આણંદ5 મિનિટ પહેલા
- કૉપી લિંક

બોરસદ તાલુકાના નાપાવાંટા ગામમાં ખેતી કામ કરતો યુવક પરિવાર સાથે ઇદ મનાવવા ગયો હતો, તે દરમિયાન પાછળથી ત્રાટકેલા તસ્કરોએ ઘરમાં ઘુસી રૂ.1.39 લાખની મત્તા ચોરી ગયા હતા. આ અંગે બોરસદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નાપાવાંટાના નારપુરા રેલવે ગરનાળા પાસે રહેતા આરીફ ઇમરાનભાઈ રાણાએ 21મી એપ્રિલ,23ના રોજ ગાના ગામના સીમ વિસ્તારમાંથી નીલગીરીઓ કાપી અને સો મીલમાં વેચાણ આપી હતી. જેના રૂ.76,500 મળ્યાં હતાં. જેમાંથી હિસાબો ચુકતે કરી વધેલા રૂ.69 હજાર લઇને ઘરે આવ્યાં હતા. જે તિજોરીમાં મુક્યા હતા. જોકે, તિજોરીને લોક માર્યું નહતું. તેઓ સાંજના નાપાડ વાંટા ડોક્ટરના કુવે સાસરીમાં ઇદ મનાવવા પરિવાર સહિત ગયાં હતાં અને રાત્રે બારેક વાગ્યાના સુમારે ઘરે પરત ફર્યા તે સમયે ઘરની હાલત જેમની તેમ હતી. બીજા દિવસે સવારે ઉઠીને તિજોરીમાં જોતા રૂ.69 હજાર નહતાં.આ અંગે પરિવારજનોને પુછતાં કોઇને ધ્યાન નહતું. પરંતુ ઘરના છેલ્લા રૂમની બારી તુટેલી હતી. આથી, ચોરીની શંકા જતાં ઘરમાં તપાસ કરી હતી. જેમાં રોકડ ઉપરાંત દાગીના મળી કુલ રૂ.1.39 લાખની મત્તા ચોરાઇ હોવાનું જણાયું હતું. આ અંગે બોરસદ ગ્રામ્ય પોલીસને જાણ કરતાં ટીમ સ્થળ પર પહોંચી હતી અને તસ્કરને પગેરૂ દબાવ્યું હતું. આ અંગે આરીફ રાણાની ફરિયાદ આધારે અજાણ્યા શખસો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.