કચ્છ (ભુજ )5 મિનિટ પહેલા
- કૉપી લિંક

ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા શ્રીનરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં બદ્રીકાશ્રમ ખાતે સાત દિવસીય આયુર્વેદ કેમ્પનો આજે સંતોનાં હસ્તે વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભુજ મંદિર દ્વારા સમગ્ર કચ્છમાં આરોગ્ય ક્ષેત્રે ઉત્તમ સેવા કરવામાં આવી રહી છે. છેલ્લા એક માસથી વિવિધ તાલુકામાં એલોપેથીના પાંચ મેગા મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યા આવ્યા હતાં, જ્યારે હવે બદ્રીકાશ્રમની મુલાકાતે આવતા લોકોને આયુર્વેદિક ચિકિત્સાનો લાભ મળે તે માટે કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે.

સ્વામિનારાયણ ઔષધ્ધાલયનાં સંચાલક સ્વામી સત્યપ્રસાદદાસજીએ વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, સદ્ગુરૂ મહંતસ્વામી ધર્મનંદનદાસજી, ઉપ મહંત ભગવદજીવન દાસજી, કોઠારી પાર્ષદ જાદવજી ભગતની આજ્ઞા અને માર્ગદર્શનમાં બદ્રીકાશ્રમ ખાતે મુલાકાતે આવતા લોકોને આયુર્વેદ ચિકિત્સાનો લાભ મળી રહે તે માટે ખાસ આયુર્વેદ કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેનો આગામી સાત દિવસ સુધી લોકોને લાભ મળશે.

આ કેમ્પમાં અલગ અલગ રોગનાં વિવિધ 20 જેટલા વૈદ્ય સેવા આપી રહ્યા છે. જેમાં જુના હઠીલા રોગો હોય તો તેનું પણ નિવારણ અને જરૂર પડ્યે પંચકર્મની પણ ચિકિત્સા કરવામાં આવશે. એટલું જ નહીં દવાઓ પણ અહીંથી આપવામાં આવશે. ઉપરાંત આ સિવાય વધુ ચિકિત્સાની જરૂરત રહે તેવા દર્દીઓનો સંપૂર્ણ ખર્ચ ભુજ મંદિર દ્વારા કરવામાં આવશે. વિનામૂલ્યે શરૂ કરાયેલા આયુર્વેદિક કેમ્પનો લાભ લેવા લોકોને અપીલ કરી સંતે ઉમેર્યુ હતું કે અહીં કેમ્પ દરમ્યાન જે પણ દર્દીઓ આવશે તેમના દર્દ પ્રમાણે સેવા કરવામાં આવશે.