- Gujarati News
- Local
- Gujarat
- Ahmedabad
- A New Experiment In Good Governance Began In 2003, With Two ‘Prime Minister’s Awards’ Awarded To Gujarat For Excellence In Public Administration.
અમદાવાદએક કલાક પહેલા
- કૉપી લિંક

ફાઈલ તસવીર
વર્તમાન વડાપ્રધાન અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજ્યના સામાન્ય નાગરિકોની ફરિયાદોનું ન્યાયી ધોરણે સમયબદ્ધ ત્વરિત નિવારણ લાવવાના જનહિતકારી ભાવથી દેશભરમાં પ્રથમ એવો નવતર અભિગમ ‘સ્વાગત’ કાર્યક્રમ ગુજરાતમાં તા. 24 એપ્રિલ, 2003થી શરૂ કર્યો હતો. આ કાર્યક્રમે હવે તો વિશ્વમાં ગુડ ગવર્નન્સની આગવી દિશાસૂચક પહેલ તરીકે ખ્યાતિ મેળવી છે.
પીએમ નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી કાર્યક્રમની ઊજવણીમાં જોડાશે
તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ 2003થી ‘સ્વાગત’ અન્વયે દર મહિનાના ચોથા ગુરૂવારને ફરિયાદ નિવારણ દિવસ તરીકે પ્રસ્થાપિત કરેલો છે. સ્વાગતની સફળ બે દાયકાની મંઝિલ પાર કરવાના આ અવસરે તા. 27 એપ્રિલ, આગામી ગુરૂવારે, યોજાનારા રાજ્ય ‘સ્વાગત’ કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી ઓનલાઇન સહભાગી થશે. ફક્ત એટલું જ નહિ, ‘સ્વાગત’ની સફળતાની ફલશ્રુતિએ જે નાગરિકો-પ્રજાવર્ગોની સમસ્યાનું સુચારૂ નિવારણ આવ્યું છે તેવા લાભાર્થીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સંવાદ પણ કરવાના છે.
એપ્રિલનું છેલ્લુ અઠવાડિયુ ‘સ્વાગત’ સપ્તાહ તરીકે ઉજવવાનો નિર્ણય
નાગરિકોને પોતાની રાવ-ફરિયાદ અને રજૂઆતો માટે સ્થાનિક ફરિયાદો સાથે ઉચ્ચ કક્ષાએ કે સચિવાલય સુધી આવવું જ ન પડે તેવી તંદુરસ્ત સ્થિતીના નિર્માણમાં આ ‘સ્વાગત’ કાર્યક્રમ એક સિમાચિન્હ બની ગયો છે. વડાપ્રધાન દ્વારા કંડારેલી સુશાસનની આ પરંપરાને વધુ તેજ ગતિએ આગળ ધપાવતાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે એપ્રિલ મહિનાના અંતિમ અઠવાડિયાને ‘સ્વાગત’ સપ્તાહ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બે દાયકાની આ સુશાસન પરંપરાને વધુ લોકાભિમુખ બનાવી નાગરિકોના પ્રશ્નોના સુચારૂ નિવારણ માટે ‘સ્વાગત’ની આ પ્રણાલિ આવનારા દિવસોમાં વધુ અદ્યતન ટેક્નોલોજીથી સુદ્રઢ બનાવવા પ્રતિબદ્ધ છે.
ગુજરાતને બે ‘પ્રધાનમંત્રી એવૉર્ડ’ એનાયત
ગુજરાતને વિવિધ ક્ષેત્રે જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા બદલ આજે ‘સિવિલ સર્વિસીસ ડે’ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બે પ્રધાનમંત્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. નવી દિલ્હીમાં આવેલ વિજ્ઞાન ભવન ખાતે ગુજરાત વતી આ પુરસ્કાર આરોગ્ય કમિશનર શાહમીના હુસૈન તેમજ મહેસાણા જિલ્લા કલેક્ટર નાગરાજન એમ. દ્વારા સ્વીકારવામા આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સતત માર્ગદર્શનમાં ગુજરાતને વિવિધ ક્ષેત્રે જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા બદલ વડાપ્રધાનના હસ્તે સન્માનિત કરવામાં આવ્યું છે.
