સુરેન્દ્રનગર16 મિનિટ પહેલા
- કૉપી લિંક
ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ ‘‘સ્વાગત’’ કાર્યક્રમને 20 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યભરમાં એપ્રિલ મહિનાનો ચોથો સપ્તાહ ‘‘સ્વાગત સપ્તાહ’’ તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તા.26 એપ્રિલ સુધી વિવિધ તાલુકાઓમાં તાલુકા સ્વાગત કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. જે અન્વયે ચોટીલા તાલુકાના સ્વાગત કાર્યક્રમનુ આયોજન પ્રાંત અધિકારી પ્રિયાંક ગળચરના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું.

ચોટીલા તાલુકામાં તાલુકા કક્ષાએ 25થી વધુ અરજદારોએ સ્વાગતમાં પોતાનાં પ્રશ્નો રજુ કર્યા હતા. જેમાં જમીન લગતા 7-12, 8-અના દાખલા, વિજળીને લગતા પ્રશ્નો, પાણી પુરવઠા અંગેના, આંગણવાડીનાં જર્જરિત મકાનો રીપેર કરાવવા, ભૂગર્ભ ગટરો બનાવવી તેમજ કાચા રોડને ડામરવાળો બનાવવા સહિતના સર્વે પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મામલતદાર એન.ડી.ધુળા, તાલુકા વિકાસ અધિકારી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, થાનગઢ અને મૂળી તાલુકામાં પણ ફરિયાદ નિવારણ કાર્યક્રમ સ્વાગતનું આયોજન આજે કરવામાં આવ્યું હતુ. આવતીકાલે યોજાનારા સ્વાગત કાર્યક્રમમાં દસાડા ખાતે પોલિસ અધિક્ષક, લખતર ખાતે જિલ્લા વિકાસ અધિકારી તેમજ ધ્રાંગધ્રા ખાતે નિવાસી અધિક કલેક્ટરના અધ્યક્ષસ્થાને ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ સ્વાગતનું આયોજન થશે.
