વલસાડ13 મિનિટ પહેલા
- કૉપી લિંક
ખેડૂતોની આવક બમણી કરવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંકલ્પને સિદ્ધ કરવા અને વલસાડ જિલ્લામાં પણ પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં તારીખ.17 એપ્રિલ 2023ને સોમવારે સવારે 10 કલાકે પારડી તાલુકાના ભારતરત્ન મોરારજી દેસાઈ ઓડિટોરિયમમાં 1100થી વધુ પ્રગતિશીલ ખેડૂતો, ખેતીવાડી, પશુપાલન, આત્મા તથા કે.વી.કે.ના અધિકારીઓ સાથે “પ્રાકૃતિક ખેતી પરિસંવાદ” યોજાશે.
આ પરિસંવાદમાં સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્યઓ તથા સ્ટેટ નોડલ અધિકારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. પરિસંવાદમાં પ્રાકૃતિક ખેતીના મૂળભુત સિધ્ધાંતો તથા ખેડૂતોએ વધારાના કોઈપણ પ્રકારના ઇનપુટ બજારમાંથી ખરીદી કર્યા સિવાય માત્ર એક જ દેશી ગાયના ગોબર અને ગૌમુત્રથી 30 એકર સુધીની જમીનમાં પ્રાકૃતિક કૃષિ કઈ રીતે કરી શકે અને તેનાથી થતા લાભો બાબતે રાજ્યપાલ વિસ્તૃત માર્ગદર્શન આપશે.
તેઓ ત્રણ વર્ષથી સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે સતત પ્રયત્નશીલ છે અને તે માટે જિલ્લા વહીવટી તંત્રને પણ સતત દિશાસૂચન કરે છે. હાલ ખેતીમાં વધુ પડતા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાના ઉપયોગના કારણે ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય ઉપર તેની ગંભીર અસરો જોવા મળી છે. વિશ્વ સામે જળવાયું પરિવર્તનની મોટી સમસ્યા પેદા થઈ છે. સમગ્ર જીવસૃષ્ટિ પર તેનો દુષ્પ્રભાવ જોવા મળ્યો છે. આ સમસ્યાના ઉકેલ સ્વરૂપે સમગ્ર દેશમાં પ્રાકૃતિક કૃષિથી રાસાયણિક ખાતર તથા જંતુનાશક દવામુક્ત ખેતીથી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરી ખેડૂતોનું આર્થિક ઉપાર્જન વધે તે માટે રાજયપાલ માર્ગદર્શન આપશે. જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ આગળ વધે અને ખેતી ખર્ચમાં ઘટાડો કરી વધુ નફો મેળવે તે હેતુસર ખેડૂતો કાર્યક્રમમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવશે અને નાગરિકોને ઝેરમુક્ત ખોરાક પૂરો પાડી તેમનું આરોગ્ય જળવાય એવા શુભ આશયથી “પ્રાકૃતિક ખેતી પરિસંવાદ” થકી ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવશે.