આણંદ43 મિનિટ પહેલા
- કૉપી લિંક
આણંદ જિલ્લા જિલ્લામાં કોવિડ કેસોની ચિંતાજનક રીતે વધતી સંખ્યાને લઈ જીલ્લા વહીવટીતંત્ર દ્વારા કલેક્ટર ડી.એસ. ગઢવી અને જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપનાના અધ્યક્ષસ્થાને આણંદ સર્કિટ હાઉસ ખાતે એક બેઠક યોજાઇ હતી.
જિલ્લા ક્લેક્ટરશ્રી ડી.એસ.ગઢવી એ જિલ્લામાં કોવિડ-19ની સ્થિતિની વિગતવાર સમીક્ષા કરી જિલ્લા આરોગ્ય તંત્રને કોવિડ-19ને અટકાવવા તેમજ તે અંગે સાવચેતીના પગલા લેવા જરૂરી સૂચનો આપ્યા હતા.જેમાં જિલ્લામાં આવેલ તમામ હોસ્પિટલોમાં કોવિડ-19 ના દર્દીઓ માટે આઇસોલેશન વોર્ડ તેમજ ઓક્સીજનના બોટલની વ્યવસ્થાઓ રાખવા તેમજ તમામ હોસ્પિટલોમાં કોવિડ-19ની પૂર્વ તૈયારી માટે મોકડ્રીલનું આયોજન કરવા જણાવ્યુ હતું.
જોકે તેઓએ વર્તમાન સ્થિતિમાં કોરોનાથી ભયભીત થવાની જરૂર નથી તેમ કહી કોવિડ-19 અંતર્ગત આવતા તમામ નિયમોનું પાલન કરવા જાહેર જનતાને અનુરોધ કર્યો હતો. વૃદ્ધો અને કોમોર્બીડીટીવાળા લોકોને ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું અને કોવિડ-19ની મહામારીમાં આરોગ્ય વિભાગને સહયોગ આપી કોવિડ-19ને લગતી માહિતી ગામડા તથા છેવાડાના લોકો સુધી પહોંચાડવા જણાવ્યું હતું.
આ મિટિંગમાં આણંદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, ડો.આર.બી.કાપડિયા, એપેડેમીક મેડીકલ ઓફીસર, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી, સિવિલ સર્જન આણંદ,પેટલાદ, પ્રમુખ સ્વામી મેડીકલ કોલેજના ડીન, ઇન્ડિયન મેડીકલ એસોસીએશનના પ્રમુખ, પ્રાઇવેટ હોસ્પિટલોના સુપ્રિટેન્ડેન્ટ ,આણંદ જિલ્લા આયુર્વેદ અધિકારી તેમજ તાલુકા હેલ્થ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વનું છે કે આણંદ જિલ્લામાં હાલ 21 પોઝીટીવ કેસ છે.જેમાં આણંદ તાલુકામાં 11અને પેટલાદ તાલુકામાં 8 અને ઉમરેઠ તાલુકામાં 1 કોરોના પોઝીટીવ કેસ છે.જોકે 19 દર્દી હોમ આઈસોલેસન માં સારવાર લઈ રહ્યા છે જ્યારે બે હોસ્પિલમાં દાખલ કરી સારવાર લઈ રહ્યા છે.તમામની હાલત હાલ સુધારા ઉપર છે.જોકે આ કોરોનાના કેસમાં વધારો ન થાય તેમજ ગંભીર પરિસથિતિમાં કોઈ સારવાર વિના ન રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.