આણંદ19 મિનિટ પહેલા
- કૉપી લિંક

પેટલાદ તાલુકાના અરડી ગામમાં ગામની દુધની ડેરીએ દુધ આપવા માટે ગયેલી કિશોરીનું અપહરણ થયાનો બનાવ બનવા પામ્યો છે.પરિવાર ચિંતાતુર હાલતમાં આવી ગયો હોઈ પોલીસને આ પરત્વે ફરિયાદ કરી છે.
પેટલાદ તાલુકાના અરડી ગામમાં આવેલા બળીયા મંદિર પાસે રહેતી એક કિશોરી ત્રીજી એપ્રિલ,23ના રોજ સવારના આઠેક વાગ્યાના સમયે દુધ આપવા માટે ગામમાં આવેલી દુધની ડેરી ગઈ હતી. બાદમાં ઘણો સમય થવા છતાં પણ કિશોરી ઘરે પરત આવી ન હતી. જેને લઈને કિશોરીના પરિવારજનોમાં ચિંતા વ્યાપી જવા પામી હતી. પરિવારજનોએ શોધખોળ કરતાં તેણીની ક્યાંય મળી આવી ન હતી.
આ અંગે પરિવારજનો ભારે હૈયે થઈ ગયા હતા.અને પુત્રી સાથે કોઈ અઘટિત ઘટના ન બને તે માટે પરિવારના મિત્રો સ્નેહીજનોને પણ જાણ કરી દીકરીની ખબર મેળવવા પ્રયત્ન આદર્યા હતા.જોકે આ દરમ્યાન વધુ તપાસ કરતા કોઈ અજાણ્યો ઈસમ તેમની પુત્રીનું અપહરણ કરીને લઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પરિવારજનોએ મહેળાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે અપહરણનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.