- Gujarati News
- Local
- Gujarat
- Surat
- Swaminarayana Woman Gurukul, State of the art Facilities For 2500 Girls In Three Phases, Fully Managed By Women, See How The Facilities Will Be Inside
સુરતએક કલાક પહેલા
- કૉપી લિંક

સુરતમાં નિર્માણ થનાર દીકરીઓના ગુરૂકુલની તસવીર.
સામાન્ય રીતે સ્વામિનારાયણ ગુરૂકુલમાં છોકરાઓ જ અભ્યાસ કરતા હોય તેવું આપણે જોયું છે, પરંતુ હવે દેશના ઈતિહાસમાં સુરતની ધરતી પર પહેલીવાર દીકરીઓ માટેનું ગુરૂકુલ નિર્માણ પામશે. આઉટર રિંગરોડથી બે કિ.મી.ના અંતરે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના વડોદ ગામે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ત્રણ તબક્કામાં 2500 જેટલી દીકરીઓ અભ્યાસ કરી શકે એ પ્રકારે બાલિકાઓ માટેનું વિશેષ ગુરૂકુલ સાકાર થશે. જેમાં હોસ્ટેલ, નિવાસ, ભોજનની અદ્યતન સુવિધાઓ પ્રાપ્ત થશે. આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે દીકરીઓના ગુરૂકુલનું ભૂમિપૂજન કરવામાં આવશે.
અભ્યાસની સાથે ભોજન, હોસ્ટેલની આવાસીય સુવિધા
જૂન 2024થી કાર્યરત થનાર આ ગુરૂકુલમાં નવી એજ્યુકેશન પોલિસી પ્રમાણે તેમજ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ સંસ્કાર સાથેનું શિક્ષણ ઉપલબ્ધ થશે. ધો. 6થી 12 સુધી દીકરીઓને અભ્યાસની સાથે ભોજન, હોસ્ટેલની આવાસીય સુવિધા તેમજ ધો. 1થી 5 સુધીની દીકરીઓ માટે અપડાઉનની વ્યવસ્થા ઉભી થશે. ધર્મ કે જ્ઞાતિના ભેદ વિના પોતાના સંતાનના સંસ્કાર અને શીલની રક્ષા ઈચ્છતા દેશ-વિદેશના કોઈ પણ વાલીઓ પોતાની દીકરીઓને કન્યા ગુરૂકુલમાં પ્રવેશ અપાવી શકશે.

આ રીતે આખું ગુરૂકુલ નિર્માણ થશે.
સુરતના ઉદ્યોગપતિઓ પ્રારંભમાં બાંધકામના સહયોગી
ગુરૂકુલમાં શાળાની સાથે પ્રાર્થના ભવન, સભાગૃહ, અદ્યતન લાઈબ્રેરી, કમ્પ્યુટર લેબ, સ્વિમીંગ પુલ, સ્પોર્ટ્સ સંકુલ જેવી સુવિધા સાકાર થશે. અંદાજિત રૂ.120થી 150 કરોડના ખર્ચે બનનાર કન્યાઓ માટેના અનોખા ગુરૂકુલના વિચારબીજને મૂર્ત સ્વરૂપ આપવા માટે સુરતના ઉદ્યોગપતિ, સહજાનંદ ટેકનોલોજીસના ચેરમેન ધીરજલાલ કોટડીયાએ ભૂમિદાન કર્યું છે. ઉપરાંત મુખ્ય દાતાઓમાં લાલજી પટેલ (ધર્મનંદન ડાયમંડ), ગોવિંદ ધોળકિયા (રામકૃષ્ણ એક્સપોર્ટ), તેમજ સુરત, આફ્રિકા ખાતે કાર્યરત શ્રીહરિ ગ્રુપના રાકેશ દુધાત છે. ગોવિંદભાઈ સિવાય ત્રણેય દાતાઓ સ્વામિનારાયણ ગુરૂકુલ-રાજકોટના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે. આ તમામ પ્રારંભમાં બાંધકામના સહયોગ સાથે સંચાલન, માર્ગદર્શનની જવાબદારી પણ નિભાવશે.

