અમદાવાદ4 મિનિટ પહેલા
- કૉપી લિંક
રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યા માર્ચ મહિનાથી એકાએક વધી ગઈ હતી. દરરોજના સૌથી વધુ કેસો અમદાવાદ શહેરમાં નોંધાઈ રહ્યા હતા, જેના કારણે હાલ અમદાવાદ શહેરમાં 766 જેટલા એક્ટિવ કેસો નોંધાયા છે. અહીના પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધારે કેસો નોંધાયા છે. આ સિવાય શહેરના થલતેજ, બોપલ, ઘુમા, નવરંગપુરા, વસ્ત્રાપુર, બોડકદેવ સહિતના વિસ્તારોમાં પણ કેસો સામે આવ્યા છે. દરરોજના 38 થી 40 જેટલા દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે. જો કે, આ પરિસ્થિતિ વચ્ચે કોરોનાની વેક્સીન કોવીશિલ્ડ અને કોવેક્સિન ઉપલબ્ધ ન હોવાના કારણે અમદાવાદમાં વેક્સિનેશન પણ બંધ છે.
દરરોજ 1500થી વધુ કોરોના ટેસ્ટીંગ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગના અધિકારી ડૉ. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં કોરોનાનાં 766 જેટલા એક્ટિવ કેસો છે. જેમાં રોજના 38થી 40 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થાય છે. છેલ્લા બે દિવસમાં હાલમાં 100થી ઓછા કેસો નોંધાઈ રહ્યા છે શહેરના બોડકદેવ, થલતેજ, નવરંગપુરા સહિતના પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ કેસો નોંધાયા છે. કોરોનાના દૈનિક 1500થી વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. અમદાવાદની એસવીપી અને એલજી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવારની પૂરતી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવાઈ છે. અમદાવાદ કોર્પોરેશનના તમામ PHC અને CSC કેન્દ્ર તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં પણ ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું છે. જે પણ વ્યક્તિ કોરોના પોઝિટિવ જણાય તેને ઘરે આઈસોલેશનમાં રાખીને યોગ્ય સારવાર કરવામાં આવી રહી છે.
71,570 જેટલા લોહીના નમુનાઓની તપાસ કરી
શહેરમાં પાણીજન્ય બીમારીઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જો 25 માર્ચ સુધીના કેસની વાત કરવામાં આવે તો ઝાડા ઉલટીના 396 કેસ, કમળાના 107 કેસ, ટાઈફોઈડના 300 કેસ અને કોલેરાના 2 કેસ નોંધ્યા છે. શહેરમાં ડેન્ગ્યુના કેસ હજુ પણ સામે આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ડેન્ગ્યુના 24 કેસ નોંધાઈ ચૂક્યા છે. આ ઉપરાંત સાદા મેલેરિયાના 5, ઝેરી મેલેરિયાનો 1, ચિકનગુનિયાના 21 કેસ નોંધાયા છે. આ આંકડાઓનાં કારણે 71,570 જેટલા લોહીના નમુનાઓની તપાસ કરવામાં આવી છે, જ્યારે 2210 જેટલા સીરમ સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. તદુપરાંત 12,861 જેટલા ક્લોરીન ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે. તે સિવાય બેક્ટેરિયાલોજિકલ તપાસ માટે 3062 જેટલા પાણીના નમુના લેવામાં આવ્યા હતા જેમાંથી 40 જેટલા પાણીના સેમ્પલ આવ્યા છે.