પંચમહાલ (ગોધરા)27 મિનિટ પહેલા
- કૉપી લિંક
ગોધરાના પાવર હાઉસમાં આવેલા વાલ્મિકીવાસ ખાતે આદ્યશક્તિ મા અંબાનું ભવ્ય મંદિર આવેલું છે. જ્યાં વાલ્મિકી સમાજના આગેવાનો અને નવયુવાનો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે જગતજનની મા જગદંબાના 15મા પાટોત્સવ નિમિત્તે મહાઆરતી અને ગુજરાતી કલાકારના સથવારે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરાયું હતું. જેમાં પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ કામિની સોલંકી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં મહા આરતી કરવામાં આવી હતી.
ગોધરા શહેરના વિવિધ સમાજના લોકો એ મહા આરતીનો લાભ લીધો હતો. ત્યારબાદ વાલ્મિકી સમાજના અગ્રણી અને નગરપાલિકાના માજી પ્રમુખ રાજેશ ચૌહાણ દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ કુ. કામિની સોલંકીને પુષ્પગુચ્છ અને ખેસ ઓઢાડીને સન્માન કર્યું હતું.
વાલ્મિકી વાસમાં યોજાયેલી આદ્ય શક્તિ મા અંબાના 15માં પાટોત્સવ નિમિત્તે મહાઆરતીમાં વાલ્મિકી સમાજની એકતા તથા અન્ય સમાજમાંથી મળેલો સાથ સહકાર અને પ્રતિસાદથી વાલ્મિકી વાસમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો. ગોધરા શહેરના પાવર હાઉસ ખાતે 15માં પાટોત્સવ દરમિયાન યોજાયેલા ભવ્ય લોક ડાયરામાં કોમેડી એક્ટર ધારસિંહ બેરડીયા દ્વારા વિવિધ ફિલ્મના એક્ટરના અવાજ કાઢીને આવેલા મહેમાનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
જ્યારે ગુજરાતી એક્ટર મમતા સોનીએ પોતાની મનમોહક અદાઓથી સૌના દિલ જીતી લીધા હતા. ગોધરાના પાવર હાઉસ ખાતે મમતા સોની આવવાની છે તેવા સમાચાર ગોધરાની જનતાને થતા તેઓ ગોધરા પાવર હાઉસ ખાતે આવીને મમતા સોનીના કાર્યક્રમને નિહાળ્યું હતું. જ્યારે વિજય ગઢવી, રાકેશ રાવળ, પ્રવિણ પટેલ, સુનિલ ભુવાજી, અશ્વિન સોલંકી, માઈકલ ડાન્સર સહિતના કલાકારોએ પોતાની આગવી કલાઓ દર્શાવી મહેમાનોને ખુશ કર્યા હતા.
આ કાર્યક્રમ અંતર્ગત બોલ મારી અંબે જય જય અંબેના જયઘોષ સાથે વાલ્મિકી વાસ ગુંજી ઉઠ્યું હતું. ત્યારબાદ ગોધરાના વાલ્મિકી વાસ ખાતે પરમ પૂજ્ય યોગી ગિરનારી બાપુ 108, સનાતન ધર્મના પુન: ઉદ્ધારક પુરાણ કાળની પ્રતિમાં સમા લાગતા આર્ય સંસ્કૃતિ ભાવનાનું કેન્દ્ર સ્થાન લાગતા 108 યોગી ગિરનારી બાપુના પટ્ટ શિષ્ય 108 કૃષ્ણાનંદજી બાળ બ્રહ્મચારી જંત્રાલના આંબાવાડી આશ્રમમાં બિરાજમાન સીતારામ બાપુના સાંનિધ્યમાં જગતજનની મા જગદંબાનો ભવ્ય શોભાયાત્રા વાલ્મિકી વાસથી શરૂ કરી ભૂરાવાવ ચાર રસ્તા, શહેરા ભાગોળ ફાટક પરથી પરત નિજ મંદિર ખાતે લાવવામાં આવી હતી.
જેમાં ગોધરા નગરના વિવિધ સમાજના આગેવાનો દ્વારા જગતજનની મા જગદંબાના શોભાયાત્રાને પુષ્પગુચ્છથી સ્વાગત કરીને વધાવી અને ત્યારબાદ ડબગર સમાજની મહિલાઓ દ્વારા અંબેમાના મંદિર આગળ ભજન કીર્તનનો કાર્યક્રમ રાખ્યો હતો.
બપોરના સમયે ગોધરા નગરના સૌ નગરજનોએ મા અંબાના મહાપ્રસાદનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સર્વોદય યુવક મંડળના નવ યુવાનોના અથાક પ્રયત્નો અને સિંધી સમાજના અગ્રણીઓ જેઠાનંદ પેશુમલ આસનાની, લવ જેઠાનંદ આસનાની, દીપક ખીમાણી, સંજય ટેહલ્યાણી, રામ ભાગવાની જેવા મહાનુભાવો ઉપસ્થિત રહી કાર્યક્રમમાં શોભા વધાવી હતી. જ્યારે વાલ્મિકી સમાજ મસીહા રાજેશ ચૌહાણ દ્વારા 15માં પાટોત્સવનું સુંદર આયોજન કરી સફળ બનાવ્યો હતો.
ં