- Gujarati News
- Local
- Gujarat
- Vadodara
- Body Of Businessman Found In Well After Going Missing In Vadodara’s Gothda Village, To Be Officially Uncontested In April 24 APMC Polls
વડોદરાએક કલાક પહેલા
- કૉપી લિંક

વેપારી પરેશ શાહની ફાઇલ તસવીર.
વડોદરાના સાવલી તાલુકાના ગોઠડા ગામના તમાકુના વેપારી પરેશભાઇ શાહ ગુમ થયા બાદ કુવામાંથી તેમનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. સાવલી પોલીસે વેપારીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે. સાવલી એપીએમસીની ચૂંટણીમાં વેપારી વિભાગમાં તેમની સામે કોઈએ ફોર્મ ન ભરતા તેઓ બિનહરીફ જાહેર થવાના હતા. જો કે, તે પહેલા જ તેમનો મૃતદેહ કુવામાંથી મળતા અનેક તર્કવિતર્કો સર્જાયા છે.
વેપારીને કોઈ ડિપ્રેશન નહોતું
સાવલી પોલીસ સ્ટેશનના પીએસઆઇ અનિરુદ્ધ કામળીયાએ જણાવ્યું હતું કે, અમે વેપારીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને વધુ તપાસ શરૂ કરી છે. તેમના પરિવારનું કહેવું છે કે, તેઓ રોજની જેમ જ ઘરેથી તૈયાર થઈને નીકળ્યા હતા. તેમને કોઈપણ પ્રકારનું ડિપ્રેશન હતું નહીં. તેઓ રેગ્યુલર કુવા પર જતા હતા. પગ લપસી જતા તેઓ કુવામાં પડી ગયા હોઈ શકે છે.
કુવા પાસેથી ચપ્પલ મળ્યા
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગોઠડા ગામમાં રહેતા પરેશભાઈ નવીનચંદ્ર શાહ (ઉ.45) વેપારી હતા અને તમાકુ સહિતના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. સાથે સાથે સાવલી તાલુકામાં તમામ રાજકીય પક્ષો સાથે સંપર્કમાં હતા અને તમામ વર્ગ સાથે પારિવારિક સંબંધો ધરાવતા હતા તેવામાં આજે સવારે પોતાના ઘરેથી નીકળીને અચાનક પરિવારજનો સાથેથી સંપર્ક વિહોણા થઈ ગયા હતા અને તેઓનો મોબાઇલ પણ સ્વીચ ઓફ આવતો હતો તેના કારણે તેમની શોધખોળ આદરતા ગોઠડા ગામે આવેલ તેઓની તમાકુની ખરી પાસે કુવા પાસે ચપ્પલ મળી આવતાં અનેક શંકા કુશંકા જાગી હતી અને લોક ટોળા ઉંમટી પડ્યા હતા.

વેપારીના મૃતદેહની શોધખોળ.
NDRFએ વેપારીના મૃતદેહને કુવામાંથી બહાર કાઢ્યો
ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગયું હતું અને વેપારીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. વેપારીનો કોઈ પત્તો ન લાગતા એનડીઆરએફની ટીમ પણ રેસ્ક્યૂની કામગીરીમાં જોડાઈ હતી. એનડીઆરએફની ટીમ ઓક્સિજન ટેન્ક સાથે કુવામાં ઉતરી હતી અને એન.ડી.આર.એફ ની ટીમ અને વડોદરા ફાયર ફાઈટરની ટીમે કલાકોના ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢ્યો હતો અને સાવલી પોલીસે મૃતદેહને સાવલી આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો.
વેપારી બિનહરીફ થયા હતા
ઉલ્લેખનીય છે કે, આગામી પહેલી મેના રોજ યોજનારી સાવલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં ગતરોજ ફોર્મ ભરવાના દિવસે વેપારી વિભાગમાં તેઓની સામે કોઈ ફોર્મ ન ભરાતા તેઓ બિનહરીફ વિજેતા જાહેર થયા હતા, જો કે, ઓફિશિયલ તેમને વિજેતા આગામી 24 એપ્રિલે ફોર્મ પરત ખેંચવાના દિવસે જાહેર કરવામાં આવશે, તેવામાં ગુમ થઇ જતાં તાલુકાના રાજકારણમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો અને મોટાભાગના તાલુકાના નેતાઓ આગેવાનો અને રાજકીય પક્ષના હોદ્દેદારો ગોઠડા ગામે દોડી આવ્યા હતા. વેપારીનું રહસ્યમય મોત થતાં સમગ્ર સાવલી તાલુકામાં તર્કવિતર્ક સર્જાયા છે.