SOTTOને વડાપ્રધાનના હસ્તે ‘ઇનોવેશન સ્ટેટ’ કેટેગરીમાં એવોર્ડ એનાયત
નાગરિક કેન્દ્રિત કૉમ્પ્રિહેન્સિવ ટ્રાન્સપ્લાન્ટ ઇકોસિસ્ટમ બનાવવા માટે ગુજરાતમાં ઇનોવેટિવ એપ્રોચના પરિણામે વર્ષ 2019માં State Organ & Tissue Transplant Organization-SOTTOની સ્થાપના કરવામાં આવી હતી. આજે ગુજરાત રાજ્ય કેડેવર ઑર્ગન ડોનેશન અને ટ્રાન્સપ્લાન્ટમાં સૌથી આગળ છે તેમજ SOTTO સાથે ગુજરાત આ ક્ષેત્રે પોતાની પ્રતિબદ્ધતા દાખવીને સમગ્ર દેશનું નેતૃત્વ કરી રહ્યું છે. આ બધુ નવી નીતિઓ, સુશાસન, સર્વસમાવેશક અભિગમ થકી શક્ય થયું છે. રાજ્યનો ગરીબ અને વંચિત વર્ગ પણ અંગદાન અને અંગ પ્રત્યારોપણ સેવા મેળવી શકે તે માટે રાજ્ય સરકારે પ્રતિબદ્ધતા દાખવી છે. આ વિશેષ પહેલના પરિણામે જ SOTTOને વડાપ્રધાનના હસ્તે ‘ઇનોવેશન સ્ટેટ’ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
ગુજરાતને બીજું પુરસ્કાર પીએમ દ્વારા મહેસાણા જિલ્લાની તમામ 994 પ્રાથમિક શાળાઓમાં PATHA-(Problem Identification, Assessment & Diagnosis, Teacher Training , Hand Holding in Remedies, Assessment of Impact) હેઠળ ફાઉન્ડેશન લિટરેસી એન્ડ ન્યુમરેસી (FLN) માટે કરવામાં આવેલ પહેલ બદલ આપવામાં આવ્યું. આ પુરસ્કાર મહેસાણા જિલ્લા કલેક્ટર નાગરાજન એમ. દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો હતો.
ગાંધીનગર ખાતે પ્રી-ગ્રીપ સમિટનો શુભારંભ
આજે ‘વર્લ્ડ ઇનોવેશન ડે’ નિમિત્તે આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિ લાવતા વિવિધ ઇનોવેટીવ વિચારોને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતમાં પ્રથમવાર “ગૂડ, રેપ્લીકેબલ એન્ડ ઇનોવેટીવ પ્રેક્ટીસીસ સમિટ(GRIP Summit)નું આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે ગાંધીનગર ખાતેથી પ્રી-ગ્રીપ સમિટનો શુભારંભ કરાવ્યો હતો. માનવ જીવનને સરળ અને સહજ બનાવવા માટે કોઈપણ ક્ષેત્રે ઇનોવેશન અને ડીસ્કવરીનું મહત્વ ખૂબ જ વધારે હોય છે. આજે નાના-નાના પરંતુ અતિમહત્વના ઇનોવેશનના પરિણામે આરોગ્ય સહિતના ક્ષેત્રે ક્રાંતિ આવી છે. ગુજરાત સહિત દેશના યુવાનોના ઇનોવેટીવ વિચારોને પ્રોત્સાહન આપવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2016માં ‘અટલ ઇનોવેશન યોજના’ અમલમાં મૂકી હતી. આ યોજનાના પરિણામે દેશના અનેક યુવાનોના સપનાઓને પાંખ મળી છે. આ પ્રસંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ અને નેશનલ હેલ્થ સીસ્ટમ રિસોર્સ સેન્ટરના એક્ઝેક્યુટીવ ડીરેક્ટર ડૉ. અતુલ કોટવાલે પણ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
રાજ્ય સરકારનો ખેડૂતહિતલક્ષી નિર્ણય
ગુજરાત સરકાર દ્વારા રાજયમાં બાગાયતી ખેતીના વિકાસ માટે વિવિધ પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. ચાલુ વર્ષમાં ખેડૂતો બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે સરળતાથી મેળવી શકે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2023-24 માટે આઇ-ખેડૂત પોર્ટલ અખાત્રીજના શુભ દિવસથી ખુલ્લુ મુકવામાં આવ્યું છે.
વધુમાં રાજ્યના ખેડૂતો બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ મેળવવા માટે આવતીકાલ એટલે કે તા. 22 એપ્રિલથી 31 મે-2023 સુધી આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજીઓ કરી શકશે. અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ લઇ જરૂરી સાધનિક કાગળો સહ જિલ્લાના નાયબ/ મદદનીશ બાગાયત નિયામકશ્રીની કચેરીએ સમય મર્યાદામાં મોકલી આપવા ખેડૂતોને ખેતી નિયામકની કચેરી, ગાંધીનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.