દ્વારા જવાબ આપતા જે 9 મુદ્દા ટાંકવામાં આવ્યા હતા તે હાઇકોર્ટે માન્ય રાખ્યા છે અને પોલીસની ભૂમિકા પર પ્રશ્ન છે તે અમાન્ય રાખવા જણાવ્યું છે. આ અંગે વકીલ કે.આર.કોષ્ટીએ જણાવ્યું હતું કે, છેલ્લાં 5 વર્ષમાં ગુજરાત રાજ્યમાં રામનવમી હોય, પરશુરામ જયંતી હોય કે હનુમાન જયંતી હોય એ સમયે જે તોફાનો થયાં છે, એ તોફાનોને કારણે કોમી શાંતિમાં વિક્ષેપ પડ્યો છે. એટલા માટે આ બધી વસ્તુઓ થાય નહીં અને લોકોને તકલીફો ન થાય એ માટે હાઇકોર્ટ પાસેથી નિર્દેશ મેળવવાની એક માગ કરવા માટે એક પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેમાં ગુજરાત સરકાર અને ડીજીપી ઓફિસ તરફથી એફિડેવિટ આવેલી અને તેની અંદર એમણે તમામ વ્યવસ્થા અને સુપ્રીમ કોર્ટના ચુકાદાને પુરાવા તરીકે ટાંકીને બધી વ્યવસ્થા કરી છે.

રાજ્યમાં ગરમીથી લોકોના હાલ બેહાલ
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી ગરમીથી લોકો ત્રસ્ત બન્યા છે. છેલ્લા કેટલાક સમયથી માવઠાં, ઠંકક, ગરમી એમ સતત બદલાતા વાતાવરણ વચ્ચે પણ હાલ ચામડી દઝાડનારી ગરમી પડી રહી છે. આજની વાત કરીએ તો ગુજરાતનાં મુખ્ય શહેરોમાં હવામાન વિભાગ પ્રમાણે અમદાવાદમાં 34 ડિગ્રી, વડોદરામાં 33.4 ડિગ્રી, સુરતમાં 33.8 ડિગ્રી, રાજકોટમાં 33.4, દ્વારકામાં 29.2, ભુજમાં 33.4, ડિસામાં 33.2 અને વેરાવળમાં 30 ડિગ્રી તાપમાન નોંધાયું છે. કચ્છમાં ગરમીનો પારો ઊંચો જતા જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે અને લોકો ગરમીથી બચવા શેરડી. નાળિયેર, આઈસક્રીમ જેવી વસ્તુઓ લઈ ગરમીમાં રાહત મેળવી રહ્યા છે. પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંત તરફથી વહી રહેલા ભેજયુક્ત દક્ષિણ પશ્ચિમનો પવનો ફૂંકાવા બંધ થતા સમગ્ર રાજ્યની સાથે રણ પ્રદેશનાં શહેર અને ગામડાઓમાં પણ ગરમીએ માઝા મૂકી છે. કચ્છના અનેક વિસ્તારોમાં ગરમીનો પારો ૩૯ ડિગ્રીથી માંડી 41 ડિગ્રી પહોંચતા કચ્છી માડુઓ ગરમીથી રીતસરના અકળાઈ રહ્યા છે. જ્યારે આજે કચ્છનું સરેરાશ 37 ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું છે. જે બે દિવસોમાં વધી પણ શકે છે. હવામાન ખાતાની આગાહી અનુસાર હજુ ગરમીનો પારો ઊંચો જાય એવી શક્યતાઓ છે, ત્યારે કચ્છવાસીઓ પણ હવે ગરમીથી બચવા કામ વગર બહાર જવાનું ટાળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કચ્છ સરહદી અને રણપ્રદેશ હોવાના કારણે વાતાવરણમાં વિસંગતાઓ જોવા મળી રહી છે, અને કચ્છના રાપરથી માંડી ખાવડાનાં ગામોમાં જાણે અગનવર્ષા થઈ રહી હોય એવું સ્થાનિકો જણાવી રહ્યા છે.