ગુરૂકુલનો ગેટ આવો બનશે.
શિક્ષકો, આચાર્ય, એડમિન સહિતનો તમામ સ્ટાફ મહિલાઓ
આ ગુરૂકુલમાં પ્રથમ તબક્કામાં 600 જેટલી દીકરીઓને રહેવા જમવા સાથે અભ્યાસની વ્યવસ્થા કરાશે. બીજા તબક્કામાં વધુ 1200 અને ત્રીજા તબક્કા મળી કુલ 2000થી 2500 દીકરીઓને અભ્યાસ તથા રહેવા-જમવાની શ્રેષ્ઠ અને અદ્યતન સુવિધાઓ ઉભી કરાશે. આ ગુરૂકુલનું સંચાલન મહિલાઓ કરશે. સાફ-સફાઈ, પટાવાળા, કલાર્ક, શિક્ષકો, આચાર્ય, એડમિન સહિતનો તમામ સ્ટાફ મહિલાઓનો જ હશે. હોસ્ટેલમાં પણ મહિલાઓ જ સંચાલન, પ્રાર્થના, સત્સંગ, ધાર્મિક સંસ્કાર વગેરેની જવાબદારી સંભાળશે. કેમ્પસમાં પુરૂષ વાલીને પણ પ્રવેશ નહીં હોય.

સભાગૃહ આ પ્રમાણે બનાવાશે.
દેશમાં પહેલી વખત સુરતમાં દીકરીઓ માટેનું ગુરૂકુલ
સુરત ગુરૂકુલના પ્રભુ સ્વામીએ જણાવ્યું હતું કે, ગુજરાત સહિત દેશમાં સ્વામિનારાયણ સંપ્રદાયના 170 ગુરૂકુલો કાર્યરત છે, જેમાં બે લાખથી વધુ વિદ્યાર્થીઓ સ્કૂલ તથા છાત્રાલયમાં રહીને વિદ્યા સાથે સંસ્કાર મેળવી રહ્યા છે. આ સર્વ ગુરૂકુલો કુમાર (છોકરાઓ) માટેના છે, જ્યારે દેશમાં પહેલી વખત સુરતમાં દીકરીઓ માટેનું ગુરૂકુલ બનવા જઈ રહ્યું છે.

ક્લાસરૂમ આ પ્રમાણે બનાવાશે.
75 વર્ષ બાદ રાજકોટ ગુરૂકુલ દ્વારા જ શરૂઆત
વધુમાં પ્રભુ સ્વામીએ કહ્યું કે, વર્ષ 1948માં રાજકોટમાં શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામીએ સંપ્રદાયમાં પ્રથમ ગુરૂકુલની સ્થાપના કરી હતી. આજે પણ એ જ રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુલ સંસ્થાન સંચાલિત આ સ્વામિનારાયણ કન્યા ગુરૂકુલની સ્થાપના 75 વર્ષ બાદ રાજકોટ ગુરૂકુલ દ્વારા જ સંપ્રદાયમાં પ્રથમ વખત થઈ રહી છે. પોતાની શુભલક્ષ્મી માતૃશક્તિના કાર્યને ઉજાગર કરવા માટે ઉપયોગ કરવાની ઈચ્છા હોય તેવા દાતાઓને પણ આ ગુરૂકુલ આવકારે છે.

આવતીકાલના ભૂમિપૂજનને લઈને તૈયારીઓ ચાલી રહી છે.
છ લાખ સ્ક્વેર ફૂટનું કુલ બાંધકામ થશે
હાલ 18 વીઘા જમીન સંપાદન કાર્ય પૂર્ણ થઈ ગયું છે. કુલ છ લાખ સ્ક્વેર ફૂટનું કુલ બાંધકામ થશે. પ્રથમ ફેઝમાં 3.50 લાખ સ્ક્વેર ફૂટમાં બાંધકામ થશે. આવતીકાલે વડોદ ગામે કિરણ મેડિકલ કોલેજની પાછળ, તાપી નદીને સામે કિનારે 10 હજાર ઉપરાંત મહિલા, પુરૂષો, અતિથિઓ, મહાનુભાવોની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી આ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરશે. વિશેષત: મુખ્યમંત્રીશ્રી સાથે સ્વામિનારાયણ ગુરૂકુલ-રાજકોટના સદ્દગુરૂવર્ય ગુરૂ મહારાજશ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી, મહંત દેવપ્રસાદદાસજી સ્વામી, સ્વામિનારાયણ ગુરૂકુલ-સુરતના ધર્મવલ્લભદાસજી સ્વામી વગેરે સંતો તથા દાતાશ્રીઓ ભૂમિપૂજન વિધિમાં જોડાશે. જૂન-2014માં બાંધકામનો પ્રથમ તબક્કો પૂર્ણ થશે અને શૈક્ષણિક વર્ગો શરૂ થઈ જશે. આ ઉપરાંત રાજકોટમાં પણ રાજકોટ મોરબી રોડ ઉપર આવેલા રામમંદિર પાસે, રતનપર ગામે દીકરીઓ માટે ગુરૂકુલના નિર્માણ કરવા માટેનું કાર્ય વેગવંતુ છે.