અમદાવાદ38 મિનિટ પહેલા
- કૉપી લિંક
અમદાવાદ શહેરનાં માધુપુરા વિસ્તારમાં આવેલી કાપડની દુકાનમાં અગાઉ કામ કરતા કર્મચારીએ 22 લાખના કાપડની ચોરી કરી હતી. આ મામલે દુકાન માલિકે પોલીસને જાણ કરી હતી પરંતુ, માધુપુરા પોલીસે ફરિયાદ ના નોંધતા વેપારીએ કોર્ટમાં જ ફરિયાદ કરી હતી જેથી, કોર્ટે પોલીસને ફરિયાદ કરવા આદેશ કરતા હવે પોલીસે ગુનો નોંધ્યો છે.
દુકાનમાં ચોરીઓ થવા લાગી
મહાવીર જૈન નામના વેપારી પ્રેમદરવાજા પાસેના કોમ્પલેક્ષમાં દુકાન ધરાવી કપડાંનો હોલસેલ વેપાર કરે છે. થોડા વર્ષ પહેલા તેમના ત્યાં સુરેન્દ્ર પ્રતાપસિંહ રાજપુત નોકરી કરતો હતો ત્યારબાદ વર્ષ 2022માં તેણે નોકરી છોડી દીધી હતી. સુરેન્દ્રએ નોકરી છોડ્યા બાદ મહાવીરભાઈની દુકાનની પાસે જ કાપડની દુકાન ખોલી વેપાર કરવા લાગ્યો હતો. સુરેન્દ્ર પૂર્વ કર્મચારી હોવાથી મહાવીરભાઈની દુકાને આવતો જતો હતો. આ દરમિયાન દુકાનમાંથી ચોરી થવા લાગી હતી. જેથી મહાવીરભાઈએ તેમની દુકાનમાં સીસીટીવી કેમેરા લગાવ્યા હતા.
પૂર્વ કર્મચારી જ નીકળ્યો આરોપી
8 ઓક્ટોબર 2022 એ 10.40 વાગ્યે સિક્યુરીટી ગાર્ડે મહાવીરભાઈને ફોન કરી જણાવ્યું હતું કે, સુરેન્દ્ર અમુક કાપડાનો માલ ગાડીમાં ભરી લઇ જાય છે, જેથી મહાવીરભાઇ ત્યાં પહોંચ્યા અને સુરેન્દ્રને રંગેહાથ કપડાંના માલ સાથે ઝડપી લીધો હતો. ત્યારબાદ તપાસ કરતા ધીરે-ધીરે તેણે 22 લાખ રુપિયાના માલની ઉચાપત અને ચોરી કરી હોવાનો ખુલાસો થયો હતો. જેથી, મહાવીરભાઈએ આ મામલે સુરેન્દ્રના વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ કરવા ગયો હતો પરંતુ, પોલીસે આ બાબતે ફરિયાદ નોંધી ન હતી. જેથી, મહાવીરભાઈએ આ મામલે કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. કોર્ટે તમામ પુરાવા ધ્યાને લઈને માધુપુરા પોલીસને તાત્કાલીક ફરિયાદ નોંધવાનો આદેશ કર્યો હતો. જેથી માધુપુરા પોલીસે સુરેન્દ્રના વિરુદ્ધમાં ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.