બપોરે 125 સિગ્નલ બંધ રહેશે
લોકોને ગરમીમાંથી રાહત આપવા અમદાવાદ ટ્રાફિક પોલીસે શહેરનાં 125 ટ્રાફિક સિગ્નલ બપોરે 12:30થી 4:30 સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ ઉનાળામાં ગરમીના નવા નવા રેકોર્ડ સર્જાશે, તેમાં પણ અમદાવાદ શહેરમાં 41 ડિગ્રી આજુબાજુ ગરમી નોંધાતા લોકો તોબા પોકારી ઊઠ્યા છે. બપોરે તો અમદાવાદ રીતસરનું અગનભઠ્ઠીમાં ફેરવાઈ ગયું હોય તેવું જણાઈ રહ્યું છે, જોકે કાળઝાળ ગરમી સામે લોકોને રાહત આપવા માટે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. અમદાવાદીઓને ગરમીમાં ટ્રાફિકમાં ઊભું રહેવું ન પડે તેને લઈ ટ્રાફિક પોલીસે અમદાવાદ શહેરનાં 125 ટ્રાફિક સિગ્નલો બંધ રાખવાનો આજથી નિર્ણય કર્યો છે. ગરમીથી વાહનચાલકોને રાહત આપવા અમદાવાદ ટ્રાફિક પોલીસે મહત્ત્વનો નિર્ણય લીધો છે. આજથી અમદાવાદ શહેરનાં 125 ટ્રાફિક સિગ્નલ બપોરે 12:30થી 4:30 સુધી બંધ રહેશે. સિગ્નલ બંધ રહેવાથી વાહનચાલકોને હવે રોડ પર થોભવું નહીં પડે તેમજ સાથોસાથ 58 ટ્રાફિક સિગ્નલ ચાલુ રાખવામાં આવ્યા છે જે સિગ્નલના સમયમાં 50 ટકાનો ઘટાડો કરાયો છે. મ્યુનિસિપલ તંત્રના હીટ એક્શન પ્લાનના નોડલ ઓફિસર અને દક્ષિણ ઝોનના હેલ્થ વિભાગના વડા ડો. તેજસ શાહ જણાવ્યું હતું કે, એલજી હોસ્પિટલમાં હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે સૌથી વધુ 20 બેડનો વોર્ડ તૈયાર કરાયો હોઈ અન્ય મ્યુનિ. હોસ્પિટલો જેવી કે એસવીપી હોસ્પિટલ, શારદાબહેન હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ, સોલા સિવિલ હોસ્પિટલમાં પણ દસ કે તેથી વધુ બેડની વ્યવસ્થા રખાઈ છે. શહેરભરમાં વિવિધ એનજીઓના સહયોગથી 550થી વધુ પાણીની પરબ કાર્યરત કરાઈ છે. 92 અર્બન અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે ઓઆરએસ કોર્નર તૈયાર કરાયા છે. 2100 આંગણવાડીમાં પણ ઓઆરએસની વ્યવસ્થા ઊભી કરાઈ છે તેમ જણાવતાં હીટ એક્શન પ્લાનના નોડલ ઓફિસર ડો. તેજસ શાહ જણાવ્યું હતું કે, 190 બીઆરટીએસ બસસ્ટેન્ડ અને 31 એએમટીએસના ડેપો તેમજ ટર્મિનસ ખાતે પેસેન્જર્સને પીવાનું પાણી મળી રહે તેની તકેદારી રખાઈ છે.

ગોધરાકાંડ કેસના 8 આરોપીઓના જામીન મંજૂર
ગોધરાકાંડ કેસમાં 2002માં સાબરમતી એક્સપ્રેસને આગ લગાવનારા 8 દોષિતોના જામીન સુપ્રીમ કોર્ટે મંજૂર કરી દીધા છે. જ્યારે સુપ્રીમ કોર્ટે અન્ય 4 દોષિતોને જામીન આપવા ઈન્કાર કર્યો છે. આજીવન કેદની સજા કાપતા 8 દોષિતોને જામીન મળી ચૂક્યા છે. તમામ દોષિતો 17થી 20 વર્ષ સુધીની સજા કાપી ચૂક્યા છે. દોષિતોની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે મુખ્ય ન્યાયાધીશની કોર્ટે કહ્યું કે, ‘મૃત્યુદંડની સજા પામેલા ચાર દોષિતોને છોડી બાકીનાને જામીન આપ્યા છે. 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરા સ્ટેશન પર હિંસક ટોળાં દ્વારા સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના S-6 ડબ્બામાં આગચંપી કરી દેવાઇ હતી. આ ઘટનામાં અંદાજે 59 કારસેવકોનાં મોત થયાં હતાં. ત્યાર બાદ સમગ્ર ગુજરાતમાં 2002માં ભારે રમખાણો થયાં હતાં.

