હાલોલ8 કલાક પહેલા
- કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર
- પીએસઆઈ, કોર્પોરેટર, પ્રોફેસર સહિત 12 આરોપી મૃત્યુ પામ્યા
- હાલ 27 જીવિત , નિર્દોષ છૂટતાં પરિવારોમાં ખુશીનો માહોલ
ગુજરાતમાં 2002 દરમ્યાન ફાટી નીકળેલા કોમી રમખાણોના અનેક કિસ્સાઓ પૈકી કાલોલ શહેર અને દેલોલ ગામમાં ઘટેલા રમખાણકાંડના 39 આરોપીઓ અંગે હાલોલ સેશન્સ કોર્ટમાં 20 વર્ષ, 4 મહિના, 13 દિવસ સુધી ચાલેલી ન્યાયિક લડતને અંતે શુક્રવારે તમામ 39 આરોપીઓ નિર્દોષ હોવાનો ચુકાદો જાહેર કરવામાં આવતા આરોપીઓના પરિવારજનોમાં ભારે ખુશીનો માહોલ છવાયો છે.
કાલોલ શહેર અને દેલોલ ગામમાં ઘટેલા રમખાણકાંડ ચુકાદો
રાજ્યભરમાં હાહાકાર મચાવનાર ગોધરા ટ્રેન હત્યાકાંડની ગોઝારી ઘટનાને પગલે તત્કાલીન સમયે પંચમહાલ જિલ્લાના કાલોલ શહેરમાં ફાટી નીકળેલા રમખાણોની ઘટનાઓ અંગે પોલીસે કાલોલ ખાતે ઉભા કરવામાં આવેલા રાહત કેમ્પોની મુલાકાતો દરમ્યાન અસરગ્રસ્તોના નિવેદનોને આધારે સરકારી રાહે દાખલ કરેલી આ કેસની ફરિયાદની વિગતો મુજબ 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરા ખાતે સર્જાયેલ સાબરમતી ટ્રેન હત્યાકાંડની ઘટનાને પગલે કાલોલ તાલુકા વિસ્તારમાં પણ ફાટી નીકળેલા કોમી હુમલાના દાવાનળમાં 1 માર્ચ 2002ના રોજ દેલોલ ગામ ખાતે વસવાટ કરતા મુસ્લિમ કોમના લોકો પર આજુબાજુના ગામના લોકોએ કરેલા હુમલાઓથી બચવા માટે મુસ્લિમ કોમના 38 વ્યક્તિઓ જીવ બચાવવા માટે એક ટેમ્પામાં બેસીને દેલોલથી કાલોલ મુકામે આવવા રવાના થયેલા.
તમામ 39 આરોપીઓ નિર્દોષ હોવાનો ચુકાદો જાહેર
એ અરસામાં કાલોલ હાઈવે સ્થિત અંબીકા સોસાયટીના નાકાના ગરનાળા પાસે આવતા રોડ ઉપર હીન્દુ કોમના 300 થી 400 માણસોના ટોળાએ રોડ પર રેતી ભરેલા પીપડાની આડસો ઉભી રાખી હથિયારો અને જ્વલનશીલ પ્રવાહીના કારબા સાથે કરેલા હુમલા દરમ્યાન ગરનાળા પાસે ટેમ્પો પલ્ટી ખાતા ટેમ્પોમાંથી બહાર નીકળતા સમયે થયેલા ઘાતકી હુમલામાં લઘુમતી કોમના 11 વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા.
એક મહિલા પર કથિત દુષ્કર્મ ગુજાર્યો હોવાની ચકચારી ઘટના
જયારે 18 જેટલી વ્યક્તિઓ ગુમ થયેલા અને ગુમ થયેલા પૈકીના એક મહિલા પર કથિત દુષ્કર્મ ગુજાર્યો હોવાની ચકચારી ઘટના અંગેની પોલીસ તપાસ અને નિવેદનોને આધારે કાલોલ પોલીસે તત્કાલીન સમયે શકમંદ એવા 48 આરોપીઓ વિરુદ્ધ કાલોલ પોલીસ મથકે વિવિધ ધારાઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. હાલોલ જ્યુડિશયલ સેશન્સ કોર્ટની રાહે સમગ્ર કેસની તપાસ હાથ ધરવામાં આવી હતી.અત્રે નોંધનીય છે કે જે ફરિયાદને આધારે તત્કાલીન સમયે જ કાલોલ પોલીસે 39 આરોપીઓની અટકાયત કરીને કાચા કામના કેદીઓ તરીકે તમામ આરોપીઓને કાલોલ, હાલોલ અને ગોધરાની સબ જેલમાં ધકેલી દેવાયા હતા.
કાલોલ પોલીસ મથકે વિવિધ ધારાઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો
જે આરોપીઓએ જેલવાસ દરમ્યાન કોર્ટની રાહે જામીન મેળવીને વચગાળાનો છુટકારો મેળવ્યો હતો. કોર્ટ કાર્યવાહી દરમ્યાન 1 પીએસઆઈ, કોર્પોરેટર, પ્રોફેસર સહિત 12 જણા મૃત્યુ પામ્યા હતા અને 27 જણા જીવીત રહ્યા હતા. આમ પાછલા 20 વર્ષથી ચાલેલી ન્યાયિક તપાસ બાદ જજે ચુકાદો આપતા તમામ 39ને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
ચાલુ વર્ષના જાન્યુઆરીમાં 22 આરોપીઓને નિર્દોષ છોડયા હતા
કાલોલ તાલુકાના ઉપરોક્ત ઘટનાના દેલોલ કાંડમાં પણ ચાલુ વર્ષે જાન્યુઆરીમાં જ હાલોલ સેશન્સ કોર્ટ દ્વારા ૨૨ આરોપીઓને નિર્દોષ જાહેર કરતો ચુકાદો આપ્યો હતો. જે ચુકાદાના બે મહિના બાદ વધુ એક કેસમાં ૩39 આરોપીઓ નિર્દોષ જાહેર થયા છે. આમ આ કેસની લડત લડતા કાલોલના વિજયભાઈ પાઠક, એન.વી પટેલ, બી.સી ત્રિવેદી, એમ.આઈ. રશીદ, એ.આઈ. મહારાઉલજી, નિરજ જૈન, પરિમલ પાઠક, ગોપાલસિંહ સોંલકી જેવા નામી વકીલોએ લડત આપી હતી.