સુરત આપને ઝટકા પર ઝટકા
સુરતમાં આમ આદમી પાર્ટીને એક બાદ એક ઝટકા મળી રહ્યા છે. વાત જાણે એમ છે કે, અગાઉ AAPના 10 કોર્પોરેટર ભાજપમાં જોડાયા બાદ હવે વધુ 2 કોર્પોરેટરે કેસરિયો ધારણ કર્યો છે. નોંધનીય છે કે, આ પહેલાં થોડાક દિવસો અગાઉ જ સુરતમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 6 કોર્પોરેટરો ભાજપમાં જોડાયા હતા. જે બાદમાં આજે વધુ બે કોર્પોરેટર ભાજપમાં જોડાતા રાજકીય ગરમાવો આવી ગયો છે. નોંધનીય છે કે, સુરતમાં AAPના 28માંથી 12 કોર્પોરેટર ભાજપમાં જોડાયા છે. ડાયમંડ નગરી સુરતની મહાનગરપાલિકામાં આપને વધુ એક ઝટકો મળ્યો છે. વિગતો મુજબ આજે સુરતમાં AAPના વધુ 2 કોર્પોરટર ભાજપમાં જોડાયા છે. આજે શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ પત્રકાર પરિષદ કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, વોર્ડ નં-3ના કનુ ગેડિયા અને વોર્ડ નં-2ના અલ્પેશ પટેલ ભાજપમાં જોડાયા છે.

યુવરાજસિંહનું વધુ એક સ્ફોટક નિવેદન
ભાવનગર SOG દ્વારા યુવરાજસિંહને સમન્સ પાઠવ્યા બાદ હવે તે આજે ભાવનગર પહોંચ્યા છે. આ દરમિયાન આજે યુવરાજસિંહે પત્રકાર પરિષદ કરી ફરી એકવાર મોટું નિવેદન આપ્યું છે. યુવરાજસિંહે જણાવ્યું હતું કે, મોટાં માથાઓ દ્વારા આ પ્રકરણ દબાવવા પ્રયાસ થઈ રહ્યા છે. મે નામ આપ્યાં છે એની તપાસ નથી થઈ રહી. આ સાથે તેમણે ગંભીર આક્ષેપ કરતાં કહ્યું કે, જે મોટાં માથાઓએ મને પોતાની પાર્ટીમાં જોડાવા ઓફર આપી હતી તેઓ પણ આ કાંડ દબાવવા સક્રિય છે. યુવરાજસિંહે કહ્યું કે, હું નિવેદન નોંધાવવા આવ્યો છું કે, મારા દ્વારા કોઈ આર્થિક વહીવટ કરવામાં આવ્યો નથી. મારું સમન્સ નીકળે તો અન્ય નેતાઓના સમન્સ નીકળવા જોઈએ. તેમણે ઉમેર્યું કે, મારી પાસે 30 કૌભાંડીનાં નામ છે. મારું સમન્સ નીકળે તો અન્ય નેતાઓનાં સમન્સ નીકળવાં જોઈએ.

કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ
સોશિયલ મીડિયામાં એક સમયની ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ સતત વિવાદોમાં આવતી રહે છે. અત્યાર સુધી તેની સામે મારામારી કે ધમકીની અનેક ફરિયાદ નોંધાઈ ગઈ છે. ત્યારે હવે ગૌરક્ષક બનીને હંગામો કરતા કીર્તિ પટેલ સામે સુરતના કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ગત 19મી માર્ચના રોજ કીર્તિ પટેલ, શૈલેષ મેર તથા તેમના કેટલાક સાથીઓએ કામરેજ ચોર્યાસી ટોલનાકા પર પશુ ભરેલો ટેમ્પો રોકીને ધામધમકી આપી હતી. આ સાથે ટેમ્પો ડ્રાઈવરને પણ બેફામ ગાળો આપીને ધમાલ મચાવી હતી. જેનો વીડિયો વાઈરલ થયો હતો. જે બાદ ટેમ્પો ડ્રાઈવરે આ તમામ વિરુદ્ધ કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે ગૌરક્ષક બનવા જતા ખોટી રીતે ધમાલ મચાવવાના કારણે કીર્તિ પટેલની મુશ્કેલીઓમાં વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: